![]()
– તમિલનાડુમાં વિજયે રાજભવનના ત્રણ ધક્કા ખાધા, નિર્ણય થયો નહીં, હવે રિસોર્ટ પોલિટિક્સ
– મમતા બેનર્જીને બબ્બે વખત હરાવનાર, એક સમયના ટીએમસીના દિગ્ગજ નેતા સુવેન્દુને ભાજપ હાઈકમાન્ડે ખુરશી સોંપવી પડી
– તમિલનાડુમાં ટીવીકેને આમંત્રણ માટે સુપ્રીમમાં અરજી, વીસીકેએ ટેકા માટે ડેપ્યુટી સીએમપદ માગ્યું
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં પ્રથમ વખત ભાજપની સરકાર બનવા જઇ રહી છે, શનિવારે ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઇ રહ્યો છે. એવામાં આ સમગ્ર ચૂંટણી દરમિયાન સૌથી વધુ ચર્ચામાં રહેલા સુવેન્દુઅધિકારીને ભાજપે મુખ્યમંત્રી જાહેર કર્યા છે. તેથી સુવેન્દુઅને તેમની ટીમમાં સામેલ થનારા ધારાસભ્યો દ્વારા મંત્રીપદ માટે શપથ ગ્રહણ કરવામાં આવશે. જ્યારે બીજી તરફ તમિલનાડુમાં હજુ પણ વિજય મુખ્યમંત્રી બનવા માટે અન્ય પક્ષોને મનાવી રહ્યા છે. જોકે બહુમત સુધી પહોંચવું મુશ્કેલ જણાઇ રહ્યું છે.
એક સમયના ટીએમસીના કદ્દાવર નેતાઓમાં સામેલ સુવેન્દુ અધિકારી ભાજપમાં આવ્યા બાદ મમતા બેનરજીને સત્તામાંથી ઉખાડી ફેંકવા ઘણો પ્રયાસ કરી રહ્યા હતા, અંતે તેમનો આ પ્રયાસ સફળ રહ્યો છે. બંગાળમાં ભાજપને ૨૦૦થી વધુ બેઠકો આવી તેનો શ્રેષ્ય સુવેન્દુ અધિકારીને ભાજપના નેતાઓ આપી રહ્યા છે. શુક્રવારે મહત્વની બેઠક યોજાઇ હતી જેમાં સુવેન્દુને જ મુખ્યમંત્રી બનાવવા નિર્ણય કરાયો છે. તેથી હવે શનિવારે કોલકાતામાં ભાજપના ટોચના નેતાઓની હાજરીમાં સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કરશે. બંગાળમાં પ્રથમ વખત ભાજપની સરકાર બનવા જઇ રહી હોવાથી ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં કોલકાતામાં ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવશે.
સુવેન્દુ અધિકારી બંગાળના નવમાં જ્યારે ભાજપ માટે રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બનશે, સુવેન્દુ અધિકારી ૧૯૯૮થી ૨૦૨૦ એટલે કે આશરે ૨૦ વર્ષ સુધી મમતા બેનરજીના પક્ષ તૃણમુલ કોંગ્રેસના સભ્ય રહ્યા, તે પહેલા તેઓ ૧૯૯૫થી ૧૯૯૮ સુધી કોંગ્રેસમાં રહ્યા, મનમોહનસિંહની સરકારમાં ગ્રામીણ વિકાસ મંત્રી રહેલા સિસિર અધિકારીના સુવેન્દુ અધિકારી પુત્ર છે. ૧૯૯૫માં કાંથી મ્યૂનિ.માં કોંગ્રેસના કાઉન્સેલર બનીને સુવેન્દુએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને હવે તેઓ રાજ્યના મુખ્યમંત્રી બનવા જઇ રહ્યા છે.
જ્યારે બીજી તરફ તમિલનાડુમાં વિજયનો પક્ષ ટીવીકે સૌથી મોટો પક્ષ હોવા છતા રાજ્યપાલ દ્વારા બે વખત સરકાર રચવાનું આમંત્રણ આપવાની ના પાડી દેવાઇ, હવે વિજય ત્રીજી વખત રાજ્યપાલને મળવા ગયા હતા અને ત્રીજી વખત સરકાર રચવાનો દાવો કર્યો હતો. જોકે આ વખતે પણ તેઓ ખાલી હાથ પાછાઆવ્યા છે. વિજયને કોંગ્રેસ ઉપરાંત બે ડાબેરી પક્ષોના ધારાસભ્યોનું પણ સમર્થન મળ્યું છે. જેને પગલે બહુમત સુધી વિજયનો રથ પહોંચ્યો છે. વિજય પાસે પોતાના પક્ષ ટીવીકેના ૧૦૮ ધારાસભ્યો છે, જોકે બહુમતથી તેઓ ૧૦ બેઠક દૂર રહ્યા, કોંગ્રેસના પાંચ ધારાસભ્યોનું સમર્થન મળ્યું તેમ છતા બહુમત સુધી ના પહોંચી શક્યા તેથી બાદમાં વિજય દ્વારા ડાબેરી પક્ષ સીપીઆઇ, સીપીઆઇએમ અને વીસીકેનો સંપર્ક કરાયો, ડાબેરી પક્ષો તો માનવા તૈયાર છે પરંતુ હવે સીવીકે પક્ષ હઠે ચડયો છે અને વિજયને ટેકો આપવાની ના પાડી દીધી છે. તેથી તમિલનાડુના મુખ્યમંત્રી બનવાનું વિજયનું સપનું હજુ પુરુ નથી થઇ શક્યું.










