![]()
TMC Crisis Inside Story : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં સર્જાયેલું સંકટ અટકવાનું નામ નથી લઈ રહ્યું. બંગાળ ચૂંટણીમાં મળેલી કારમી હારના આઘાતમાંથી પાર્ટી હજુ માંડ બહાર આવી રહી હતી ત્યાં જ, હવે નેતા વિરોધ પક્ષ (LoP) ના પદને લઈને તીવ્ર બળવો સામે આવ્યો છે, જેણે પક્ષના આંતરિક મતભેદોને ખુલ્લા પાડી દીધા છે. અત્યારે સૌની નજર ટીએમસીના 80 ચૂંટાયેલા ધારાસભ્યો પર છે, જેમનું સમર્થન પાર્ટીની ભવિષ્યની દિશા નક્કી કરશે. ઘણા ધારાસભ્યો સાથેની વાતચીતમાં પડદા પાછળ ચાલી રહેલી ગોઠવણોનો ખુલાસો થયો છે. કેટલાક બળવાખોર ધારાસભ્યોએ જણાવ્યું કે, તેમની વફાદારી હજુ પણ પાર્ટી સુપ્રીમો મમતા બેનરજી પ્રત્યે જ છે, પરંતુ હાલમાં તેમનાથી અંતર જાળવીને ચાલી રહ્યા છે.
એક મહિલા ધારાસભ્યે જણાવ્યું કે, ‘અમે આ જીત ‘દીદી’ના કારણે મેળવી છે, અને અમે તેમના સંઘર્ષને સલામ કરીએ છીએ’ પરંતુ તેમણે મમતા બેનરજી દ્વારા કરાયેલી LoPની પસંદગીનો વિરોધ કરીને પક્ષમાંથી હાંકી કઢાયેલા ધારાસભ્ય ઋતબ્રત બેનરજીને સમર્થન આપ્યું હતું.
મમતાની બેઠકમાં માત્ર 5 સાંસદ અને 8 ધારાસભ્યો જ પહોંચ્યા
શુક્રવારે મમતા બેનરજીએ પાર્ટીના નેતાઓની એક મહત્વની બેઠક બોલાવી હતી, પરંતુ આ બેઠકમાં 41 માંથી માત્ર 5 સાંસદો જ હાજર રહ્યા હતા. બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસ પાસે આ વખતે કુલ 80 ધારાસભ્યો છે. બાગી જૂથમાં 58 ધારાસભ્યો છે (જેમાં પક્ષમાંથી હાંકી કઢાયેલા 2 ધારાસભ્યો પણ સામેલ છે). બાકી બચેલા 22 ધારાસભ્યોમાંથી એકની પોલીસે અગાઉથી જ ધરપકડ કરેલી છે. એટલે કે બાકીના 21 ધારાસભ્યોમાંથી પણ મમતાની મીટિંગમાં માત્ર 8 ધારાસભ્યો જ ઉપસ્થિત રહ્યા હતા.
માત્ર LoP નહીં, ધારાસભ્યોની નારાજગીના અન્ય પણ કારણો છે
જો કે, બળવાખોર ધારાસભ્યોનું કહેવું છે કે, તેમના અંતર રાખવાનું કારણ માત્ર નેતા વિરોધ પક્ષ (LoP) નો મુદ્દો નથી, પરંતુ રાજ્યમાં બદલાઈ રહેલો રાજકીય માહોલ અને જનતામાં વધી રહેલો અસંતોષ પણ છે. ઘણા ધારાસભ્યોએ સ્વીકાર્યું કે, જમીની સ્તર પર TMC વિરૂદ્ધ લોકોનો ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અને તેને નજરઅંદાજ કરવો હવે મુશ્કેલ છે.
‘જ્યારે અભિષેક બેનરજી પર હુમલો થઈ શકે, તો આપણી શું હેસિયત?’
દક્ષિણ 24 પરગણામાં રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજી પર ઈંડા, જૂતા અને પથ્થર ફેંકવાની ઘટનાએ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે. ધારાસભ્યોએ પોતાની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. એક ધારાસભ્યે કહ્યું કે, ‘જો અભિષેક બેનરજીને આ રીતે નિશાન બનાવી શકાય, તો આપણી સુરક્ષા હવે આપણા પોતાના હાથમાં છે.’
પોલીસ અને તપાસ એજન્સીઓની કાર્યવાહીનો ડર
કેટલાક ધારાસભ્યોએ કથિત રીતે સહીઓના નકલી દસ્તાવેજો જેવા મુદ્દાઓ પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. એક ધારાસભ્યે કહ્યું, ‘આવું ગેરબંધારણીય કામ આપણી છબી બગાડે છે. હું જનતાને શું જવાબ આપું કે આ સહીઓની ચોરી કેવી રીતે થઈ?’ બળવાખોરોના જણાવ્યા અનુસાર, ‘બીજી એક મોટી ચિંતા પોલીસ અને તપાસ એજન્સીઓની વધી રહેલી કાર્યવાહી છે’. એક ધારાસભ્યે કહ્યું કે, ‘CID બે વાર મારા ઘરે આવી ચૂકી છે. જો મારી ધરપકડ થશે, તો માત્ર મારો પરિવાર પ્રભાવિત થશે, પાર્ટી મદદ માટે આગળ નહીં આવે.’
જાવેદ ખાનના પુત્રને ગેરકાયદેસર મિલકતોના કેસમાં નોટિસ
ધારાસભ્યોએ કેટલાક વરિષ્ઠ નેતાઓ અને તેમના પરિવારો સામે ચાલી રહેલી તપાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. ઉદાહરણ તરીકે જાવેદ ખાનનું નામ સામે આવ્યું, જેમના પુત્રને કોલકાતામાં ગેરકાયદેસર મિલકતોના કેસમાં નોટિસ મળી છે. 24 મેના રોજ પશ્ચિમ બંગાળના શહેરી વિકાસ મંત્રી અગ્નિમિત્રા પૌલે જણાવ્યું હતું કે, ‘જો યોગ્ય જવાબ નહીં મળે તો ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે.’
ધારાસભ્યો માટે વ્યક્તિગત રાજકીય અસ્તિત્વ બચાવવું એ જ પ્રાથમિકતા
બળવાખોર ધારાસભ્યો માટે હાલમાં પોતાનું રાજકીય અને વ્યક્તિગત અસ્તિત્વ બચાવવું એ જ સૌથી મોટી પ્રાથમિકતા છે. તેમનું માનવું છે કે જો MLA પોતાને આ કાનૂની અને રાજકીય સંકટોથી સુરક્ષિત નહીં કરે, તો આગામી પાંચ વર્ષ પોતાના વિસ્તારોમાં ટકી રહેવું મુશ્કેલ બનશે. ખાસ કરીને ત્યારે, જ્યારે પાર્ટીનું નેતૃત્વ જમીની સ્તર પર સક્રિય દેખાતું નથી.
એક ધારાસભ્યે સવાલ ઉઠાવ્યો કે, ‘2021માં જ્યારે ભાજપની ઓફિસો સળગાવવામાં આવી ત્યારે તેમના નેતાઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પરંતુ આજે ટીએમસીનું નેતૃત્વ ક્યાં છે?’ જો કે, આ આંતરિક સંઘર્ષની વચ્ચે સંગઠનમાં મોટા ફેરફારો કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.
રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં નવી નિમણૂકો
કાલીઘાટ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ડેરેક ઓ’બ્રાયન અને ડોલા સેનને રાષ્ટ્રીય સંયુક્ત સચિવ બનાવવામાં આવ્યા છે, જ્યારે ચંદ્રિમા ભટ્ટાચાર્યને રાજ્યના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ફેરફારોને પાર્ટીની અંદરના અસંતોષને નિયંત્રિત કરવા અને સંગઠનને મજબૂત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યા છે.
LoP વિવાદને અદાલતમાં પડકારશે મમતા
બીજી તરફ, મમતા બેનરજી નેતા વિરોધ પક્ષ (LoP) ના વિવાદને કોર્ટમાં પડકારવાની તૈયારી કરી રહ્યા છે, જેથી આ મામલો હવે કાનૂની લડાઈમાં ફેરવાઈ શકે છે. આ દરમિયાન એવી માહિતી પણ સામે આવી છે કે, મમતા અને તેમના ભત્રીજા અભિષેક બેનરજી દિલ્હીમાં વિપક્ષી ગઠબંધન ‘INDIA’ની બેઠકમાં પણ ભાગ લેશે.
મોટા સંકટના સમયગાળામાંથી પસાર થઈ રહી છે તૃણમૂલ
આ વિવાદે ટીએમસીને આંતરિક અને બાહ્ય એમ બંને સ્તરે હચમચાવી દીધી છે. પક્ષના ઘણા મોટા નેતાઓ જેલમાં છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મોટા પાયે રાજીનામા પડી રહ્યા છે, અને અગાઉની સરકાર દરમિયાન થયેલા ભ્રષ્ટાચારના આરોપો પણ સતત સામે આવી રહ્યા છે. આ બધી પરિસ્થિતિ જોતા સ્પષ્ટ લાગે છે કે, તૃણમૂલ કોંગ્રેસ હાલમાં તેના ઇતિહાસના સૌથી મોટા સંકટના સમયગાળામાંથી પસાર થઈ રહી છે.










