અમદાવાદ,મંગળવાર
દીર્ઘાયુ વ્યાસના રૂપિયા ૧૦ લાખના તોડકાંડની ફરિયાદ બાદ ક્રાઇમબ્રાંચે શરૂ કરેલી તપાસમાં એક પછી એક મોટા નામ બહાર આવ્યા હતા. જેમાં દીર્ઘાયુ સાથે સંકળાયેલા કેટલાંક મોટા માથા અને તેના વેબ પોર્ટલના સિનિયર સ્ટાફની વિગતો હતી. જેના કારણે સામાન્ય તોડબાજીના કેસના બદલે ક્રાઇમબ્રાંચે આ કેસને ખાસ કેસ ગણીને તપાાસને ચોક્કસ દિશા પુરતી સિમિત રાખી હતી. જેના કારણે મોટા મોટા કેસના પુરાવા એકઠા કરવામાં સફળ રહેલી ક્રાઇમબ્રાંચને દીર્ઘાયુ વ્યાસે નાશ કરેલા પુરાવા હજુ સુધી મળ્યા નથી. એટલું જ ગાંધીનગરથી દબાણ આવતા નિષ્પક્ષ તપાસ કરતી હોવાનો દાવો કરતી ક્રાઇમબ્રાંચ ઘુંટણીયે પડી ગઇ હોય તેમ મોટા માથાને આ કેસથી બચાવવા માટે સક્રિય થઇ છે.
૧૦ લાખ રૂપિયાની તોડબાજીનો ગુનો નોંધવામાં આવતા દીર્ઘાયુ વ્યાસને શરૂઆતથી તેને વેબપોર્ટલના સિનિયર પત્રકાર અને અન્ય અખબારના પત્રકારોએ બચાવવા માટે તમામ પ્રકારની આડકતરી કાનુની સહાય આપી હતી. દીર્ઘાયુએ પ્રથમ ફરિયાદ દાખલ થતા તેની પત્રકાર યુવતી મિત્રની કાર લીધી હતી અને તેમાં નાસી ગયો હતો. તે પહેલા તે એસ જી હાઇવે પર આવેલી તેની વેબ પોર્ટલની ઓફિસ પર પણ ગયો હતો. જ્યાં તે વેબપોર્ટલના હેડને મળ્યાની વિગતો ક્રાઇમબ્રાંચને મળી છે. પરંતુ, આ કેસમાં દીર્ઘાયુ સાથે તેના વેબપોર્ટલના એક સિનિયર પત્રકાર તેમજ અન્ય સંદેશના સિનિયર પત્રકારની સક્રિય સંડોવણી સામે આવી હતી. જે કેસને લગતા કેટલાંક પુરાવા મળતા ક્રાઇમબ્રાંચે તેમને વગર નોટિસે બોલાવીને પુછપરછ પણ કરી હતી.
ત્યારબાદ દીર્ઘાયુ વ્યાસના કેસમાંથી તેના ડીજીટલ વેબપોર્ટલના હેડ અને સિનિયર પત્રકાર તેમજ અન્ય અખબારના પત્રકારને સલામત રીતે બહાર કાઢવા માટે ક્રાઇમબ્રાંચ પર ગાંધીનગરથી દબાણ આવતા ક્રાઇમબ્રાંચના વડા શરદ સિંઘલે સ્ટેટમેન્ટ બહાર પાડયું હતું કે આ કેસમાં કોઇ સિનિયર પત્રકાર કે તંત્રીને બોલાવવામાં આવ્યા નથી. પરંતુ, હકીકત એ હતી કે વેબપોર્ટલના સિનિયર પત્રકાર મનોજ કારિયાને ક્રાઇમબ્રાંચ બોલાવીને અનેક મુદ્દાઓ પર પુછપરછ કરવામાં આવી હતી. તેમજ દિવ્યભાસ્કર ડીજીટલના હેડ મનીષ મહેતાને પણ તેડુ મોકલ્યું હતું. એટલું જ નહી જ્યારે મનોજ કારિયાની ક્રાઇમબ્રાંચમાં પુછપરછ કરવામાં આવી રહી હતી ત્યારે સંદેશ અખબારના સિનિયર પત્રકાર પણ ક્રાઇમબ્રાંચ પાસે હાજર હતા અને તેમણે મોટા વકીલો અને અન્ય ઉચ્ચ કક્ષાએ દબાણ લાવવા માટે પ્રયત્ન કર્યો હોવાની પણ ચર્ચા છે.ક્રાઇમબ્રાંચ જ્યારે દીર્ઘાયુ વ્યાસને શોધી રહી હતી. ત્યારે પત્રકાર યુવતીને ખ્યાલ હતો કે દીર્ઘાયુ પર ક્રાઇમબ્રાંચ ઉપરાંત, અન્ય પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે. તેમ છતાંય, તેણે આ મામલે પોલીસને જાણ ન કરી હતી અને નાટકીય સંજોગોમાં તેની કાર દીર્ઘાયુ વ્યાસ લઇ ગયો હોવાની અને પરત નહી આપવાની ધમકી આપી હોવાની ફરિયાદ સાબરમતી પોલીસ મથકે નોંધાવી હતી. આ ફરિયાદ પણ ક્રાઇમબ્રાંચની સુચના મુજબ ચોક્કસ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને દાખલ કરવામાં આવી હતી.
આમ, લાખો રૂપિયાના તોડકાંડમાં દીર્ધાયુને મુખ્ય મહોંરૂ બને અને તેને મદદ કરનાર અને તેની સાથે રહી શંકાસ્પદ ભૂમિકા ભજવનાર મોટામાથાને બચાવવા માટે ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ ગાંધીનગરથી દબાણ આવતા કેસની ગંભીર બાબતોને અવગણીને આ કેસને સામાન્ય તોડબાજીનો કેસ હોય તેવુ સાબિત કરવા પ્રયાસ કર્યાની ચર્ચા છે.
દીર્ઘાયુ વ્યાસની એરપોર્ટ પોલીસે ધરપકડ કરી
ક્રાઇમબ્રાંચમાં નોંધાયેલી રૂપિયા ૧૦ લાખના તોડબાજીની ફરિયાદના અનુસંધાનમાં દીર્ઘાયુ વ્યાસની ધરપકડ બાદ રિમાન્ડ પૂર્ણ થતા તેને સેન્ટ્રલ જેલમાં મોકલાયો હતો. ત્યારબાદ એરપોર્ટ પોલીસે તેની બેકરીના વેપારી સાથે છેતરપિંડી અને તોડબાજી કરવાના ગુનામાં ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.
આઇપીએસના વહીવટદારને જ કેસમાં સાક્ષી બનાવી દેવાયા!ે
દીર્ઘાયુ વ્યાસ કેટલાંક સિનિયર આઇપીએસ અધિકારીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટરના નિયમિત સંપર્કમાં રહેતો હતો. આ ઉપરાંત, તે કેતન પટેલ સહિતના કેટલાંક વહીવટદારો સાથે સીધા સંપર્કમાં રહીને અરજીની તપાસથી માંડીને તોડબાજીના કામ કરાવતો હતો. દીર્ઘાયુ વ્યાસ સાથે વહીવટદાર કેતન પટેલનું સતત ચર્ચામાં રહ્યું હતું. જેમાં કેટલીંક જમીનોના સોદા પાર પાડવામાં કેતન પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ, ૧૦ લાખના તોડકાંડ બાદ પોલીસ તંત્ર પર પણ છાંટા ઉડતા ક્રાઇમબ્રાંચે કેટલાંક સિનિયર આઇપીએસના દબાણમાં આવીને કેતન પટેલને આ કેસમાં સાક્ષી બનાવીને ૧૬૪નું નિવેદન નોંધાવ્યાનું પણ જાણવા મળ્યું છે. જેના કારણે હવે દીર્ઘાયુ અને કેતન પટેલે સાથે મળીને કરેલા કારસ્તાનની વિગતોની તપાસ પર પૂર્ણ વિરામ મુકી દેવાયું છે. સૌથી નવાઇની વાત એ છે કે કેટલાંક કિસ્સામાં તાત્કાલિક મોટા ઓર્ડર કરતા રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય કેતન પટેલની ભૂમિકાની તપાસ માટે ગંભીર જણાતા નથી. જેના કારણે તપાસને લઇને અનેક સવાલ ઉભા થયા છે.
વકીલની ઓફિસથી જ સમગ્ર તોડકાંડ શરૂ થયો હતો
ક્રાઇમબ્રાંચે નોધેલા ૧૦ લાખના તોડકાંડની ફરિયાદમાં ઉલ્લેખ છે કે લાલ દરવાજા ખાતે ઓફિસ ધરાવતા વકીલ ઇલીયાઝખાન પઠાણે જ ફરિયાદીની અરજી અંગે દીર્ઘાયુ સાથે વાત કરાવી હતી. અને ફરિયાદીએ નાણાં આપ્યા હતા. તેમ છતાંય, આ કેસમાં પણ પોલીસે વકીલ કે તેમના સ્ટાફની કોઇ ભૂમિકાની તપાસ કરી નહોતી. જ્યારે તોડકાંડ વકીલની ઓફિસથી જ શરૂ થયો હતો.
મોટા દાવા કરતી ક્રાઇમબ્રાંચ નાશ કરેલા પુરાવા ન મેળવી શકી!
દીર્ઘાયુ વ્યાસે તેનું લેપટોપ અને મોબાઇલ ફોન સહિતના પુરાવા પાણીમાં ફેંકી દીધા હોવાનો ઉલ્લેખ ક્રાઇમબ્રાંચની રિમાન્ડ અરજીમાં હતો. સામાન્ય રીતે મોટા મોટા ગુનાઓમાં આકાશ પાતાળ એક કરીને પુરાવા શોધતી ક્રાઇમબ્રાંચ દીર્ઘાયુ વ્યાસે પાણીમાં ફેંકી દીધેલા પુરાવા મેળવવામાં નાટકીય સંજોગોમાં નિષ્ફળ રહી છે. સુત્રોના જણાવ્યા મુજબ દીર્ઘાયુએ પાણીમાં ફેંકી દીધેલા લેપટોપ અને મોબાઇલમાં તેની સાથે સંકળાયેલા સિનિયર પત્રકારો, પોલીસ અધિકારીઓ અને કેટલાંક વ્યવહારોની વિગતો હતી. જે ખુલ્લી પડે તો કેટલાંક લોકો ઉઘાડા પડે તેમ હતા. જેથી પુરાવા ન મળ્યાનો આખો ખેલ રચાયાની ચર્ચા છે.










