![]()
Woman Attacked in Danilimda : અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં જૂની અદાવતનો ખૂનીખેલ સામે આવ્યો છે. અહીં વર્ષ 2024માં થયેલા એક મર્ડર કેસનો બદલો લેવાના ઇરાદે મુખ્ય આરોપીના ભાઈએ ભોગ બનનાર મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો. ગત બીજી ડિસેમ્બરની રાત્રે બનેલી આ ઘટનામાં પોલીસે બે આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે. હુમલાખોરોએ મહિલા પર છરી વડે હુમલો કરી ખૂનની કોશિશ કરી હતી, જેના પગલે દાણીલીમડા વિસ્તારમાં ફરી એકવાર તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે.
દાણીલીમડા પોલીસના જણાવ્યા અનુસાર, ગત બીજી તારીખની રાત્રે લગભગ 10.30 વાગ્યે રજીયાબાનું સૈયદ નામની મહિલા તેમની દુકાન પર હાજર હતા ત્યારે તેમના પર જીવલેણ હુમલો થયો હતો. હુમલાખોરોએ મહિલાના હાથ અને પેટના ભાગે છરીના ઘા માર્યા હતા, જે ખૂનની કોશિશ સમાન હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં અલ હબીબ રેસિડેન્સીમાં મહિલા પર ચપ્પુથી હુમલો, CCTVમાં ઘટના કેદ
પોલીસ તપાસમાં થયેલો ખુલાસો થયો છે કે, આ હુમલા પાછળનું મુખ્ય કારણ જૂની અદાવત હતું. વર્ષ 2024માં ફરિયાદી મહિલા રજીયાબાનું સૈયદના દીકરાએ મુખ્ય આરોપી મઝર ઉર્ફે કસાઈ કુરેશીના ભાઈનું મર્ડર કર્યું હતું. આ હત્યાનો બદલો લેવા માટે મઝર અને તેના સાથી મોહમદ આઝાદીન અલીએ આ ખૂની હુમલો કર્યો હતો. મહત્વની વાત એ છે કે, જે ફરિયાદીના પુત્રએ અગાઉ મર્ડર કર્યું હતું, તે હાલમાં પેરોલ રજા પર બહાર છે.
ઝડપાયેલા બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોતા સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી મઝર ઉર્ફે કસાઈ કુરેશી વિરુદ્ધ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધિત છ જેટલા ગંભીર ગુનાઓ દાખલ છે, જ્યારે મોહમ્મદ આઝાદીન અલી વિરુદ્ધ પણ શરીર સંબંધિત એક ગુનો દાખલ થયેલો છે. પોલીસે હુમલો કરનાર બે આરોપીઓ મઝર ઉર્ફે કસાઈ કુરેશી અને મોહમદ આઝાદીન અલીની ધરપકડ કરી લીધી છે અને તેમના વિરુદ્ધ હત્યાના પ્રયત્નનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.










