![]()
Bihar Hospital Fire : ગઈકાલે દિલ્હીમાં એક હોટેલમાં અગ્નિકાંડમાં 21 લોકોના મોત બાદ આજે બિહારના મુઝફ્ફરપુરમાં આજે વહેલી સવારે એક ખાનગી હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગને કારણે મોટી હોનારત સર્જાઈ છે. શહેરના બ્રહ્મપુરા વિસ્તારમાં આવેલા ‘પ્રસાદ હોસ્પિટલ’ (Prasad Hospital) ના આઈસીયુ (ICU) વિભાગમાં અચાનક આગ ફાટી નીકળતા ચારેતરફ અફરાતફરી મચી ગઈ હતી.
આ દુર્ઘટનામાં ગૂંગળામણ અને દાઝી જવાને કારણે અત્યાર સુધીમાં 4 દર્દીઓના મોતની સત્તાવાર પુષ્ટિ જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે, જ્યારે સ્થાનિક સૂત્રો અને ચર્ચાઓ મુજબ મૃત્યુઆંક 10 સુધી પહોંચવાની આશંકા છે. અનેક દર્દીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
વહેલી સવારે ધડાકા સાથે લાગી આગ
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના ગુરુવારે વહેલી સવારે આશરે 3:20 વાગ્યે ઘટી હતી. હોસ્પિટલના ચોથા માળે આવેલા ICU માં સંભવિત શોર્ટ સર્કિટને કારણે વેન્ટિલેટર અને અન્ય તબીબી ઉપકરણોમાં ધડાકા સાથે આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ સમગ્ર ICU માં ઝેરી ધુમાડો ભરાઈ ગયો હતો. જે સમયે આગ લાગી, તે સમયે ICU માં આશરે 12થી 15 દર્દીઓ દાખલ હતા, જેઓ છેલ્લા એક અઠવાડિયાથી સારવાર હેઠળ હતા. ધુમાડો અને આગની જ્વાળાઓ જોઈને દર્દીઓના પરિજનોમાં નાસભાગ મચી ગઈ હતી અને તેઓ પોતાના સ્વજનોને બચાવવા માટે ચીસાચીસ કરવા લાગ્યા હતા.
હોસ્પિટલ તંત્રની ઘોર લાપરવાહી, બચાવ કામગીરી મોડી
દુર્ઘટના સમયે હોસ્પિટલ પ્રબંધનની મોટી બેદરકારી સામે આવી છે. મૃતકોના પરિજનોએ આરોપ લગાવ્યો છે કે આગ લાગી ત્યારે ICU માં કોઈ પણ ‘અટેન્ડન્ટ’ કે કર્મચારી હાજર નહોતો. આગ લાગ્યા બાદ હોસ્પિટલના કર્મચારીઓ અને તબીબો દર્દીઓને ભગવાન ભરોસે છોડીને પોતાની જાન બચાવવા માટે બહાર ભાગી છૂટ્યા હતા. આગ ઓલવવા માટેના કોઈ સાધનો કામ કરી રહ્યા નહોતા અને હોસ્પિટલની ‘ફાયર ફાઈટિંગ સિસ્ટમ’ સંપૂર્ણપણે ફેલ સાબિત થઈ છે. બચાવ કામગીરીમાં જોડાયેલા લોકો અને પરિજનોની ભારે જહેમત બાદ 20 દર્દીઓને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું.
પ્રશાસનિક એક્શન અને તપાસના આદેશ
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ અને જિલ્લા પ્રશાસનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટર્સે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. મુઝફ્ફરપુરના ડીએમ સુબ્રત કુમાર સેને જણાવ્યું કે, ચોથા માળે ICU માં લાગેલી આગની આ ઘટનાની ગંભીર તપાસ કરવામાં આવી રહી છે. જે પણ લાપરવાહી સામે આવશે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ, એસએસપીએ પણ સ્પષ્ટ કર્યું છે કે તપાસ બાદ હોસ્પિટલ પ્રબંધન સામે પણ ગુનો દાખલ કરવામાં આવશે. હાલમાં અકસ્માતગ્રસ્ત હોસ્પિટલ પરિસરને સીલ કરી દેવામાં આવ્યું છે. આગ એટલી ભયંકર હતી કે સવારે 7 વાગ્યા સુધી હોસ્પિટલમાં દુર્ગંધ અને ધુમાડો જોવા મળી રહ્યો હતો. મૃતકોના પરિજનોએ હોસ્પિટલમાં હંગામો પણ કર્યો હતો, જેમની માંગણી છે કે દોષિતો સામે કડક પગલાં લેવામાં આવે.










