![]()
તાલાલાના ચિત્રોડ ગામ પાસેની મોરેમોરો ઘટનામાં કાર્યવાહી નાણાં આપવા છતાં ડાયરામાં ન આવેલા દેવાયત સામે ફરિયાદ કરતા હુમલો કરાયાનો નવી ફરિયાદમાં ઉલ્લેખ
તાલાલા તાલુકાનાં ચિત્રોડગીર ગામ નજીક અમદાવાદના યુવાનની કાર સાથે કારની ટક્કર મારીને હુમલો કરવા અને લૂંટ ચલાવીને રિવોલ્વર તાકી જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ લોકડાયરાના કલાકાર દેવાયત ખવડ અને 12-15 સાગરીતો સામે આજે પોલીસે ગુનો દાખલ કરીને શોધખોળ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
તાલાલા તાલુકામાં ભારે ચકચાર જગાવનાર ચિત્રોડ ગીર ગામના બનાવ અંગે નાયબ પોલીસ અધિકારી વી.આર. ખેંગારે આપેલી વિગત પ્રમાણે, અમદાવાદનાં સનાથલ ગામનો ધુ્રવરાજસિંહ રામચંદ્રસિંહ ચૌહાણ (ઉ.વ.૨૪) મિત્રો સાથે ફરવા આવેલ અને ચિત્રોડ ગીર ગામ નજીકના ક્રિષ્ના ફાર્મ હાઉસમાં રોકાયા હતાં. તેની ખબર પડતાં રેકી કરી પૂર્વાયોજીત કાવતરૃં રચી લોક ડાયરા કલાકાર દેવાયત ખવડ ફોર્ચ્યુનર અને ક્રેટા બે ગાડીમાં 12 થી 15 મળતીયાઓ સાથે લઈ હુમલો કરવા ચિત્રોડ ગીર ગામે આવ્યા હતા. આ દરમ્યાન ક્રિષ્ના ફાર્મ હાઉસમાંથી આવી રહેલ ધુ્રવરાજસિંહ ચૌહાણની કિયા સેલટોસ ગાડીને આગળ અને પાછળથી ઘેરી કાર સાથે તેમની ગાડી અથડાવી હતી. જેથી ધુ્રવરાજસિંહની ગાડી રોડ ઉપરથી નીચે ઉતરી ગઈ હતી.
આ દરમ્યાન મોંઢા ઉપર કપડા બાંધી આવેલા દેવાયત ખવડ તથા તેમની સાથે 12 થી 15 લોકોનું ટોળું ગાળો આપી ધોકા અને લોખંડના પાઈપ સાથે ધુ્રવરાજસિંહ તુટી પડયું હતું અને ગળામાંથી સોનાનો ચેઈન અને લોકેટ તોડી નાખી ઝુંટવી લીધો હતો અને રીવોલ્વર તાકી જો તું પોલીસ કેસ કરીશ તો આ રીવોલ્વરથી ઠોકી નાખી અને જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી. આ હુમલામાં ધુ્રવરાજસિંહને પગમાં તથા હાથમાં ગંભીર ઈજાઓ થઈ હતી. તેને પ્રથમ તાલાલા ત્યારબાદ વધુ સારવાર માટે જુનાગઢ રીફર કર્યો હતા. આ બનાવ અંગે ધુ્રરાજસિંહની ફરિયાદ લઈ પોલીસે લોક ડાયરા કલાકાર દેવાયત ખવડ તથા 12 થી 15 તેમના મળતીયાઓ સામે મુજબનો તાલાલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે. તાલાલા પંથકમાં દંગલ મચાવનાર લોક ગાયક કલાકાર તથા તેમના મળતીયાઓને ઝડપી લેવા તાલાલાના પી.આઈ. જે.એન ગઢવીએ વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવે તાલાલા પંથકમાં ભારે ચકચાર જગાવી છે.
લોકડાયરા કલાકારનો ગુનાહીત ઈતિહાસ
ચિત્રોડ ગીર ગામ નજીક મળતીયાઓ સાથે દંગલ મચાવનાર લોકગાયક કલાકાર દેવાયત ખવડ સામે અગાઉ ચોટીલા, મુળી, સુરેન્દ્રનગર, બોપલ દસક્રોઈ અમદાવાદ, એ. ડિવીઝન રાજકોટ શહેર વિગેરે પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ નોંધાયા છે. જેમાં તાલાલા પંથકમાં દંગલ મચાવવાના ગુનાનો ઉમેરો થયો છે.










