![]()
ધનતેરસ નિમિત્તે ઠાકોરજીને લીલા કલરના વાઘાથી સુશોભિત કરાયા
રૂપચતુર્દશી નિમિત્તે ઠાકોરજીને સોનાચાંદી, હીરાજડિત આભૂષણો તેમજ સુવર્ણજડિત મુગટનો શણગાર કરાશે
દ્વારકા: અહીના જગતમંદિરમાં દિવાળી પર્વ શૃંખલામાં ધનતેરસ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં ધન્વંતરી પૂજન અન્વયે ઠાકોરજીને લીલા રંગના વાઘા પરિધાન કરાવાયા હતા. ભોગમાં લીલા પકવાન ધરાવાયા હતા. ધનતેરસ નિમિતે વિશેષ શૃંગાર મનોરથ પણ યોજવામાં આવ્યો હતો. આજે રૂપચતુર્દશી નિમિત્તે હાટડી દર્શન અને દીપમાળા દર્શન યોજાશે. જેમાં ઠાકોરજીને સોનાચાંદી હીરાજડિત આભુષણો અને સુવર્ણજડિત મુગટનો શણગાર કરાશે.
દ્વારકાધીશ મંદિરમાં રૂપચતુર્દશી અને દિપાવલી પર્વ ઉજવાશે. જગતમંદિરમાં રાત્રિના સમયે હાટડી દર્શન યોજાશે જેમાં ઠાકોરજી શામળા શેઠ બનીને વેપારી બનશે,તમામ પ્રકારની મીઠાઈઓની હાટડી ભરીને ત્રાજવા તોલા સાથે બિરાજી ચોપડા પૂજન અને સોના ચાંદીના સિક્કાનું પૂજન કરવામાં આવશે. તા.૨૧મીએ સવારે ૧૧-૩૦ કલાકે ગોવર્ધન પૂજા યોજાશે બાદમાં સાંજે પ થી ૭ અન્નકુટ મહોત્સવ ,તા.રરમીએ નૂતનવર્ષ તેમજ તા. ૨૩મી ઓકટોબરે ભાઈબીજની ઉજવણી કરવામાં આવશે.
જન્માષ્ટમી પર્વની જેમજ દિવાળી પર્વ શૃંખલામાં દ્વારકા, નાગેશ્વર જયોતિર્લિંગ, બેટદ્વારકા, શિવરાજપુર, બ્લુ ફ્લેગ બીચ, હર્ષદ ,ગાંધવી, ગોપીતળાવ, સહિતનના સ્થળો પર માનવ મહેરામણ ઉમટી પડશે. આ વર્ષે સુદર્શન સેતુ ચાલુ હોવાથી તેની મુલાકાતે પણ લોકો આવશે. શિવરાજપુર બીચમાં સ્કુબા ડાઈવિંગ, બેઠદ્વારકામાં ડોલ્ફીન વ્યૂઈંગ સિઝન ચાલુ થતી હોવાથી સહેલાણીઓનો ધસારો રહેશે.










