Amreli News: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક ધાતરવડી નદીમાં એક અત્યંત કરૂણ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં નહાવા અને માછલી પકડવા ગયેલા ચાર યુવાનો ડૂબી જવાથી તેમનું મૃત્યુ થયું છે. 28મી ઓક્ટોબરે બનેલી આ ઘટનાના પગલે સમગ્ર રાજુલા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ત્રણ દિવસની શોધખોળ બાદ ચારેય મૃતદેહ મળ્યા
ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે યુવાનોની શોધખોળ શરૂ કરી હતી. સતત ત્રણ દિવસની ભારે જહેમત અને શોધખોળ બાદ ડૂબી ગયેલા ચારેય યુવાનોના મૃતદેહ એક બાદ એક મળી આવ્યા છે.

મળતી માહિતી અનુસારા, અમરેલી ફાયર વિભાગની ટીમે 29મી ઓક્ટોબરે ડૂબી ગયેલા ચાર યુવકોમાંથી મેરામ પરમાર અને પીન્ટુ વાઘેલાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. જ્યારે આજે (30મી ઓક્ટોબર) સવારે કાના પરમાર નામના યુવકનો મૃતદેહ ઘટનાસ્થળથી આશરે પાંચ કિલોમીટર દૂર જૂની માંડવડી ગામ નજીકથી મળી આવ્યો. જ્યારે ચોથા યુવકનો મૃતદેહ આજે (ગુરુવાર) બપોરે ઘાતરવડી ડેમ પાસેના માડરડીથી જાપોદેરના પુલ નજીકની મળી આવ્યો છે

મૃતકોમાં ત્રણ સગા ભાઈનો સમાવેશ
આ ગંભીર દુર્ઘટનાનું સૌથી દુઃખદ પાસું એ છે કે ડૂબી ગયેલા ચાર યુવાનોમાંથી ત્રણ યુવકો સગા ભાઈઓ હતા, જેના કારણે એક જ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મૃતદેહોની શોધખોળમાં ફાયર વિભાગની ટીમે ત્રણ મૃતદેહો શોધી કાઢ્યા હતા, જ્યારે એક મૃતદેહ શોધવામાં NDRFની ટીમે પણ મદદ કરી હતી. નદીમાં ડૂબી જવાની આ ગંભીર દુર્ઘટનાએ રાજુલા પંથકના ગ્રામજનોને હચમચાવી દીધા છે.
સમગ્ર ઘટના અંગે સ્થાનિક પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કરૂણ બનાવને પગલે વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.









