![]()
સ્થાનિક સ્વરાજમાં ભાજપ સૌરાષ્ટ્રનાં 5 મંત્રીનું વર્ચસ્વ પણ માપશે : આપની વ્યાપક હાજરી છતાં વિવાદો, કોંગ્રેસની નબળાઈઓ અને ભાજપની ઉદ્દંડતા વચ્ચે પરિણામો વિશે વિશ્લેષકોને વિમાસણ
રાજકોટ, : એક તરફ જ્યાં શિક્ષિતોના વધુ વસવાટ છતાં કેટલાંક શહેર- નગરોમાં મતદાન ઘટયું છે અને બીજી બાજુ પ્રશ્નોથી ઘેરાયેલાં ગ્રામીણ વિસ્તારોમાં મતદાન વધુ થયું છે એવામાં ક્યાં પુનરાવર્તન અને ક્યાં એન્ટી ઈન્કમ્બન્સી ફેક્ટરને લીધે પરિવર્તન, એ રહસ્ય ઘેરાયું છે.
સૌરાષ્ટ્રમાં આવા મિશ્ર પરિબળોને લઈને પરિણામોની અટકળો માંડવામાં રાજકીય વિશ્લેષકો ગૂંચવણ અનુભવી રહ્યા છે. મતદાનનું સૌથી નોંધપાત્ર ચિત્ર પાલિકાઓનું છે, જે પૈકી 2021નાં પરિણામો મુજબ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી જ્યાં વિજેતા બની હતી એ જામરાવલમાં 6 ટકાના વધારા સાથે 79.32 ટકા, કોંગ્રેસે જીતેલી સિક્કા પાલિકામાં 11 ટકા, માળિયામિયાણામાં અધધધ…16 ટકા તેમજ સુત્રાપાડામાં તો 9 ટકા વધારા સાથે મહત્તમ- 81 ટકા મતદાન નોંધાયું છે. ભાજપે જીતેલી પાલિકાઓમાંથી કેશોદ, ખંભાળિયા, વાંકાનેર, વેરાવળ, અમરેલી તથા ઊનામાં સામાન્યથી લઈને 13 ટકા જેવો મતદાન- વધારો થયો છે. આપની વ્યાપક ઉમેદવારી છતાં દારૂ- હુમલા જેવા વિવાદ, કોંગ્રેસમાં સંગઠનનો અભાવ, ભાજપના મદને લીધે જે સ્થિતિ થઈ હતી તેના પરથી પરિણામો અકળ બન્યાં છે.










