![]()
મહાનગરપાલિકાનો એક્શન પ્લાન : 20 કરોડ રસ્તા પાછળ ખર્ચાશે
શહેરના મુખ્ય સ્થળોને જોડતો હેરિટેજ પાથ તૈયાર કરી પર્યટન ફ્રેન્ડલી બનાવાશે તળાવ સફાઈ, અર્બન ફોરેસ્ટ, ફાયર સેફ્ટી જેવા ૧૫ વિષય પર કામગીરીનું આયોજન
નડિયાદ: નડિયાદ મહાપાલિકાએ આગામી સમયમાં શહેરના વિકાસ માટેનો એક્શન પ્લાન જાહેર કર્યો છે. શહેરમાં ૨૦ કરોડના રસ્તા, રૂા. ૬.૯૭ કરોડના ખર્ચે ગ્રામ પંચાયતોમાં ૧૧ નવા સિટી સિવિક સેન્ટર બનાવાશે. શહેરના મુખ્ય સ્થળોને જોડતા હેરિટેજ પથ, તળાવોની સફાઈ સહિતના મહત્વના કામોના આયોજન પર ભાર મૂકાયો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર જી. એચ. સોલંકીએ જણાવ્યું હતું કે, સફાઈ, પરિવહન, રસ્તાઓ, શિક્ષણ, ઢોર નિયંત્રણ, જાહેર બાંધકામ, તળાવ રીનોવેશન, ગટર સફાઈ, અર્બન ફોરેસ્ટ, ફાયર સેફ્ટી, ગાર્ડન સફાઈ, સ્પોર્ટ્સ અને હેરિટેજ પાથ જેવા મહત્વના ૧૫થી વધુ વિષયો પર કામગીરી હાથ ધરાઈ છે. જેમાં સફાઈ બાબતે, નવા કોન્ટ્રાક્ટના અમલીકરણથી ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના માટે ૮૦થી વધુ વ્હીકલ વસાવવામાં આવ્યા છે. શહેરના રસ્તાઓના સુદ્રઢીકરણ માટે ચોમાસા બાદ ૨૦ કરોડથી વધુ રકમના રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવાનું આયોજન છે. જાહેર બાંધકામને મજબૂત કરવાના આશયથી ઈપ્કોવાળા ઓડિટોરિયમ સાથે તેની પાછળની જગ્યાએ એક્ઝિબિશન સેન્ટર પણ તૈયાર કરવામાં આવશે. નડિયાદ શહેરને પર્યટન ફ્રેન્ડલી બનાવવા માટે શહેરના મુખ્ય સ્થળોને કનેક્ટ કરતો હેરિટેજ પાથ તૈયાર કરવામાં આવશે અને શહેરમાં આવેલી બે વાવનું રિનોવેશન પણ કરવામાં આવશે. કમળા, પીપલગ અને ડુમરાલ તળાવની સફાઈ માટે રૂ. ૧ કરોડના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શહેરની હરિયાળીનું સ્તર ઊંચું લાવવા અર્બન ફોરેસ્ટ ડેવલપમેન્ટ માટેનું આયોજન છે, અને ફાયર સેફ્ટી માટે અધ્યતન નવા સાધનો પણ વસાવવામાં આવ્યા છે.મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ કરવામાં આવેલી ગ્રામ પંચાયતોના નાગરિકોને પ્રાથમિક જન સુવિધા નજીકના સ્થળે મળી રહે તે માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં રૂ. ૬.૯૭ કરોડના ખર્ચે ૧૧ જેટલા સિટી સિવિક સેન્ટર ઊભા કરવામાં આવશે. આ પગલાથી ગ્રામજનોને તેમના રોજીંદા કામકાજ માટે દૂર સુધી ધક્કા ખાવા નહીં પડે અને વહીવટી પ્રક્રિયા સરળ બનશે, તેવી અપેક્ષા છે.
– બાસ્કેટ બોલ, વોલીબોલ, બોક્સ ક્રિકેટની સુવિધા ઉભી કરાશે
રમતગમતને પ્રોત્સાહન આપવાના હેતુસર શહેરની જુદી જુદી જગ્યાએ બાસ્કેટ બોલ, વોલીબોલ અને બોક્સ ક્રિકેટની સુવિધા આપવાનું આયોજન છે. ઉપરાંત, શહેરમાં જરૂરિયાત મુજબ ગટર કામગીરી, દબાણ, સફાઈ, પાકગ અને શિફ્ટિંગના કામો પણ હાથ ધરવામાં આવ્યા છે.
– મનપાના કર્મચારીઓને નિયમિત પગાર આપવાની કમિશનરની ખાતરી
મહાનગરપાલિકા હેઠળ કામ કરતા આઉટસોસગ કર્મચારીઓને નિયમિત પગાર આપવામાં આવી રહ્યો છે. સફાઈ કર્મચારીઓના પ્રશ્નો બાબતે સરકારના માર્ગદર્શન મુજબ અમલ કરવામાં આવશે. શિક્ષણ, ગેરકાયદે દબાણ, ખોરાક તપાસ, ટાઉન પ્લાનિંગ, ગંદકી અને ગટરલાઇન જેવા પ્રશ્નો ધ્યાને લઈ તેના ઉકેલની દિશામાં કામગીરી કરવાની કમિશનરે ખાતરી આપી હતી.










