![]()
– તંત્ર માત્ર નોટિસો આપીને સંતોષ માનતું હોવાનો આક્ષેપ
– બિલ્ડરે બેઝમેન્ટ અને ફ્રન્ટ પાર્કિંગ બંધ કરી માસિક 50 હજારનું ભાડું વસૂલવાનું શરૂ કર્યાનો આક્ષેપ, રહીશોની આંદોલનની ચીમકી
નડિયાદ : નડિયાદ શહેરના કોલેજ રોડ પર આવેલા શીતવંદન કોમ્પલેક્સના રહીશો અને દુકાનદારો બિલ્ડરની મનસ્વી નીતિ અને ગેરકાયદે પ્રવૃત્તિઓથી ત્રાહિમામ્ પોકારી ઉઠયાં છે. બિલ્ડર દ્વારા કોમ્પલેક્સના પાર્કિંગની જગ્યાનો વ્યવસાયિક ઉપયોગ કરી ગેરકાયદે બાંધકામ ખડકી દેવામાં આવતા સ્થાનિકોની સુવિધા છીનવાઈ ગઈ છે, જે બાબતે અનેક કચેરીઓમાં રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
શીતવંદન કોમ્પલેક્સમાં પાર્કિંગની જગ્યા અન્ય વ્યક્તિઓને ભાડે આપી દઈ ત્યાં વ્યાપારી હેતુ માટે સામાન રાખવામાં આવી રહ્યો છે અને તેની સામે બિલ્ડર દ્વારા તોતિંગ ભાડું વસૂલવામાં આવે છે, તેવો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અરજદારના જણાવ્યા મુજબ, રહીશોને વાહનો મૂકવા માટે મુશ્કેેલી ઊભી કરવાના આશયથી આગળના ભાગનું પાર્કિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત બિલ્ડરે કોઈ પણ વહીવટી મંજૂરી મેળવ્યા વિના બે માળનું ગેરકાયદે બાંધકામ કરી ત્યાં પેઈંગ ગેસ્ટ તરીકે લોકોને રાખવાનું શરૂ કર્યું છે, જે સમગ્ર બિલ્ડિંગની સુરક્ષા માટે જોખમી સાબિત થઈ શકે છે. રહીશોએ નડિયાદ મહાનગરપાલિકાથી લઈને રાજ્યપાલ સુધી લેખિતમાં રજૂઆતો કરી છે અને કલેક્ટર દ્વારા પણ દબાણ હટાવવા હુકમ કરવામાં આવ્યો હતો, પરંતુ બિલ્ડરની નીતિ સામે સરકારી તંત્ર લાચાર સાબિત થઈ રહ્યું હોય તેમ જણાય છે. તંત્ર દ્વારા માત્ર નોટિસો આપીને સંતોષ માનવામાં આવે છે પરંતુ પ્રત્યક્ષ કામગીરી થતી નથી. જો આગામી દિવસોમાં આ ગેરકાયદે બાંધકામ દૂર કરી પાકગની જગ્યા ખુલ્લી કરવામાં નહીં આવે તો રહીશોએ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની તૈયારી દર્શાવી છે.
કલેક્ટરના હુકમનું પણ સરેઆમ ઉલ્લંઘન
જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા શીતવંદન કોમ્પલેક્સમાં થયેલા દબાણો અને ગેરકાયદે બાંધકામ દૂર કરવા અગાઉ સ્પષ્ટ આદેશો જારી કરવામાં આવ્યા હતા. તેમ છતાં બિલ્ડર દ્વારા આ સરકારી હુકમનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે.
મહાનગરપાલિકાના મૌન સામે પ્રશ્નાર્થ
નડિયાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર આનંદ ઉકાણીએ તપાસ અને નોટિસની પ્રક્રિયા ચાલુ હોવાનું રટણ કર્યું છે, બીજીતરફ ટાઉન પ્લાનિંગ વિભાગ તો સંપૂર્ણપણે ગાઢ નિંદ્રામાં હોવાનું જણાઈ રહ્યું છે. જેથી મહિનાઓ વીતવા છતાં બિલ્ડર સામે કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી. રહીશોમાં એવી પણ ચર્ચા છે કે, બિલ્ડર અને તંત્રના કેટલાક અધિકારીઓ વચ્ચેની મિલીભગતને કારણે આ ગેરકાયદે બાંધકામ યથાવત્ રાખવામાં આવી રહ્યું છે અને કાર્યવાહીના નામે માત્ર સમય પસાર કરવામાં આવે છે.










