![]()
– કબ્રસ્તાન ચોકડી પાસે મનપાએ બાંધકામના સાધનો જપ્ત કર્યા
– સપ્તાહના અંતે રજાનો લાભ લઈ દુકાનોનું ગેરકાયદે કામ પૂરું કરવાની ભૂમાફિયાઓની પેરવી પર મહાપાલિકાએ પાણી ફેરવ્યું
નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકાની માલિકીની જગ્યા પર કબ્રસ્તાન ચોકડી પાસે જૂની દુકાનો તોડીને રાતોરાત નવી દુકાનોનું ગેરકાયદે બાંધકામ શરૂ કરનારા ભૂમાફિયા ઉપર તંત્રની તવાઈ બોલાવી છે. સમગ્ર મામલો પ્રકાશમાં આવતા જ મહાનગરપાલિકા દ્વારા તત્કાલ કામગીરી અટકાવી દેવામાં આવી છે અને બાંધકામમાં વપરાયેલા સાધનો પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે.
નડિયાદમાં કબ્રસ્તાન ચોકડીની સામે આવેલી મહાનગરપાલિકાની માલિકીની દુકાનો પર વર્ષોથી ખાનગી વ્યક્તિ દ્વારા ગેરકાયદે કબ્જો જમાવવામાં આવ્યો હતો. આ દુકાનોને તોડી પાડીને નવું કન્સ્ટ્રક્શન યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાયું હતું. શનિવાર અને રવિવારની રજાનો લાભ લઈને ભૂમાફિયા દ્વારા આ દુકાનોનું કામકાજ પ્લીન્થ લેવલથી આગળ વધારીને પૂરું કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાની ટીમે શનિવારે મોડી સાંજે જ સ્થળ પર પહોંચીને કામગીરી અટકાવી દીધી હતી અને બાંધકામનાં સાધનો જપ્ત કરી લીધા હતા. ગેરકાયદેસર બાંધકામની ચર્ચા વચ્ચે ડેપ્યુટી કમિશનરે તપાસ બાદ નિયમોનુસાર કાર્યવાહીની ખાતરી આપી હતી અને તેના ગણતરીના સમયમાં જ તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
સમગ્ર મામલે મહાનગરપાલિકા દ્વારા કાયમ માટે અહીંયા પોતાની જગ્યાનો કાયદેસર કબજો લેવામાં આવશે કે કેમ, તે અંગે સવાલ ઉઠી રહ્યો છે. અગાઉ નડિયાદ નગરપાલિકાના સમયે સાંસદ સુવિધા કેન્દ્રની સામે આ જ રીતે બે દુકાનનું ગેરકાયદે રીતે રાતોરાત કામ શરૂ કરાયું હતું. તે સમયે નગરપાલિકાની ટીમે કામ બંધ કરાવ્યા બાદ મામલો શાંત પડતાં પુનઃ કામગીરી કરી અને દુકાનો ભૂમાફિયાઓના હવાલે કરી દેવાઈ હતી. વર્તમાન કિસ્સામાં મહાનગરપાલિકા દ્વારા ક્યાંક મામલો સમી જાય પછી બંધ બારણે વહીવટ કરીને પુનઃ દુકાનોની કામગીરી કરવાની પરવાનગી આપી દેવાય છે કે કેમ, તે સમય આવ્યે માલુમ પડશે.










