![]()
વડોદરા, તા.20 વડોદરામાં સોમવારથી નવરાત્રિના ગરબાના મહા ઉત્સવની શરૃઆત થશે. વડોદરામાં ગરબા રમ્યા બાદ અનેક લોકો શહેરની નજીકની અવાવરુ જગ્યા પર પહોંચી જતા હોય છે. ગયા વર્ષે આવી જ એક ઘટનામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી પરંતુ હજી પણ આ વિસ્તારોમાં અનેક અવાવરુ વિસ્તારો છે જ્યાં રોડ પર હજી લાઇટો લગાવવામાં આવી નથી.
ગયા વર્ષે નવરાત્રિમાં દુષ્કર્મની ઘટનાએ સમગ્ર શહેર તેમજ રાજ્યને હચમચાવી નાંખ્યું હતું. આ ચકચારભર્યો કેસ હજી પણ કોર્ટમાં ચાલુ છે. ભાયલી પાસેના રોડ પર બનેલી આ ઘટના અવાવરૃ જગ્યા હતી જ્યાં સ્ટ્રીટ લાઇટ જેવી કોઇ સુવિદ્યા હતી નહી. આ ઘટના બાદ તંત્ર જાગ્યું હતું પરંતુ હજી પણ અંધારામાં જ હોય તેમ લાગી રહ્યું છે. ગયા વર્ષે દુષ્કર્મવાળો રોડ હાલ ૭૫ મીટર રિંગ રોડ બની રહ્યો છે.
વડોદરાના પશ્ચિમ વિસ્તારની અવાવરૃ જગ્યાઓ પ્રેમીઓ તેમજ લુખ્ખા તત્વો માટે સ્વર્ગસમાન છે. એકલતા માણતા પ્રેમીઓને પોલીસના નામે દમ મારી લુખ્ખા તત્વો લૂંટી લેતા હોય છે. આવા અવાવરૃ વિસ્તારોના રોડ પર હજી પણ લાઇટોની સુવિદ્યા ન હોવાની ફરિયાદો ઉઠી છે. પશ્ચિમ વિસ્તારમાં જે સ્થળો અંધારાવાળા છે તેમાં મેટ્રિક કાઉન્ટી ચાર રસ્તાથી સમિયાલા તરફનો ૭૫ મીટર રિંગરોડ તેમજ આ રોડ પરની પોલીસ ચોકીની કેબિન પાસે જ લાઇટોની સુવિદ્યા નથી.
આ ઉપરાંત નવરચના યુનિવર્સિટીની પાછળના ૭૫ મીટર રિંગરોડ પર, વીહેવ કાઉન્ટી પાસે, પ્રગતિ હાઇસ્કૂલની પાછળનો રોડ હજી પણ અવાવરુ જેવો જ છે. ભાયલી બળિયાદેવ મંદિરથી સમિયાલા તેમજ ભાયલી-ગોકુળપુરારોડ અને શિવાય ફાર્મથી સેવાસી ચોકી વચ્ચેના રોડ પર કેટલાંક સ્થળોએ લાઇટની સુવિદ્યા હજી તંત્ર દ્વારા કરવામાં આવી નથી. તેવી જ રીતે સોનારકુઇરોડ પર પણ યોગ્ય લાઇટિંગ નહી હોવાથી ગમે ત્યારે કોઇ અનિચ્છનિય ઘટના બને તેવો ભય છે.










