![]()
દિલ્હી બ્લાસ્ટને પગલે દરિયાકાંઠા વિસ્તારોમાં ચેકિંગ : મદ્રેસા માટે ફાળો કરવા આવ્યાનું રટણઃ નવાબંદર પહેલાં દિવ ગયા હતા : કેન્દ્રીય એજન્સીઓ પણ પૂછતાછ માટે આવે એવી સંભાવના
જૂનાગઢ/ઉના, : ઉના તાલુકાના નવાબંદરમાં આવેલી એક મસ્જિદમાંથી ત્રણ કાશ્મીરી શખ્સ શંકાસ્પદ હાલતમાં પકડાયા છે. આ મામલે પૂછપરછ કરતા તેણે મદ્રેસા માટે ફાળો લેવા આવ્યાનું રટણ કર્યું હતું. અજાણ્યા શખ્સોને મસ્જિદમાં આશરો આપવા બદલ પોલીસે મસ્જિદના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી તેની અટકાયત કરી હતી, જ્યારે માંગરોળની એક હોટલમાંથી પણ બે કાશ્મીરી ભાઈઓ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. આ બંનેએ પણ ફાળો કરવા માટે આવ્યાનું રટણ કર્યું હતું. હાલ આ અંગે સુરક્ષા એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર ગુજરાતમાં હાઈએલર્ટ છે. ગીર-સોમનાથ એસઓજી તથા સ્થાનિક પોલીસ દ્વારા ઉનાના નવાબંદરમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે નવાબંદર ગામમાં આવેલી મદિના મસ્જીદમાં ત્રણ શંકાસ્પદ શખ્સ રોકાયા હોવાની બાતમી મળી હતી. જેના આધારે નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એચ.એલ. જેબલીયા સહિતના સ્ટાફે આ મસ્જીદમાં તપાસ કરતા ત્યાંથી કશ્મીરના પુછ જિલ્લાના મોહરાબસીયા ગામના મકસુદ અહેમદ ખાલીદ હુસેન (ઉ.વ.37), મકસુદ અહેમદ અબ્દુલ લતીફ (ઉ.વ. 31) અને પુછ તાલુકાના ચંડક ગામના જાવેદ અહેમદ મહમદ રસીદ ચૌહાણ (ઉ.વ. 40) મળી આવ્યા હતા. આ શખ્સોની પૂછપરછ કરતા તેઓ મદ્રેસા માટે ફાળો લેવા આવ્યા હોવાનું તેમજ નવાબંદર પહેલા દિવ ગયાનું જણાવ્યું હતું. પોલીસ પૂછપરછમાં જાવેદ અહેમદ ચૌહાણનો ભાઈ જમ્મુ કશ્મીર પોલીસમાં ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેના ડોક્યુમેન્ટ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.
જ્યારે માંગરોળમાં આવેલી હોટલમાં બે શંકાસ્પદ શખ્સો રોકાયા હોવાની બાતમી મળતા જૂનાગઢ એસઓજીના સ્ટાફે તપાસ કરી હતી. ત્યાંથી જમ્મુ કશ્મીરના પુછ જીલ્લાના સુરનકોટ તાલુકાના ફાગલા ગામના જુનેદ અહેમદ મહમદ આઝાદ મુકરાણી (ઉ.વ. 27) અને તેનો ભાઈ નિયાજ અહેમદ મહમદ આઝાદ મુકરાણી (ઉ.વ. 20) નામના બે સગા ભાઈ મળી આવ્યા હતા. તેઓની પૂછપરછ કરતા મદ્રેસા માટે ફાળો લેવા આવ્યાનું જણાવ્યું હતું. આ શખ્સો પાસે તેના ડોક્યુમેન્ટ હતા તેમજ તેઓએ હોટલમાં આધારકાર્ડ આપી રૂમ બુક કરાવ્યો હોવાનું સામે આવ્યું હતું. હાલ એસઓજીએ આ બંને શંકાસ્પદ શખ્સને જૂનાગઢ લઈ આવી વધુ પૂછપરછ હાથ ધરી છે.
નવાબંદરની મસ્જિદમાં આશરો આપનાર સંચાલક સામે ગુના
કાશ્મીરથી આવેલા ત્રણેય શખ્સોને નવાબંદર ગામની મસ્જીદમાં આશરો આપવામાં આવ્યો હતો તેમ છતાં મસ્જીદના મોલવીએ પોલીસને કોઈ જાણ કરી ન હતી. આથી નવાબંદર પોલીસે જાણ કર્યા વગર મસ્જીદમાં આશરો આપવા મામલે નવાબંદરની મસ્જીદના સંચાલક મહમદઅમીન આજમમીયા બહારૂની (ઉ.વ.૬૦) સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી તેની અટકાયત કરી હતી.
કાશ્મીરી ભાષા બોલીને પોલીસને ચકરાવે ચઢાવી
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, આ બંને શખ્સ કાશ્મીરની સ્થાનિક ભાષા બોલે છે. હિન્દી ભાષા આવડતી નથી તેવું રટણ કરે છે. આ શખ્સો પાસેથી ફાળા માટેની સાતથી આઠ બુક મળી છે. વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ શંકાસ્પદ શખ્સોની પૂછપરછ માટે કેન્દ્રીય એજન્સીઓ પણ આવે એવી સંભાવના છે.










