Rajinder Gupta: ટ્રાઇડેન્ટ ગ્રુપના ચેરમેન રાજિંદર ગુપ્તાને આમ આદમી પાર્ટી (AAP)એ પંજાબમાં રાજ્યસભાની પેટાચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા છે. સોગંદનામામાં આપેલી માહિતી મુજબ, તેમના નામે કોઈ કાર કે ખેતીની જમીન ન હોવા છતાં ₹5053 કરોડ છે. તેમજ તેમના પર કોઈ લોન પણ નથી. જો તેઓ આ ચુંટણી જીતે છે, તો તેઓ રાજ્યસભાના સૌથી ધનિક સભ્યોમાંના એક બની જશે. પંજાબની આ એક બેઠક માટે 24 ઓક્ટોબરે મતદાન થશે અને તે જ દિવસે સાંજે પરિણામો પણ જાહેર થશે, સાથે જ જમ્મુ-કાશ્મીરની 4 બેઠકો પર પણ મતદાન થશે.
રાજિંદર ગુપ્તા બિનહરીફ રાજ્યસભામાં પહોંચી જશે
નામાંકન પત્રોની ચકાસણી પછી, સ્વતંત્ર ઉમેદવાર નવનીત ચતુર્વેદીનું નામાંકન ખામીના કારણે રદ્દ થયું. હવે માત્ર રાજિંદર ગુપ્તા અને તેમના બેકઅપ ઉમેદવાર તરીકે રહેલા તેમના પત્ની મધુ ગુપ્તા જ મેદાનમાં છે. મધુ ગુપ્તા તેમનું નામાંકન પાછું ખેંચી લેશે, જેના પરિણામે રાજિંદર ગુપ્તા બિનહરીફ રાજ્યસભામાં પહોંચી જશે.
રાજેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું છે કે તેમના પરિવાર પાસે ₹4338 કરોડની જંગમ સંપત્તિ છે. આ ઉપરાંત, ₹615 કરોડની સ્થાવર સંપત્તિ છે. ગુપ્તા મેટ્રિક પાસ છે, જ્યારે તેમના પત્ની મધુ ગુપ્તાએ ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે. ગુપ્તા પરિવાર પત્ની મધુના નામે મધુરાજ ફાઉન્ડેશનનું સંચાલન પણ કરે છે.
આ પણ વાંચો: ગોવાના કૃષિ મંત્રી અને પૂર્વ સીએમ રવિ નાઈકનું નિધન, વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
આમ આદમી પાર્ટીએ અગાઉ પણ ધનિક ઉમેદવાર ઉતાર્યા છે
રાજિંદર ગુપ્તાએ જણાવ્યું છે કે તેમની વિરુદ્ધ નાગપુરમાં 2021માં એક FIR પણ નોંધાઈ હતી, જેને તેમણે બોમ્બે હાઈકોર્ટમાં પડકારી છે. આ પહેલો પ્રસંગ નથી જ્યારે આમ આદમી પાર્ટીએ કોઈ ધનિક ઉદ્યોગપતિને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય લીધો હોય. આ પહેલા સુશીલ ગુપ્તાને મોકલવામાં આવ્યા હતા, જે અનેક શાળાઓ સહિત અનેક સંસ્થાઓના માલિક છે અને ધનિક લોકોમાં તેમની ગણતરી થાય છે.











