![]()
Panam Dam Panchmahal : પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમના 2 નંબરના દરવાજામાં રબર સીલ લીકેજ થતાં બદલવામાં આવ્યો છે. આમ જૂનો દરવાજો કાઢી નવો દરવાજો નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. થોડા સમય અગાઉ 2 નંબરના દરવાજામાં રબર સીલ લીકેજ થવાના કારણે યુદ્ધના ધોરણે મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પાનમ ડેમમાં રબર સીલ લીકેજ થતાં 2 નંબરનો દરવાજો બદલાયો
મળતી માહિતી મુજબ, પંચમહાલના જીવાદોરી સમાન ગણાતા પાનમ ડેમના 2 નંબરના દરવાજામાં ડાબી બાજુ રબર સીલ લીકેજ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. પાનમ યોજના વર્તુળ વિભાગ તેમજ યાંત્રિક વિભાગ-1 વડોદરાના અધિકારીઓ દ્વારા રબર સીલના લીકેજને બંધ કરવા માટે મેન્ટેનન્સ કામગીરી હાથ ધરી હતી. જેમાં સૌપ્રથમ લીકેજને બંધ કરવા માટે 2 નંબરના દરવાજાની આગળના ભાગે સ્ટોપ-લોગ ઈન્સ્ટોલ કરવાની કામગીરી કરવામાં આવી હતી.
સ્ટોપ-લોગ ઈન્સ્ટોલ કર્યા બાદ પાનમ ડેમનો 2 નંબરનો દરવાજો કાઢીને નવો દરવાજો નાખવામાં આવ્યો છે. જોકે, પાનમ ડેમના દરવાજામાં લીકેજ થતાં નદી કાંઠા અને આસપાસના ગામોના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જેથી પાનમ વિભાગના અધિકારીઓએ યુદ્ધના ધોરણે નવો દરવાજો બદલાવી કામગીરીને પાર પાડતા નદી કાંઠા તેમજ આસપાસના ગામોના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
આ પણ વાંચો: અમરેલી: ચાલુ બસમાં યુવક બેભાન થઈ ઢળી પડ્યો, તે જ બસમાં સવાર મહિલા નર્સે CPR આપી જીવ બચાવ્યો
ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ બંધ સુરક્ષાને ધ્યાને લઈ પાનમ ડેમના તમામ 10 દરવાજા બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી 7, 8 અને 2 નંબરનો દરવાજા એમ કુલ 3 દરવાજા બદલવામાં આવ્યા છે. જ્યારે 4 નંબરના દરવાજાને બદલવાની કામગીરી ચાલુ છે, તો અન્ય 6 દરવાજા બદલવાના બાકી હોવાથી તે કામગીરી પણ તબક્કાવાર શરૂ કરાશે.









