![]()
ગાંધીનગર નજીક આવેલા પેથાપુર ગામમાં
સાસરીમાં પ્રસંગ હોવાથી મકાન બંધ કરીને ગયા તે ત્યારે ચોરીની ઘટના ઃ ભાઈએ જાણ કરતા પરત આવ્યા
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુરના સ્વામિનારાયણ વાડો
વિસ્તારમાં રહેતો પરિવાર તેમનું મકાન બંધ કરીને હાલોલ ખાતે ધામક પ્રસંગમાં હાજરી
આપવા માટે ગયો હતો તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનનું તાળું તોડીને તેમાંથી
સોના ચાંદીના દાગીના અને રોકડ મળીને ૮.૮૫ લાખ રૃપિયાની મત્તા ચોરી લીધી હતી.
શિયાળો શરૃ થતાની સાથે ગાંધીનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય
વિસ્તારમાં તસ્કરો ઉતરી પડે છે ત્યારે આ વખતે પણ ગાંધીનગરમાં તસ્કરોએ દેખા દીધી
હોવાનું લાગી રહ્યું છે. શહેર નજીક આવેલા પેથાપુરમાં બંધ મકાનમાંથી લાખો રૃપિયાની
ચોરીની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે પેથાપુર
ખાતે સ્વામીનારાયણ વાડો વિસ્તારમાં રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા કાંતિભાઈ
અમરચંદ શર્મા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે ગત શુક્રવારે તેમની સાસરી
હાલોલ ખાતે ધામક પ્રસંગમાં જવાનું હોવાથી પરિવારના સભ્યો મકાન બંધ કરીને હાલોલ ગયા
હતા. ગઈકાલે તે તેમની સાસરીમાં હાજર હતા તે દરમિયાન પાડોશમાં રહેતા તેમના ભાઈ
દેવકીનંદન દ્વારા તેમને જાણ કરવામાં આવી હતી કે ગઈકાલે રાત્રે તપાસ કરતા તેમના
મકાનનું તાળું યોગ્ય હતું પરંતુ આજે સવારે પૂજા કરવા જતા તાળું તૂટેલી હાલતમાં
જોયું છે. જેના પગલે કાંતિભાઈ તુરંત જ હાલોલથી પેથાપુર ખાતે ઘરે આવી ગયા હતા અને
ઘરમાં જોતા સામાન વેર વિખેર હાલતમાં હતો અને કબાટના ડ્રોવરમાં મુકેલા સોના ચાંદીના
દાગીના અને રોકડ રકમ મળીને ૮.૮૫ લાખ રૃપિયાની ચોરી થઈ હતી. જેથી આ સંદર્ભે પેથાપુર
પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને
ફરાર થઈ ગયેલા તસ્કરોને પકડી પડવા દોડધામ શરૃ કરી હતી.










