![]()
– નિવારણ અને ઉપાય પર્યાવરણીય શાસનના કેન્દ્રમાં હોવા જોઇએ
– પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સંભવિત પર્યાવરણીય નુકસાન માટે દંડ વસુલ કરવાનો અધિકાર
– સુપ્રીમે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પર્યાવરણીય દંડ માંગવાની સત્તામાં ઘટાડો કરવાના દિલ્હી હાઇકોર્ટના ૨૦૧૨ના નિર્ણયને રદ કર્યો
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની દંડ ફટકારવાની સત્તાને માન્યતા આપી છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે નિવારણ અને ઉપાય પર્યાવરણીય શાસનના કેન્દ્રમાં હોવા જોઇએ.
ન્યાયમૂર્તિ પી એસ નરસિંહા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે વોટર એક્ટ અને એર એક્ટની જોગવાઇઓ હેઠળ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને બંધારણીય અને કાયદાકીય રીતે વાસ્તવિક અથવા સંભવિત પર્યાવરણીય નુકસાન માટે દંડ વસુલ કરવાનો અધિકાર છે.
ન્યાયમૂર્તિ નરસિંહાએ જણાવ્યું હતું કે ભારતીય પર્યાવરણીય કાયદાઓને સંચાલિત કરતા સિંદ્ધાતો પર વિચાર કર્યા પછી અમારુ માનવું છે કે પર્યાવરણીય નિયમનકારો, વોટર અને એર એક્ટ હેઠળ સત્તાઓનો ઉપયોગ કરતા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નિશ્ચિત રકમના સ્વરૂપમાં વળતર અથવા દંડ નાખી શકે છે અને વસૂલ કરી શકે છે. સંભવિત પર્યાવરણ નુકસાનને રોકવા બેંક ગેરંટી આપવાની માંગ કરી શકે છે.
ચુકાદામાં જણાવવામાં આવ્યું છે કે આ સત્તાઓ વોટર અને એર એક્ટની કલમ ૩૩એ અને ૩૧એ હેઠળ સશક્તિકરણ માટે આનુષંગિક અને સહાયક છે. કુદરતી ન્યાય, પારદર્શિતા અને નિશ્ચિતતાના જરૂરી સિંદ્ધાતોને સમાવિષ્ટ કરીને ગૌણ કાયદા દ્વારા નિર્ધારિત પ્રક્રિયા અનુસાર સત્તાઓનો ઉપયોગ કરવો જોઇએ.
જો કે ખંડપીઠે સ્પષ્ટતા કરી છે કે આવું નુકસાન ફોજદારી દંડથી અલગ છે. કારણકે તે દીવાની પ્રકૃતિના હોય છે અને તેનો ઉદ્દેશ નિયમોનો ભંગ કરનારાઓને સજા કરવાને બદલે પર્યાવરણીય અધોગતિને પુનઃસ્થાપિત કરવા અથવા અટકાવવાનો હેતુ ધરાવે છે.
સુપ્રીમ કોર્ટે ૨૦૧૨ના દિલ્હી હાઇકોર્ટના એ નિર્ણયને રદ કર્યો છે જેમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પર્યાવરણીય દંડ માંગવાની સત્તામાં ઘટાડો કરવામાં આવ્યો હતો.










