![]()
Mohan Bhagwat On Pakistan : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવભર્યા સંબંધો વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ભારત હંમેશા શાંતિ માટે પહેલ કરે છે, પરંતુ પાકિસ્તાન વારંવાર માહોલ બગાડવાનો પ્રયાસ કરે છે. બેંગલુરુમાં ‘100 સાલ કી સંઘ યાત્રા – નયે ક્ષિતિજ’ કાર્યક્રમમાં સંબોધતી વખતે ભાગવતે પાકિસ્તાનને ચેતવણી આપી કે, ભારત દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.
પાકિસ્તાન વારંવાર માહોલ બગાડવાનો પ્રયાસ કરે છે : મોહન ભાગવત
તેમણે કહ્યું કે, ‘ભારત હંમેશા પાકિસ્તાન સાથે શાંતિ ઈચ્છે છે, પરંતુ પાકિસ્તાન તેની કદર કરતું નથી. ભારત હંમેશા શાંતિ ઈચ્છે છે, પરંતુ પાકિસ્તાન ભારતને નુકસાન પહોંચાડવાની મજાને જ શાંતિ સમજે છે. ભારત તરફથી ઝઘડાની શરૂઆત ન થવી જોઈએ. પરંતુ જો પાકિસ્તાન કરાર તોડશે તો તેને સફળતા નહીં મળે. પાકિસ્તાન જેટલો પ્રયાસ કરશે, તેટલું તેને જ નુકસાન થશે.’
પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવો પડશે : RSS પ્રમુખ
RSS પ્રમુખે કહ્યું કે, પાકિસ્તાનને ભારતની શાંતિની ભાષા સમજાતી નથી, તેથી તેને તેની જ ભાષામાં જવાબ આપવો પડશે, જે તે સમજે છે. પાકિસ્તાન સમજતું નથી કે, તેઓ ભારતનું કશું બગાડી શકે તેમ નથી. તેથી આપણે તે ભાષા બોલવી પડશે, જે પાકિસ્તાનને સમજાય.’
‘1971માં પાકિસ્તાને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો’
ભાગવતે 1971ના યુદ્ધને યાદ કરતા કહ્યું કે, જ્યારે પાકિસ્તાને હુમલો કર્યો હતો, ત્યારે તેને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે પાકિસ્તાને 90,000 સૈનિકોની આખી સેના ગુમાવી હતી. જો તે આવી હરકતો ચાલુ રાખશે, તો તેને ફરીથી પાઠ મળશે.’
આ પણ વાંચો : પાકિસ્તાન બંધારણમાં ફેરફાર કરી આસિમ મુનીરની સત્તા વધારશે, કમાન્ડર ઓફ ડિફેન્સ ફોર્સિઝ બનાવશે
ભારતને સતર્ક રહેવાની સલાહ
ભાગવતે ભારતને સાવચેત રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે સલાહ આપી કે, ‘આપણે પાકિસ્તાનના દરેક પ્રયાસ માટે તૈયાર રહેવું પડશે. દરેક વખતે તેને પછતાવો થાય, તેવો જડબાતોડ જવાબ આપવો પડશે. એક દિવસ પાકિસ્તાનને સમજાશે કે સહયોગમાં જ તેની ભલાઈ છે.’
આ પણ વાંચો : ‘પાકિસ્તાનની માગ અયોગ્ય, અમે યુદ્ધ નથી ઈચ્છતા અને જો થયું તો…’ તાલિબાનની સ્પષ્ટ ધમકી










