![]()
બોરસદ પાલિકામાં ‘હાજરી કૌભાંડ’નો પર્દાફાશ
આરટીઆઈ કરનાર વ્યક્તિના પ્રતિનિધિની દુકાન સામે રોડ ઉપર બેસીને ચક્કાજામ : હડતાલની ચીમકી ઉચ્ચારાઇ
આણંદ: બોરસદ નગરપાલિકામાં અગાઉ ૧૯૦ જેટલા કર્મચારીઓની ખોટી હાજરી ભરીને મોટી રકમનો પગાર ચૂકવાયો હોવાની આરટીઆઈ થતા ભારે ચકચાર મચી છે. તપાસમાં અંદાજિત ૧૫ લાખથી વધુ રકમનો પગાર વધુ ચૂકવાઈ ગયો હોવાનું ખુલતા ચીફ ઓફિસરે તમામ કર્મચારીઓનો પગાર અટકાવી દીધો હતો, જેના વિરોધમાં રોષે ભરાયેલા કર્મચારીઓએ આરટીઆઈ કરનાર વ્યક્તિના પ્રતિનિધિની દુકાન સામે રોડ પર બેસીને સૂત્રોચ્ચાર કરી ચક્કાજામ સર્જ્યો હતો.
આ સમગ્ર મામલાની વિગત મુજબ, બોરસદના એક નાગરિક દ્વારા માહિતી અધિકાર હેઠળ નગરપાલિકાના કર્મચારીઓના છેલ્લા પાંચ વર્ષના પગાર રેકોર્ડની વિગતો માંગવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન વર્ષ ૨૦૨૨થી ૨૦૨૫ સુધીના રેકોર્ડમાં અનેક કર્મચારીઓની વાષક ૩૬૨ દિવસની હાજરી પૂરીને પગાર ચૂકવ્યો હોવાનું સામે આવ્યું હતું. રજાના દિવસોમાં પણ હાજરી ભરાઈ હોવાના કોઈ લેખિત પુરાવા ન મળતા ચીફ ઓફિસર વિરાજ શાહે તપાસના અંતે પગાર રિકવરીનો આદેશ કર્યો હતો. રેકોર્ડ મુજબ, કેટલાય કર્મચારીઓને ૧૫ હજારથી લઈને ૪૦ હજાર રૂપિયા સુધીનો પગાર વધુ ચૂકવાયો છે. આ માતબર રકમ વસૂલવા માટે ચીફ ઓફિસરે દર મહિને દરેક કર્મચારીના પગારમાંથી ૨૦૦૦થી ૫૦૦૦ રૂપિયાનો કાપ મૂકી ૮ મહિનામાં રિકવરી કરવાનું નક્કી કર્યું હતું.
પગાર અટકાવાતા અને રિકવરીના આદેશથી ઉશ્કેરાયેલા કર્મચારીઓએ બસ સ્ટેન્ડ પાસે અરજી કરનારના કુ.મુ. દિલીપભાઈ ભટ્ટની દુકાન સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. જોકે, દિલીપભાઈએ જણાવ્યું હતું કે, તેઓ માત્ર કાયદેસરની પ્રક્રિયા લડી રહ્યા છે અને વિરોધ પાલિકા કચેરીએ કરવો જોઈએ. બાદમાં પાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસર સાથે થયેલી વાટાઘાટો પણ અનિણત રહી હતી. બીજી તરફ, કર્મચારી મંડળના અગ્રણી રિતેશભાઇ ઠાકરે ચીમકી આપી છે કે, જો ત્રણ દિવસમાં પગારનો નિકાલ નહીં આવે તો સોમવારથી સફાઈ, પાણી, ગટર અને લાઈટ સહિતની તમામ પાયાની સેવાઓ બંધ કરી અચોક્કસ મુદતની હડતાલ પાડવામાં આવશે. હાલમાં ચીફ ઓફિસર કર્મચારીઓની સંમતિ વગર પગાર નહીં કરવાના નિર્ણય પર મક્કમ હોવાથી બોરસદમાં વહીવટી મડાગાંઠ સર્જાઈ છે.
બોરસદ નગરપાલિકાના ચીફ ઓફિસર વિરાજ શાહે જણાવ્યું હતું કે, આર.ટી.આઈ હેઠળ થયેલ અરજીના સંદર્ભે ૨૦૨૨થી ૨૦૨૫ સુધીના પગાર રેકોર્ડ અને હાજરી તપાસવામાં આવી હતી. જેમાં ભૂતકાળના વર્ષોેમાં કર્મચારીઓએ રજાના દિવસોની હાજરી ભરી હોવા છતાં પણ ત્યાંના કોઈ લેખિત પુરાવા ન હોવાથી ના છૂટકે અમારે પગાર રિકવરી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
બોરસદ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ગુરૂવારે બપોરે બોરસદ પાલિકાના વહીવટદાર અને પ્રાંત અધિકારીને પાલિકામાં કર્મચારીઓ વિરુદ્ધ હાજરી સંદર્ભે ખોટી અરજીઓ કરીને હેરાનગતિ કરનાર વ્યક્તિઓ સામે આવેદન પત્ર આપીને તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ રજૂઆત કરી હતી.










