![]()
શેત્રુંજી તીર્થમાં ડોળીના લેવાતા પૈસા બંધ કરાવ્યાની દાઝે
ભાવનગર – પાલિતાણા શેત્રુંજી તીર્થમાં ડોળીના લેવાતા પૈસા બંધ કરાવ્યાની દાઝે ડોળી કામદાર સમૃદ્ધિ યોજનાના સહયોગીઓ પર ચાર શખ્સોએ હુમલો કરી માર માર્યા અંગેની પોલીસ ફરિયાદ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ ખાતે રહેતા અને પાલિતાણામાં શેત્રુંજય ડોળી કામદાર સમૃદ્ધિ યોજના હેઠળ તેમજ ડોળી કામદાર અને શેત્રુંજય તીર્થની યાત્રા કરવા આવતા યાત્રિકોને સહયોગી થવાનું કામ કરતા વિરેશભાઈ ફુલચંદભાઈ શેઠે પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં હર્ષ, પુના દેવાભાઈ ભરવાડ, લાલા પોપટભાઈ ભરવાડ અને ઘોઘા રઘુભાઈ ભરવાડ (તમામ રહે.પાલિતાણા) વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ડોળી રજિસ્ટ્રેશન માટેના યૂનિયન તરફથી ડોળી રજિસ્ટ્રેશનના નામે લેવાતા ગેરકાયદેસરના રૃ.૨૦ ડોળી કમિટિમાં સરકાર તરફથી બંધ કરાવવાનું નક્કી થયું હતું. જેનું જાહેરનામું પ્રસિદ્ધ થયું હોવા છતાં યૂનિયનવાળા રૃપિયા ઉઘરાવતા હોય ઉપરાંત ડોળી લેબર યુનિયનના બે કેસ હાઈકોર્ટમાં કર્યાં હોય આ બધાની દાઝે ઉક્ત લોકોએ પાલિતાણા શેત્રુજી તીર્થ તળેટી ઓડિટોરિયમ સામે ઉક્ત લોકો દિનેશભાઈ તથા તેમની પર લાકડી વડે હુમલો કરી માર મારી જીવલેણ ઈજા પહોંચાડી હતી. આ અંગે પાલિતાણા ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.








