![]()
LPG alternative India DME: દેશમાં દરરોજ કરોડો ઘરોમાં રસોઈ બનાવવા માટે LPG સિલિન્ડરનો ઉપયોગ થાય છે. પરંતુ, દેશની જનતા સુધી આ ગેસ સુચારૂ રૂપે પહોંચાડવા માટે ભારત મોટાપાયે વિદેશો પર નિર્ભર છે. આ દરમિયાન પુણેની ‘CSIR-નેશનલ કેમિકલ લેબોરેટરી’ના વૈજ્ઞાનિકો એક એવી સ્વદેશી ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે, જે આગામી સમયમાં એલપીજીનો એક મોટો વિકલ્પ બની શકે છે. આ નવી ટેક્નોલોજીનું નામ છે ડાઇમેથાઇલ ઇથર (DME). આ ટેક્નોલોજીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને ભારતમાં જ ઉપલબ્ધ સંસાધનો જેવા કે કોલસો, બાયોમાસ અને મિથેનોલમાંથી સરળતાથી તૈયાર કરી શકાય છે. જો આ ટેક્નોલોજી મોટા સ્તર પર સફળ થશે, તો ભારતની વિદેશી એલપીજી પરની નિર્ભરતા ઘણી ઓછી થઈ જશે.
શરૂઆતમાં એલપીજીમાં 20% ડીએમઇ ભેળવવામાં આવશે
આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા વૈજ્ઞાનિક ડૉ. ટી. રાજાના જણાવ્યા અનુસાર, ડીએમઇ (DME) અને એલપીજીના ઉપયોગમાં ઘણી સમાનતા છે. તેને પ્રોપેન અને બ્યુટેન ગેસ સાથે સરળતાથી મિશ્ર કરી શકાય છે અને તેનો ઉપયોગ ઘરેલું ગેસ અથવા ઇન્ડસ્ટ્રિયલ ફ્યુઅલ (ઔદ્યોગિક બળતણ) તરીકે થઈ શકે છે. રાહતની વાત એ છે કે, શરૂઆતના તબક્કામાં 20 ટકા ડીએમઇ અને 80 ટકા એલપીજીના મિશ્રણનો ઉપયોગ કરવાની યોજના છે, જેના કારણે સામાન્ય લોકોને પોતાના વર્તમાન ગેસ ચૂલા કે સિલિન્ડર બદલવાની કોઈ જરૂર નહીં પડે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ડીએમઇનો ઉપયોગ માત્ર રસોડા પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ એલપીજીથી ચાલતી ઓટો રિક્ષામાં પણ ઇંધણ તરીકે આનો ઉપયોગ કરી શકાશે. એટલે કે, આ નવી ટેક્નોલોજી ઘરેલું ગેસથી લઈને ટ્રાન્સપોર્ટ સેક્ટર સુધી મોટો સકારાત્મક બદલાવ લાવી શકે છે.
દેશના આશરે ₹34,200 કરોડ બચશે
આ સ્વદેશી ટેક્નોલોજી અપનાવવાથી ભારતને આશરે 4.04 અબજ ડૉલર એટલે કે અંદાજે 34,200 કરોડ રૂપિયાની ફોરેન કરન્સી બચાવવામાં મોટી મદદ મળી શકે છે. હાલના સમયમાં આ પગલું ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ અને વૈશ્વિક તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના સપ્લાય અને કિંમતો પર સતત દબાણ વધી રહ્યું છે.
કેવી રીતે બનાવવામાં આવે છે ડીએમઇ (DME)?
ડીએમઇ બનાવવાની પ્રક્રિયા પણ એકદમ આધુનિક છે. આમાં ‘કોલ ગેસિફિકેશન’ ટેક્નોલોજી દ્વારા પહેલા કોલસાને સિન્થેટિક ગેસમાં બદલવામાં આવે છે અને ત્યારબાદ તેમાંથી ડીએમઇ તૈયાર થાય છે. વૈજ્ઞાનિકોના મતે, ડીએમઇ જ્યારે સળગે છે ત્યારે પરંપરાગત હાઇડ્રોકાર્બન ઇંધણની તુલનામાં ખૂબ જ ઓછું પ્રદૂષણ ફેલાવે છે, તેથી જ તેને એક શ્રેષ્ઠ ‘ક્લીન ફ્યુઅલ’ (સ્વચ્છ ઇંધણ) તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: પ્રેમથી માની જાઓ તો સારું, નહીંતર…: રસ્તા પર નમાઝ મુદ્દે યુપીના CM યોગીની ચેતવણી
બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા ભારતમાં 20 ટકા ડીએમઇ-એલપીજી બ્લેન્ડિંગ (મિશ્રણ)ના ધોરણોને પહેલેથી જ મંજૂરી આપી દેવામાં આવી છે. જો કે, અત્યારે ભારતમાં ડીએમઇનું ઉત્પાદન માત્ર પાયલોટ પ્રોજેક્ટના સ્તર પર જ થઈ રહ્યું છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે જો આ ક્ષેત્રમાં યોગ્ય સરકારી નીતિ અને રોકાણ મળે તો તે ખૂબ જ ઝડપથી આગળ વધી શકે છે.
ચીન વૈશ્વિક ઉત્પાદનમાં સૌથી આગળ, ભારત સ્વનિર્ભરતા તરફ
એક રસપ્રદ તથ્ય એ પણ છે કે દુનિયામાં ડીએમઇના ઉત્પાદનમાં ચીન અત્યારે સૌથી મોખરે છે અને વિશ્વની કુલ ક્ષમતાનો લગભગ 90 ટકા હિસ્સો તેની પાસે છે. આવા સમયે ભારત આ સ્વદેશી ટેક્નોલોજી દ્વારા ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે એક મોટું પગલું ભરી રહ્યું છે. પુણેની લેબોરેટરીમાં આના પર કામ કરી રહેલા યુવા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ માત્ર એક સામાન્ય રિસર્ચ પ્રોજેક્ટ નથી પરંતુ દેશની ઊર્જા સુરક્ષા સાથે જોડાયેલું એક મોટું મિશન છે. તેમનું દ્રઢપણે માનવું છે કે આવનારા વર્ષોમાં ડીએમઇ ભારત માટે એ જ મહત્ત્વની ભૂમિકા ભજવશે, જે ક્યારેક એલપીજીએ ભજવી હતી.










