![]()
વડોદરાઃ શહેરના તાંદલજા વિસ્તારમાં પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરનાર પત્નીને મદદ કરનાર પ્રેમી અને અન્ય સાગરીતને શોધવા માટે વડોદરા પોલીસે મુંબઇમાં છાપા માર્યા છે.
તાંદલજા વિસ્તારમાં ચોતરાવાળા ફળિયામાં રહેતી ગુલબાનુ બંજારા નામની મહિલા મુંબઇમાં રહેતા મૂળ યુપીના બાળપણના મિત્ર તૌસિફના પ્રેમમાં હોવાથી બંનેએ ભેગા મળીને તા.૧૮મીએ રાત્રે પતિ ઇર્શાદ બંજારાની હત્યા કરી હતી.
આ બનાવમાં હત્યારો તૌસિફ અકોટાની હોટલમાં રોકાયો હતો અને પ્રેમિકાને બોલાવી યોજના બનાવી હતી.તૌસિફે ઘેનયુક્ત ગોળીઓ પણ આપી હતી.જે દૂધમાં મિશ્રણ કરીને રાત્રે પત્નીએ પતિને પીવડાવી હતી.યોજના મુજબ મધરાતે તૌસિફ,ગુલબાનુ અને તૌસિફના સાગરીતે પતિનું માથું પછાડી ગળેફાંસો આપ્યો હતો.પત્નીએ બનાવને કુદરતી મોતમાં ખપાવ્યો હતો.પરંતુ મરનારના પરિવારે શંકા વ્યક્ત કરતાં કબરમાંથી લાશ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.જેમાં હત્યાનો ભેદ ખૂલ્યો હતો.
આ ચકચારી બનાવમાં ડીસીપી મંજીતા વણઝારાએ ટીમોને મુંબઇ મોકલી હતી.જ્યાં બે દિવસથી તૌસિફના આશ્રય સ્થાનો પર છાપા મારવામાં આવી રહ્યા છે.પરંતુ હજી સુધી ફળદાયી હકીકત મળી નથી.આવી જ રીતે તૌસિફના સાગરીત તરીકે મહેતાબ છે કે બીજો કોઇ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.










