![]()
The 3Fs Focus appeal by Sitharaman: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરમાં થયેલા વધારા વચ્ચે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે જણાવ્યું હતું કે, ફ્યૂલ પરની એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાને કારણે સરકારને આશરે ₹1 લાખ કરોડની આવકનું નુકસાન વેઠવું પડશે. સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા (SIDBI) ની 37મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં નાણા મંત્રીએ આ વાત કરી હતી.
લોકોમાં આત્મવિશ્વાસ જગાડવાની જરૂરિયાત પર ભાર
નાણા મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા 10 દિવસમાં ચાર વાર વધારો કરાયો છે. સોમવારે પેટ્રોલ પ્રતિ લિટર ₹2.61 અને ડીઝલ પ્રતિ લિટર ₹2.71 મોંઘું થયું છે, જેને કારણે સામાન્ય જનતાનું બજેટ ખોરવાઈ ગયું છે. આ અંગે નાણા મંત્રી સીતારમણે કહ્યું હતું કે, નકારાત્મક વલણ ધરાવતા કેટલાક લોકો દેશમાં નિરાશાવાદ ફેલાવી રહ્યા છે, પરંતુ સરકારે શબ્દો અને કામથી લોકોને આત્મવિશ્વાસ આપવો પડશે. સામાન્ય પ્રજા અને ઉદ્યોગોને મોંઘવારીના મારથી બચાવવા માટે સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર 10 રૂપિયાનો ઘટાડો કરી દીધો છે અને તમામ ભાર સરકારે પોતાના ખભા પર લઈ લીધો છે.
વૈશ્વિક ઓઈલ પુરવઠા ચેઈનમાં વિક્ષેપ
ઉલ્લેખનીય છે કે, તાજેતરના ભાવવધારા પહેલા સરકારે તેની બળતણ જકાત માળખામાં સુધારો કરીને પેટ્રોલ પરની વિશેષ વધારાની એક્સાઇઝ ડ્યૂટી ઘટાડીને પ્રતિ લિટર ₹3 કરી હતી અને ડીઝલ પરથી સંપૂર્ણપણે હટાવી દીધી હતી. પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે વૈશ્વિક ઓઈલ ચેઈનમાં સતત વિક્ષેપ પડી રહ્યો છે. ખાસ કરીને હોર્મુઝના જળમાર્ગના આસપાસના તણાવને કારણે ઊર્જા પ્રવાહ પ્રભાવિત થયો છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંઘર્ષના કારણે હોર્મુઝ જેવા મહત્ત્વના દરિયાઈ માર્ગ પર ઊર્જા પુરવઠો ખોરવાઈ ગયો છે, જેની અસરો સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે.
‘3 Fs’ પર ધ્યાન કેન્દ્રિત કરવા આહવાન
પશ્ચિમ અશિયા સંકટને આશરે ત્રણ મહિના થવા આવ્યા છે, ત્યારે નાણા મંત્રીએ વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય અર્થતંત્ર મજબૂત હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘બદલાતી સ્થિતિમાં ‘3 Fs’ એટલે કે ફ્યૂઅલ (બળતણ), ફર્ટિલાઈઝર (ખાતર) અને ફોરેક્સ (વિદેશી હૂંડિયામણ) પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. વડાપ્રધાન મોદીની અપીલ પણ આ જ સંદર્ભમાં હતી. વૈશ્વિક દબાણને કારણે જ ખાતરના ભાવ વધ્યા છે, તો સોનાના ઊંચા ભાવ પણ હુંડિયામણ સહિતના પડકારો સર્જી રહ્યા છે.’
આ પણ વાંચો: દરેક દેશમાં બેવકૂફો હોય છે…!, ભારત આવેલા અમેરિકાના વિદેશ મંત્રીના એક નિવેદનથી કેમ મચ્યો હોબાળો?
હાલના પડકારો વૈશ્વિક પરિબળોના કારણે છે
જાણે ‘બધું કડડભૂસ થઈને તૂટી રહ્યું છે’ તેવી અતિશયોક્તિભરી નકારાત્મકતા ફેલાવનારા લોકોને જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, ‘સામાન્ય લોકો દ્વારા જે કંઈ પણ સારું કામ થઈ રહ્યું છે, તેને ભૂલી જવામાં આવે છે અને એક નિરાશાવાદી, શંકાસ્પદ વાર્તા ઊભી ઘડી કઢાય છે, જે બિલકુલ યોગ્ય નથી. આપણે એ સમજવું જોઈએ કે પડકારો વધુ પ્રમાણમાં બાહ્ય પરિબળોથી પ્રેરિત છે. ભારતની સ્થાનિક આર્થિક સ્થિતિ આજે પણ હકારાત્મક અને સ્થિતિસ્થાપક છે. પશ્ચિમ એશિયા કટોકટી વચ્ચે કેટલાક લોકો દેશની પોતાની સિદ્ધિઓને ઓછી આંકવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે યોગ્ય નથી.’
MSMEs માટે વિલંબિત ચૂકવણીનો મુદ્દો ઉઠાવ્યો
નાણા મંત્રી સીતારમણે નાના ઉદ્યોગોની ચિંતા કરતા જણાવ્યું હતું કે, ‘MSMEs (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો) ના અટવાયેલા ₹8.1 લાખ કરોડની વિલંબિત ચૂકવણી તેમની કાર્યકારી મૂડી અને વૃદ્ધિને અસર કરી રહી છે. જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs)ને MSMEs માટે નક્કી કરાયેલી 45 દિવસની સમયમર્યાદામાં ચૂકવણી સુનિશ્ચિત થવી જોઈએ.’










