![]()
અમદાવાદ : જેફરીઝના શેરબજારના નિષ્ણાત ક્રિસ્ટોફર વુડે તેમના રિપોર્ટમાં જણાવ્યું હતું કે આ વર્ષે ભારતીય શેરબજારે અન્ય દેશોની સરખામણીમાં નબળું પ્રદર્શન કર્યું છે. દેશની આર્થિક સ્થિતિ સૂચવે છે કે રૂપિયાનો ઘટાડો હવે રોકી શકાય છે. આ વર્ષે, અન્ય ઉભરતા બજારોના ચલણોમાં રૂપિયો સૌથી નબળો રહ્યો છે. જો કે આ નબળાઈ પાછળનું કારણ ચૂંટણી જીતવા માટે જાહેર કરવામાં આવતી ફ્રી સ્કીમ્સ (વિના મુલ્યે વિતરણ યોજનાઓ) અને છૂટછાટો છે.
વુડના મતે, આગામી વર્ષ (૨૦૨૫-૨૬) માં ભારતની ચાલુ ખાતાની ખાધ નોંધપાત્ર રીતે GDPના માત્ર ૦.૫% સુધી ઘટી શકે છે. આ છેલ્લા ૨૦ વર્ષમાં સૌથી નીચો હશે. તેમણે એમ પણ નિર્દેશ કર્યો કે ભારત પાસે હાલમાં ૬૯૦ બિલિયન ડોલરનો વિદેશી હૂંડિયામણ ભંડાર છે, જે ૧૧ મહિના માટે દેશની આયાતને આવરી લેવા માટે પૂરતો છે.
રૂપિયાને સ્થિર રાખવામાં એક નોંધપાત્ર જોખમ છે. તે જોખમ રાજ્ય સરકારો દ્વારા ચૂંટણી જીતવા માટે આપવામાં આવતી વિના મુલ્યે વિતરણ યોજનાઓ અને છૂટછાટો છે. તેમના મતે, આનાથી રાજ્યોના ઘણા પૈસા ખર્ચ થઈ રહ્યા છે. કેન્દ્ર સરકારની નાણાકીય સ્થિતિ સારી છે, પરંતુ રાજ્ય સરકારોની સ્થિતિ નબળી પડી રહી છે કારણ કે છેલ્લા બે વર્ષમાં, રાજ્યોએ આવી ઘણી લોકપ્રિય યોજનાઓ શરૂ કરી છે, જે ચિંતા પેદા કરે છે.
વુડ કહે છે કે આ વર્ષે સરકારે ઘણા પગલાં લીધા છે, જેમાં વ્યાજ દર ઘટાડવા, ક્રેડિટ વધારવા અને જીએસટી દર ઘટાડવા સામેલ છે. પરંતુ આ પગલાં અર્થતંત્રને ફાયદો પહોંચાડી રહ્યા છે તે આગામી મહિનાઓમાં જાણી શકાશે. જો આ પગલાં જીડીપી વૃદ્ધિને વેગ નહીં આપે, તો ભારતીય શેરબજારના ઊંચા મૂલ્યાંકન જોખમમાં મુકાઈ શકે છે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ આ વર્ષે ભારતના શેરબજારે MSCI ઇમર્જિંગ માર્કેટ્સ ઇન્ડેક્સ કરતાં ૨૭% ઓછું પ્રદર્શન કર્યું છે. આનો અર્થ એ છે કે અન્ય દેશો આગળ રહ્યા છે જ્યારે ભારત પાછળ રહી ગયું છે. જો કે, આ સંપૂર્ણપણે ખરાબ નથી, કારણ કે ભારતમાં સ્થાનિક રોકાણકારો સતત શેર ખરીદી રહ્યા છે, જે મંદીને અટકાવે છે.
આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સે ભારતના આઈટી સેવા ક્ષેત્ર પર સૌથી વધુ અસર કરી છે. સપ્ટેમ્બર ૨૦૨૫ ક્વાર્ટરમાં, ભારતીય આઈટી કંપનીઓની આવકમાં માત્ર ૧.૬% નો વધારો થયો છે, જે ખૂબ જ ઓછો દર છે. આના કારણે ક્ષેત્રના શેરમાં ઘટાડો થયો છે અને મૂલ્યાંકન ઓછું થયું છે.










