![]()
– હિંસાના પીડિતોને મળવા ગયેલા ટીએમસી નેતા સામે ચોર ચોરના સુત્રોચ્ચાર
– હેલમેટ પહેરાવી બહાર કઢાયા, ભડકેલા મમતાએ કહ્યું શાસક જ હત્યારા બની ચુક્યા છે, ભાજપ શરમ કરે
– બનાવટી સહી મુદ્દે સીઆઇડીની અભિષેકને નોટિસ
કોલકાતા : પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીના ભત્રિજા અને લોકસભાના સાંસદ અભિષેક બેનરજી પર હુમલો થયો હતો. ચૂંટણી પછી ફાટી નીકળેલી હિંસામાં જે પણ લોકો ભોગ બન્યા હતા તેમને મળવા માટે અભિષેક સોનારપુર પહોંચ્યા હતા. જ્યાં તેમના પર અચાનક જ હુમલો થયો હતો અને ઇંડા ફેંકાયા, શર્ટ ફાડી નાખવામાં આવ્યો હતો. હેમખેમ હેલમેટ પહેરાવીને તેમને ટોળામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
પશ્ચિમ બંગાળમાં પ્રથમ વખત ભાજપની સરકાર બની છે અને વર્ષોના તૃણમુલ કોંગ્રેસના શાસનનો અંત આવ્યો હતો. ચૂંટણી પરિણામો બાદ ઠેરઠેર હિંસા ફાટી નીકળી હતી, આ હિંસામાં ભોગ બનનારા કેટલાક લોકોને મળવા માટે મમતાના ભત્રિજા અભિષેક બેનરજી સોનારપુર પહોંચ્યા હતા. આ દરમિયાન સ્થાનિક લોકો દ્વારા તેમના પર હુમલો કરી દેવાયો હતો, તેમનો શર્ટ ફાડી નખાયો જ્યારે ઇંડા ફેંકવામાં આવ્યા હતા. સાથે જ ચોર ચોરનો સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો હતો.
આ ઘટનાને લઇને અભિષેક બેનરજીએ કહ્યું હતું કે મારા પર ભાજપ દ્વારા આ હુમલો કરાવવામાં આવ્યો છે, સત્તાને એક મહિનો નથી થયો ત્યાં લોકશાહીની આ સ્થિતિ છે. જો મે હેલમેટ ના પહેર્યું હોત તો તેઓએ મારું માથુ ફાડી નાખ્યું હોત.
બીજી તરફ સીઆઇડીના પાંચ અધિકારીઓ અભિષેકના ઘરે પહોંચ્યા હતા અને નોટિસ પાઠવી હતી. ધારાસભ્યોની બનાવટી સહીના મામલે આ નોટિસ પાઠવાઇ છે. સીઆઇડી ટીએમસીના અનેક ધારાસભ્યોની પૂછપરછ કરી ચુકી છે. બીજી તરફ ભત્રિજા પર હુમલાને પગલે પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજી ભડક્યા હતા, તેમણે કહ્યું હતું કે શાસકો હત્યારા બની ગયા છે, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પણ અભિષેકના સમર્થનમાં આવી હતી. મમતાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે શાસકો હવે ખુદ હત્યારા બની બેઠા છે, ભાજપને શરમ આવવી જોઇએ. મમતાએ અભિષેક બેનરજી પર હુમલાનો વીડિયો પણ એક્સ (ટ્વિટર) પર શેર કર્યો હતો.









