![]()
West Bengal Election Controversy : પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના 15 વર્ષ જૂના શાસનનો અંત લાવીને ભાજપે પ્રથમ વખત બહુમતી સાથે સરકાર બનાવી છે. આ ચૂંટણીમાં રાજારહાટ ન્યૂ ટાઉન બેઠક પર સૌથી વધુ વિવાદાસ્પદ મુકાબલો જોવા મળ્યો, જ્યાં એક મુસ્લિમ બહુમતી ધરાવતા બૂથે આખો ખેલ પલટી નાખ્યો છે અને ભાજપના પીયૂષ કનોડિયા 316 મતોથી વિજેતા બન્યા છે.
બૂથ નંબર 164માં ભાજપને 637 તો TMCને માત્ર 5 મત
વિવાદના કેન્દ્રમાં રાજારહાટ બેઠકનું ‘મુસલમાન પાડા’ વિસ્તારનું બૂથ નંબર 164 છે, જ્યાં 670 મતદારોમાંથી 591 મુસ્લિમ અને 17મા રાઉન્ડ સુધી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના તાપસ ચેટર્જી 316 મતોથી આગળ હતા. પરંતુ કથિત રીતે 9મા રાઉન્ડમાં ગણતરી વગર છોડી દેવાયેલા આ બૂથની ગણતરી જ્યારે આગલા દિવસે છેલ્લે કરવામાં આવી, ત્યારે ચોંકાવનારા આંકડા સામે આવ્યા હતા. આ બૂથના કુલ 656 મતોમાંથી ભાજપને 637 (97 ટકા) અને TMCને માત્ર 5 મત મળ્યા હતા.
બૂથ નંબર 165માં ભાજપને 5% જ મત
આ પરિણામોથી વિવાદ એટલા માટે ઊભો થયો છે, કારણ કે આ જ વિસ્તારના બીજા બૂથ (નંબર 165)માં, જ્યાં 91 ટકા મુસ્લિમ વસ્તી છે ત્યાં ભાજપને માત્ર 5 ટકા વોટ મળ્યા હતા. સામાન્ય રીતે પશ્ચિમ બંગાળમાં ભાજપને 4થી 7 ટકા જ મુસ્લિમ મતો મળતા આવ્યા છે, તેવામાં એક જ બૂથમાં ભાજપને 97 ટકા મત મળવા તે આશ્ચર્યજનક બાબત છે.
આ પણ વાંચો : જયશંકરે રૂબિયો સામે ઉઠાવ્યો US વિઝાનો મુદ્દો! અમેરિકાના વિદેશમંત્રીનો જવાબ-અમારું નિશાન ભારત નથી!
ચૂંટણીમાં હેરાફેરી થઈ હોવાનો TMCનો આક્ષેપ
આ બાબતે તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણીમાં હેરાફેરી થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. TMC સાંસદ સાગરિકા ઘોષે સવાલ ઉઠાવ્યો કે, છેલ્લી ઘડીએ આ બૂથની ગણતરી કેમ કરાઈ? બીજી તરફ, વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે પણ આ મામલે EVMમાં હેરફેર અથવા ગણતરીમાં ગરબડ થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે.
TMCની પરંપરાગત મુસ્લિમ વોટબેંક તૂટી
ચૂંટણી વિશ્લેષણ મુજબ, આ વખતે મમતા બેનર્જીની પરંપરાગત મુસ્લિમ વોટબેંક તૂટી છે અને લઘુમતી મતો અન્ય પક્ષો વચ્ચે વહેંચાતા ભાજપને સીધો ફાયદો થયો છે. બંગાળની 142 મુસ્લિમ બહુમતી બેઠકોમાંથી ભાજપે 72 અને TMCએ 64 બેઠકો જીતી છે. જોકે, રાજારહાટ બેઠકના આ ચોક્કસ બૂથમાં ખરેખર શું થયું હતું તે ચૂંટણી પંચની સ્પષ્ટતા બાદ જ બહાર આવશે.
આ પણ વાંચો : થોડા જ કલાકોમાં દુનિયાને મળશે સૌથી મોટી ગુડ ન્યૂઝ: દિલ્હીમાં અમેરિકાના વિદેશમંત્રી રૂબિયોનું નિવેદન










