![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા લગભગ ૨૫ ટકા વિદ્યાર્થીઓ વડોદરા બહારના અથવા ગુજરાત બહારના છે.આ વિદ્યાર્થીઓ ભણવા માટે એમ.એસ.યુનિવર્સિટીને પસંદ કરે છે તેની જાણકારી મેળવવા માટે સાયન્સ ફેકલ્ટીના સ્ટેટિસ્ટિક્સ વિભાગના એમએસસીના વિદ્યાર્થીઓ દેવાંશી ઠાકર, અંકિત પુરી, શ્રુતિ ખારવા અને અમૃતા સુદાનીએ પ્રોફેસર દિપા કંડપાલના માર્ગદર્શન હેઠળ એક સર્વે હાથ ધર્યો હતો.
વિદ્યાર્થીઓએ ૩૮૦ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.આ પૈકી ૨૯૫ વિદ્યાર્થીઓ વડોદરા સિવાય ગુજરાતના વિવિધ હિસ્સાઓમાંથી અને ૮૫ વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોમાંથી એમ.એસ.યુનિવર્સિટીમાં ભણવા માટે આવ્યા હતા.
સર્વે કરનાર વિદ્યાર્થીઓની ટીમનું કહેવું છે કે, અમારા તારણ પ્રમાણે ૬૪ ટકા વિદ્યાર્થીઓએ એમ.એસ.યુનિવર્સિટીમાં એડમિશન લેવા પાછળ યુનિવર્સિટીની પ્રતિષ્ઠા અને રેન્કિંગનું, ૬૩ ટકાએ વિવિધ પ્રકારના અભ્યાસક્રમોની ઉપલબ્ધતા અને ૬૧ ટકાએ ઓછી ફીનું કારણ આપ્યું હતું.જોકે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટેની સગવડો તથા સુવિધાઓને ઓછા માર્કસ આપ્યા હતા.સાથે સાથે મોટાભાગના વિદ્યાર્થીઓએ અન્ય વિદ્યાર્થીઓને પણ એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે ભલામણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.આ સર્વેના તારણો યુનિવર્સિટી સત્તાધીશોને પણ વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની નીતિ નક્કી કરવામાં મદદરુપ થઈ શકે તેમ છે.
ઘરથી દૂર જવા માટેના કારણો
–૪૭ ટકા વતનમાં કારકિર્દી માટે ઓછી તકો હોવાના કારણ સાથે તો ૪૫ ટકા ઉચ્ચ શિક્ષણ માટે ગુણવત્તાયુક્ત સંસ્થાઓનો અભાવ હોવાના કારણ સાથે સંમત થયા હતા.
–૩૯ ટકાએ કહ્યું હતું કે, ઈચ્છનીય અભ્યાસક્રમમાં પ્રવેશ નહીં મળતા હોવાથી યુનિ.માં પ્રવેશ લીધો હતો
–માત્ર ૩૨ ટકાએ વતનમાં સુવિધાઓના અભાવના કારણને અને ૩૫ ટકાએ પરિવારનું દબાણ હોવાના કારણને જવાબદાર ગણાવ્યું હતું.
વિવિધ સુવિધાઓને પાંચમાંથી કેટલો સ્કોર
લાઈબ્રેરી ૩.૭૩
સ્પોર્ટસ ૩.૭૧
શિક્ષણની ગુણવત્તા ૩.૬૫
મેડિકલ ૩.૬૨
કેમ્પસ સિક્યુરિટી ૩.૬૧
વહીવટી સેવા ૩.૫૦
કેરિયર કાઉન્સિલિંગ ૩.૪૭
લેબોરેટરી ૩.૪૩
હોસ્ટેલ,ફૂડ, કેન્ટીન ૩.૧૦
સર્વે બાદ યુનિ.સત્તાધીશો માટેના સૂચનો
–હોમસીકનેસ તથા કેરિયર માટે માર્ગદર્શન આપવા કાઉન્સિલિંગ સુવિધાની તાતી જરુરીયાત
–ગુજરાત બહારના વિદ્યાર્થીઓ માટે ગુજરાતીનો ઓરિએન્ટેશન પ્રોગ્રામ હોવો જોઈએ
–પ્લેસમેન્ટ અને ઉદ્યોગો સાથે વધારે સારી રીતે જોડાણની જરુરિયાત
–સ્કોલરશિપ યોજનાઓનો વધારે પ્રચાર પ્રસાર
–સત્તાધીશો દર વર્ષે સર્વે કરે
— વિદ્યાર્થીઓની સુવિધાઓમાં વધારાની ખૂબ જરુર
સ્થળાંતર કર્યા પછીના પડકારો
–૩૪ ટકા માટે હોમસીકનેસ
–૩૫ ટકા માટે યોગ્ય રહેઠાણની શોધ
–૩૫ ટકા માટે અભ્યાસનું પ્રેશર અને સ્પર્ધા
–૩૦ ટકા માટે ટ્રાન્સપોર્ટેશન
–૨૮ કા માટે નાણાકીય મર્યાદા
–ભાષાની સમસ્યા માત્ર ૨૪ ટકા વિદ્યાર્થીઓને નડે છે
સામાજિક તાલમેલ
–૫૯ ટકાને સ્થાનિક ભાષા અને હળવા મળવામાં સમસ્યા નથી
–૫૩ ટકાને લાગે છે કે સમાજમાં સ્વીકાર્યતા છે
–૫૧ ટકા સ્થાનિક સ્તરે પ્રવૃત્તિઓમાં ભાગ લે છે
–માત્ર ૨૯ ટકાને સ્થાનિક સ્તરે મિત્રતા છે
–૪૯ ટકાને અધ્યાપકો સાથેના સંવાદને લઈને સંતોષ છે
કઈ ફેકલ્ટી માટે કેટલા ટકા વિદ્યાર્થીઓ ભલામણ કરવા ઈચ્છુક
જર્નાલિઝમ ૧૦૦
પરફોર્મિંગ આર્ટસ ૧૦૦
હોમસાયન્સ ૧૦૦
મેનેજમેન્ટ ૧૦૦
આર્ટસ ૮૭
ફાઈન આર્ટસ ૮૫
કોમર્સ ૭૨
લો ૭૧
એજ્યુકેશન ૬૬
સોશ્યલ વર્ક ૬૬
સાયન્સ ૫૩
ટેકનોલોજી ૫૧
ફાર્મસી ૫૦









