![]()
– પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોની ઘૂસણખોરી ચિંતાજનક
– મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ બનાવવાથી હિન્દુઓ કે મુસ્લિમો કોઈનું ભલું નહીં થાય, ભાજપની દ્રષ્ટિથી સંઘને જોવો મોટી ભૂલ
– ભારતને વિશ્વગુરુ બનાવવા સ્થપાયેલો સંઘ રાજકીય નહીં સામાજિક પરિવર્તન માટે કામ કરે છે
કોલકાતા: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર વધ્યો છે ત્યારે ત્યાંના હિન્દુઓએ એક થવું પડશે. ઉપરાંત માત્ર ભારત જ નહીં આખી દુનિયાના હિન્દુઓએ બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓની મદદ કરવા આગળ આવવું પડશે તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોની ઘૂસણખોરી ચિંતાજનક બાબત છે. વધુમાં તેમણે કહ્યું કે, ભાજપના દૃષ્ટિકોણથી આરએસએસને સમજવો એ મોટી ભૂલ છે. સંઘની સ્થાપના ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે થઈ છે.
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન પછી ત્યાં કટ્ટરવાદીઓનું પ્રભુત્વ અને હિન્દુઓ પર અત્યાચાર વધ્યા છે. બીજીબાજુ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલાં બાબરી મસ્જિદની સ્થાપનાનો વિવાદ વકર્યો છે. આવા સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત પશ્ચિમ બંગાળના ચાર દિવસના પ્રવાસે છે.
તેમણે રવિવારે કોલકાતામાં એક કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો અત્યંત ચિંતાજનક બાબત છે. પડોશી દેશમાં લઘુમતી હિન્દુઓની સ્થિતિ અત્યંત મુશ્કેલ છે. એવામાં તેમણે પોતાની સુરક્ષા માટે એક થવું પડશે. તેમણે ઉમેર્યું કે, માત્ર બાંગ્લાદેશ જ નહીં સમગ્ર દુનિયાના હિન્દુઓએ પોતાની મર્યાદામાં રહીને તેમને શક્ય એટલી તમામ મદદ કરવી જોઈએ. ભારત હિન્દુઓ માટે એકમાત્ર દેશ છે, તેથી ભારત સરકારે આ મુદ્દે ધ્યાન આપવું જોઈએ.
પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી છે ત્યારે સંઘ પ્રમુખ મોહન ભાગવતે પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરી કરતા મુસ્લિમો દ્વારા કરવામાં આવતા ડેમોગ્રાફિક પરિવર્તન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, હિન્દુ સમાજ એક થઈને ઊભો થઈ જાય તો બંગાળમાં સ્થિતિ બદલાતા વાર નહીં લાગે. જોકે, અમે રાજકીય પરિવર્તનની ચિંતા નથી કરતા અમે સંઘની શાખાના માધ્યમથી સામાજિક પરિવર્તન માટે કામ કરીએ છીએ. તેમણે ઉમેર્યું કે, દેશમાં સદીઓ પછી સુપ્રીમ કોર્ટના ચૂકાદાના પગલે અયોધ્યામાં રામ મંદિર બની ગયું. જોકે, હવે મુર્શિદાબાદમાં ફરીથી બાબરી મસ્જિદ બનાવીને તે ઝઘડાને ફરીથી શરૂ કરવાનું રાજકીય કાવતરું રચાઈ રહ્યું છે. તેનાથી હિન્દુઓ કે મુસ્લિમો કોઈને લાભ નહીં થાય. સંઘ મુસ્લિમ વિરોધી છે તેવી ધારણા છે, આરએસએસને ભાજપના દૃષ્ટિકોણથી જોવો એ મોટી ભૂલ છે. સંઘને સમજવો હોય તો જાતે આવીને અમારી શાખાઓ જોવી જોઈએ. આરએસએસની સ્થાપના ભારતને વિશ્વગુરુ બનાવવા માટે થઈ હતી અને અમે તે માટે જ કામ કરીએ છીએ.
– લીવ-ઈનમાં રહેતું યુગલ જવાબદારી લેવા માગતું નથી : સંઘ પ્રમુખ
કોલકાતા: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે લીવ-ઈન રિલેશનશિપના કોન્સેપ્ટ અંગે કહ્યું કે, તમે જવાબદારી લેવા તૈયાર નથી, જે સારી વાત નથી.
પરિવાર, લગ્ન માત્ર શારીરિક સંતોષનો સ્રોત માત્ર નથી. તે સમાજનું એક એકમ છે. તમે લગ્ન ન કરવા માગતા હોવ તો ઠીક છે. આપણે સન્યાસી બની શકીએ છીએ. પરંતુ તમે લગ્ન વિના સાથે રહેવા માગો અને જવાબદારી પણ ના લો તો કેવી રીતે કામ ચાલશે. તેમણે કોઈ યુગલને કેટલા બાળકો હોવા જોઈએ તે અંગે કહ્યું કે, આ સવાલ પરિવાર, યુગલ અને સમાજની બાબત છે. તેની કોઈ ફોર્મ્યુલા આપી શકાય નહીં.










