![]()
West Bengal Political News : પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયેલા ધારાસભ્ય હૂમાયૂં કબીરે અયોધ્યાની બાબરી મસ્જિદની જેમ મુર્શિદાબાદ જિલ્લામાં મસ્જિદ નિર્માણ માટે આજે (6 ડિસેમ્બર) ખાતમુહૂર્ત કર્યું છે, ત્યારે બીજીતરફ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાઈચારાનો ઉલ્લેખ કરીને બંગાળમાં હિન્દુ, મુસ્લિમ, શિખ, ઈસ્લાઈ અને બૌદ્ધ લોકો એક હોવાનો સંદેશ આપ્યો છે.
અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડ્યાની આજે વરસી
વાસ્તવમાં 1992ના રોજ ઉત્તર પ્રદેશનાં અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી, જેની આજે વરસી હોવાના કારણે ધારાસભ્ય કબીરે (Humayun Kabir) મસ્જિદનું નિર્માણ કરવા માટે ખાતમુહૂર્ત કરવાની જાહેરાત કરી હતી. જેને પગલે TMCએ પણ આ દિવસને એકતા દિવસ તરીકે ઉજવવાની યોજના બનાવી હતી. એકતા દિવસ અંતર્ગત સદભાવના, શાંતિ અને ભાગલાવાદી તત્વો વિરુદ્ધ લડાઈ ચાલુ રાખવાનું આહવાહન કરવામાં આવ્યું હતું. ત્યારે મમતા બેનરજી (CM Mamata Banerjee)એ એકતા દિવસની શુભેચ્છા આપીને કહ્યું છે કે, નફરત ફેલાવનારા સામે લડાઈ ચાલુ રહેશે.
‘પોતાના ધર્મનું પાલન કરવું દરેક વ્યક્તિનો અધિકાર’
તેમણે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને ભારપૂર્વક કહ્યું છે કે, તેમની સરકાર બંધારણના આદર્શોની અને સિદ્ધાંતોની સુરક્ષા કરવા તેમજ તેને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે એક્સ પર લખ્યું છે કે, ‘બંગાળની માટી એકતાની માટી છે. બંગાળ રવિન્દ્રનાથ ટાગોર, નજરુલ (ઈસ્લામ)ની, રામકૃષ્ણ-વિવેકાનંદની ભૂમિ છે. આ ભૂમિએ ક્યારેય ભાગલાવાદી લોકો સામે માથુ ઝુંકાવ્યું નથી અને આવનારા સમયમાં પણ ઝુકશે નહીં. હિન્દુ, મુસ્લિમ, શિખ, ખ્રિસ્તી, જૈન અને બૌદ્ધ… તમામ જાણે છે કે, અમારે ખભાથી ખભો મિલાવીને કેવી રીતે ચાલવાનું છે. અમે એકબીજા સાથે અમારી ખુશીઓ વહેંચીએ છીએ, કારણ કે અમારું માનવું છે કે, ધાર્મિક માન્યતાઓ અનુસાર પોતાના ધર્મનું પાલન કરવું દરેક વ્યક્તિનો અધિકાર છે, પરંતુ ઉત્સવ સૌના છે.’
મમતાએ એકતા દિવસની શુભેચ્છા આપી
સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) દ્વારા રાજ્યભરમાં એકતા દિવસની ઉજવણી થઈ રહી છે, જે મુદ્દે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેચ્છા પાઠવી છે. મુખ્યમંત્રીએ એક્સ પર લખ્યું છે કે, ‘સાંપ્રદાયિક નફરતની આગ ભળકાવનારાઓ અને દેશ વિરુદ્ધ વિનાશકારી રમત રમનારાઓ વિરુદ્ધ અમારી લડાઈ ચાલુ રહેશે. અમે ડૉ.બાબાસાહેબ આંબેડકરના આદર્શો અને સિદ્ધાંતોની રક્ષા કરવા અને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ, જે આપણા બંધારણમાં દર્શાવેલું છે અને તે આપણી લોકશાહીની માર્ગદર્શક રોશની છે.’
મમતાએ ડૉ.આંબેડકરને શ્રદ્ધાંજલિ પાઠવી
મુખ્યમંત્રીએ ભારતના બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકરની પુણ્યતિથી પર શ્રદ્ધા-સુમન અર્પણ કર્યા છે. તેમણે કહ્યું કે, ‘એક બેમિસાલ વિચારક અને સમાજ સુધારક, ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ. ભારતનું બંધારણ ઘડવામાં તેમનું યોગદાન અમર રહેશે. આપણા માટે ગર્વની વાત છે કે. ડૉ. બાબાસાહેબ આંબેડકર બંગાળ વિધાનસભામાંથી બંધારણ સભા માટે ચૂંટાયા હતા. બંગાળે તેમના મહાન કાર્યને આગળ વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.’
આ પણ વાંચો : ઈન્ડિગોની મુશ્કેલી વધી ! કેન્દ્ર સરકારે તાત્કાલિક રિફંડ આપવાનો કર્યો આદેશ, સુપ્રીમ કોર્ટમાં થઈ PIL
આજે એટલે કે 6 ડિસેમ્બરના રોજ ત્રણ મહત્ત્વના દિવસો
આજે 6 ડિસેમ્બરે ડૉ. બાબાસાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ છે, જે ભારતનું બંધારણ ઘડવામાં તેમના યોગદાન માટે તેમને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. આ તારીખ 1992માં બાબરી મસ્જિદના ધ્વંસની વર્ષગાંઠ પણ છે, જે ભારતના ઈતિહાસમાં એક સંવેદનશીલ દિવસ છે. આથી, ઘણા રાજ્યોમાં આ દિવસને એકતા દિવસ (સંહતિ દિવસ) તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય સંદેશ શાંતિ, સદભાવ અને સર્વધર્મ સમભાવ જાળવવાનો છે.
આ પણ વાંચો : ઇન્ડિગો સંકટ વચ્ચે સરકારનો મોટો આદેશ, બેફામ ભાડા વસૂલતી એરલાઇન્સ પર લેવાશે એક્શન










