![]()
Bihar Patna News : બિહારની રાજધાની પટણામાં કેટલાક આરોપીઓએ મંગળવારે (9 સપ્ટેમ્બર) સાંજે આરજેડી નેતા અને પ્રોપર્ટી ડીલર રાજકુમાર રાય ઉર્ફે આલા રાયની ગોળી મારીને હત્યા કરી દીધી. આ ઘટના ચિત્રગુપ્ત નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.
આ પણ વાંચોઃ સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન, ઓક્ટોબરથી શરૂઆતની શક્યતા
કેવી રીતે બની ઘટના?
પોલીસના જણાવ્યા અનુસાર, રાજકુમાર રાય તેમની કારમાં ઘર પાસે પહોંચ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો અને અંધાધૂંધ ગોળીબાર કરાયો. ગોળી વાગ્યા બાદ, રાજકુમાર રાય પોતાનો જીવ બચાવવા માટે નજીકની એક હોટલમાં ઘૂસી ગયા, પરંતુ હત્યારાઓએ તેમનો પીછો કર્યો અને હોટલમાં અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો. એક ગોળી હોટલના ફ્રીજમાં પણ વાગી, જેનાથી તેનો કાચ તૂટી ગયો.
ઘટનાસ્થળેથી 6 ગોળી મળી
ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઈજાગ્રસ્ત રાજકુમાર રાયને તાત્કાલિક પીએમસીએચ લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. પોલીસને ઘટનાસ્થળેથી 6 ગોળી મળી આવી છે. પટણા પોલીસે જણાવ્યું કે, મૃતક રાજકુમાર રાય એક રાજકીય પક્ષ સાથે સંકળાયેલો હતો અને પ્રોપર્ટી ડિલીંગનું કામ કરતા હતા.
આ પણ વાંચોઃ સોનિયા ગાંધીને કોર્ટમાંથી મળી રાહત, મતદાન અધિકાર મામલે ચુકાદો સુરક્ષિત
રાઘોપુરથી ચૂંટણી લડવાની તૈયારી
પરિવારનો આરોપ છે કે, ગુનેગારોએ 8 થી 10 ગોળીઓ ચલાવી હતી. મૃતકની બહેન શીલા દેવીએ જણાવ્યું હતું કે તેનો ભાઈ આ વખતે રાઘોપુરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો હતો. અમુક લોકોએ ચેતવણી આપી હતી કે જો ગુનેગારોની ટૂંક સમયમાં ધરપકડ નહીં થાય તો તેમની લાશ રસ્તા પર મૂકી વિરોધ કરીશું. જોકે, તેમણે આરોપીનું નામ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો.
પોલીસ હત્યાની તપાસમાં લાગી ગઈ છે
હાલ, પોલીસે ઘટનાસ્થળની આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરાનો ડીવીઆર જપ્ત કર્યો છે અને તપાસ માટે એફએસએલ ટીમને બોલાવી છે. પોલીસે જણાવ્યું કે, હત્યા પાછળ રાજકીય દુશ્મનાવટ છે કે મિલકતનો વિવાદ છે, તે તપાસ બાદ સ્પષ્ટ થશે. બિહારમાં ચૂંટણી નજીક આવતાની સાથે રાજકીય હત્યાઓની ઘટનાઓ વધી રહી છે અને આ ઘટનાએ ફરી એકવાર કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે.










