![]()
Rajasthan Politics: બિહાર વિધાનસભા ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ભવ્ય વિજય વચ્ચે, રાજસ્થાનમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. બારાં જિલ્લાની અંતા વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ જૈન ભાયાએ ભાજપના મોરપાલ સુમનને 15,594 મતના મોટા માર્જિનથી હરાવ્યા છે. આ પરિણામને મુખ્યમંત્રી ભજન લાલ શર્માના બે વર્ષના શાસન માટે એક મોટો રાજકીય સંદેશ માનવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસની મજબૂત વ્યૂહરચના
બારાં જિલ્લાની આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ જૈન ભાયાને કુલ 69,571 મત મળ્યા, જ્યારે ભાજપના ઉમેદવાર મોરપાલ સુમનને 53,959 મત મળ્યા. અપક્ષ ઉમેદવાર નરેશ મીણાને પણ 53,800 મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારે ભાજપના ઉમેદવાર કરતાં 15,594 વધુ મતો મેળવ્યા.
રસપ્રદ વાત એ છે કે, મતગણતરીના અંતિમ રાઉન્ડ પહેલા ભાજપના ઉમેદવાર ત્રીજા સ્થાને હતા, જોકે અંતિમ રાઉન્ડમાં તેઓ બીજા સ્થાને પહોંચી શક્યા. કોંગ્રેસના નેતાઓ અશોક ગેહલોત અને સચિન પાયલટ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓની સંયુક્ત વ્યૂહરચનાના કારણે કોંગ્રેસે અંતામાં આ જીત મેળવી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગોવિંદ સિંહ ડોટાસરાએ આ જીતને આવકારતા જણાવ્યું કે, ‘આ પેટાચૂંટણી ભજનલાલ સરકાર માટે એક કસોટી હતી, અને સરકાર નિષ્ફળ ગઈ.’
આ પણ વાંચો: NDAના ભવ્ય વિજય બાદ પણ મુખ્યમંત્રી મુદ્દે બિહારમાં સસ્પેન્સ, ચિરાગ પાસવાને સવાલ ટાળ્યો
ભાજપમાં ચિંતા, સીએમ માટે મુશ્કેલી
બિહારમાં પ્રભાવશાળી પ્રદર્શન છતાં રાજસ્થાનમાં કારમી હારથી જયપુરમાં ભાજપ કાર્યાલયનું વાતાવરણ ચિંતાજનક બન્યું હતું. બીજી તરફ કોંગ્રેસ મુખ્યાલયમાં ભારે ઉત્સાહ સાથે વિજયની ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકરોએ આ જીતને રાજ્ય સરકારના પ્રદર્શન સામે લોકોના ગુસ્સાના સંકેત ગણાવ્યો.
ભાજપના પ્રદેશ પ્રમુખ મદન રાઠોડે જણાવ્યું હતું કે, ‘હારના કારણોની સમીક્ષા કરવામાં આવશે.’ સૂત્રોના જણાવ્યાનુસાર, આ પરિણામ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા માટે પણ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે, કારણ કે પેટાચૂંટણીને તેમના બે વર્ષના કાર્યની કસોટી તરીકે જોવામાં આવી રહી હતી.
વસુંધરા રાજેના ગઢમાં હાર
અંતા બેઠક પર ભાજપની હાર વ્યૂહાત્મક રીતે પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આ બેઠક પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને તેમના સાંસદ પુત્ર દુષ્યંત સિંહના પ્રભાવના ક્ષેત્રમાં આવે છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ વસુંધરા રાજેની સંમતિથી ટિકિટ પસંદ કરી હતી. દુષ્યંત સિંહને ચૂંટણી પ્રભારી પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા અને વસુંધરા રાજેએ પણ પ્રચાર કર્યો હતો, છતાં પરિણામ અપેક્ષાઓથી વિપરીત આવ્યા.
રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ ચૂંટણી પરિણામ રાજ્ય સરકાર અને સંગઠન બંનેમાં મોટા ફેરફારો લાવી શકે છે. ભાજપની નવી રાજ્ય કારોબારી સમિતિની જાહેરાત પર પણ હવે આ હારની સીધી અસર પડશે.










