![]()
NIA And Gujarat ATS Terror Probe: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા તાજેતરમાં ઝડપી પાડવામાં આવેલા ડો. અહેમદ સૈયદ, આઝાદ શેખ અને મોહમ્મદ સુહેલના ઈસ્લામિક સ્ટેટ ઑફ ખોરાસન પ્રોવિન્સ (ISKP)નામના આતંકી સંગઠન સાથેના કનેક્શન સામે આવ્યા બાદ હવે સમગ્ર દેશમાં ચાલતા આ ખતરનાક નેટવર્ક અંગે ચોંકાવનારી વિગતો મળી છે. આ ગંભીર મામલાની તપાસમાં હવે ગુજરાત ATSની સાથે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA)ને પણ સક્રિય કરવામાં આવી છે.
રાઈઝીન કેમિકલ ટેરરનું કાવતરું
ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા આતંકીઓ પાસેથી ‘કેમિકલ ટેરર’ના મોડ્યુલ અંગેની જે વિગતો મળી છે, તેના કારણે સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. આતંકી ડૉ. અહેમદ સૈયદ દ્વારા સૌથી ખતરનાક ગણાતું એવું રાઈઝીન (Ricin)નામનું ઝેરી કેમિકલ તૈયાર કરીને મોટા પ્રમાણમાં જાનહાનિ કરવાનું કાવતરું હતું. ડૉ. અહેમદ સૈયદ અન્ય શકમંદ તબીબોના સંપર્કમાં પણ હોવાનું ખુલ્યું હતું, જે દર્શાવે છે કે આતંકી સંગઠનો એકસાથે મોટી ઘટનાને અંજામ આપવાની ખતરનાક યોજના ધરાવતા હતા.
દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના અને તબીબોની સંડોવણીના પગલે તપાસ એજન્સીઓ માની રહી છે કે વિવિધ આતંકી સંગઠનો એકસાથે દેશના મોટા શહેરોમાં મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા.
આ પણ વાંચો: ‘નૌગામ પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ ફક્ત એક દુર્ઘટના…’, 9ના મોત અંગે જમ્મુ-કાશ્મીર પોલીસનો ખુલાસો
કેન્દ્રના આદેશથી NIA મેદાનમાં
આ ગંભીરતાને ધ્યાનમાં લઈને કેન્દ્રીય ગૃહ વિભાગે તાત્કાલિક નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીને ગુજરાત ATS સાથે મળીને સંયુક્ત તપાસ કરવા માટે સૂચના આપી છે. NIA ગુજરાત ATSને ગુજરાત બહાર ISKPના કનેક્શન તપાસવા માટે ખાસ મદદ કરશે. ડૉ. અહેમદ સૈયદ દિલ્હી, મુંબઈ અને અમદાવાદ સહિત દેશના કેટલાંક તબીબો સાથે સંપર્કમાં હોવાની વિગતો સામે આવી છે. NIA ATS સાથે મળીને આ તબીબી આતંકી મોડ્યુલ અંગેની પણ તપાસ કરશે.
આ તપાસ માટે NIA દ્વારા ત્રણ ટીમ તૈયાર કરવામાં આવી છે, જે પૈકી એક ટીમ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ATS સાથે મળીને સક્રિય થઈ છે. NIAની તપાસમાં ISKPનું અન્ય રાજ્યોમાં ફેલાયેલું નેટવર્ક અને કેમિકલ ટેરરના કેસ સાથે સંકળાયેલી અન્ય કડીઓ અંગે ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.










