![]()
Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા 2025ની ચૂંટણીના પરિણામો અંતિમ તબક્કામાં છે અને શરૂઆતી વલણો મહાગઠબંધન માટે કારમા પરાજયનો સંકેત આપી રહ્યા છે, જ્યારે NDA ફરી એકવાર સત્તા પર પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે. ત્યારે કોંગ્રેસે તેની દુર્દશા માટે સીધો દોષનો ટોપલો ચૂંટણી પંચ અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પર ઢોળ્યો છે.
‘આ ચૂંટણી પંચ અને બિહારના લોકો વચ્ચેની સીધી લડાઈ’
શુક્રવારે (14મી નવેમ્બર) મતગણતરી દરમિયાન કોંગ્રેસના નેતાઓએ પત્રકારો સાથે વાતચીત કરતાં આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના મીડિયા પ્રભારી અને AICC મીડિયા તથા પબ્લિસિટી વિભાગના ચેરમેન પવન ખેડાએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર નિશાન સાધતા કહ્યું કે, ‘આ ફક્ત પ્રારંભિક વલણો છે; અમે થોડી રાહ જોઈ રહ્યા છીએ. પ્રારંભિક વલણો સ્પષ્ટપણે દર્શાવે છે કે જ્ઞાનેશ કુમાર બિહારના લોકો પર આગળ વધી રહ્યા છે.’
તેણે વધુમાં ઉમેર્યું કે, ‘આ ટક્કર સીધી બિહારના લોકો અને ભારતના ચૂંટણી પંચ વચ્ચે છે; ચાલો જોઈએ કોણ જીતે છે.’ તેણે મહાગઠબંધનના પ્રદર્શનને SIR અને મત ચોરી છતાંની લડાઈ ગણાવી હતી.
આ પણ વાંચો: બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની ઐતિહાસિક જીતનો શ્રેય 6 દિગ્ગજોને
‘આ SIR ની જીત છે, NDAની નહીં’
કોંગ્રેસના અન્ય નેતા ઉદિત રાજે પણ બિહાર ચૂંટણીમાં કોંગ્રેસ અને મહાગઠબંધનની હાર માટે ચૂંટણી પંચ અને SIR ને જવાબદાર ઠેરવ્યા હતા. તેણે કહ્યું કે, ‘આ ભાજપ કે NDAની નહીં, પરંતુ SIRની જીત છે; તે એકતરફી લાગે છે.”
ચૂંટણી પંચ પર સવાલ ઊઠાવતા તેણે કહ્યું, ‘અમે સતત SIRનો વિરોધ કર્યો છે અને જવાબો માંગ્યા છે, પરંતુ ચૂંટણી પંચે નિર્દેશ મુજબ જવાબ આપ્યો છે. ચૂંટણી પંચ હજુ પણ દાવો કરી રહ્યું છે કે તેને કોઈ વાંધો મળ્યો નથી.’
કોંગ્રેસના આ આક્ષેપો સ્પષ્ટ દર્શાવે છે કે ચૂંટણી પરિણામોમાં મહાગઠબંધનની નિરાશા બાદ હવે તેઓ હારનો ઠીકરો ચૂંટણી પ્રક્રિયા અને તેની ટેક્નોલોજી પર ફોડી રહ્યા છે.










