![]()
Bihar Assembly Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં બેઠકોની વહેંચણીને લઈને તણાવ વધી રહ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, જો બેઠકોની વહેંચણીની વાટાઘાટો નિષ્ફળ જશે, તો ચિરાગ પાસવાનની પાર્ટી લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ફરી એકવાર NDA સામે બળવો કરી શકે છે. આ સાથે જ વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોર અને ચિરાગ પાસવાન વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધન કરી શકે છે તેવી અટકળોએ રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે.
ચિરાગની ‘ગુગલી’થી NDA પર દબાણ
બિહાર ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન બેઠક વહેંચણી અંગે NDAના સાથી પક્ષો સાથે સતત વાટાઘાટો કરી રહ્યા છે. જો કે, ચિરાગ પાસવાનની પાર્ટીએ NDAની મુશ્કેલીઓ વધારી દીધી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ચિરાગ પાસવાનની પાર્ટી 25થી 30 બેઠકો પર અડગ છે. ચિરાગના આ નવા પગલાથી બિહારમાં NDA પર દબાણ વધ્યું છે. નોંધનીય છે કે, 2020ની વિધાનસભા ચૂંટણીમાં પણ ચિરાગ પાસવાને સ્વતંત્ર રીતે ચૂંટણી લડીને NDAથી અલગ થયા હતા. ત્યારે તેમની પાર્ટીનું પ્રદર્શન ભલે સારું ન રહ્યું હોય, પરંતુ તેનાથી NDAના સાથી પક્ષ જેડીયુને નોંધપાત્ર નુકસાન થયું હતું.
પ્રશાંત કિશોર સાથે ગઠબંધનની સંભાવના
ચિરાગની પાર્ટીના આ આક્રમક વલણ વચ્ચે પ્રશાંત કિશોરે બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં જ ચિરાગ પાસવાનની ઘણી વખત પ્રશંસા કરી હતી, જેના કારણે આ બંને યુવા નેતાઓ વચ્ચે ગઠબંધન થવાની અટકળોએ જોર પકડ્યું છે.
આ પણ વાંચો: ‘નબળા હતા ત્યારે નમ્યા નહોતા, હવે તો…’, જયશંકરનો પાકિસ્તાન અને અમેરિકાને જવાબ
બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર
બિહાર વિધાનસભા ચૂંટણની વાત કરીએ તો રાજ્યમાં કુલ 243 વિધાનસભા બેઠક માટે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી છઠ્ઠી નવેમ્બરના રોજ અને બીજા તબક્કાની ચૂંટણી 11મી નવેમ્બરના રોજ યોજાશે. ચીફ ઈલેક્શન કમિશ્નર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે, ‘પહેલા તબક્કાની ચૂંટણી માટે ગેજેટ નોટિફેકશન 10મી ઑક્ટોબરના રોજ બહાર પાડવામાં આવશે. ઉમેદવારો 17મી ઑક્ટોબર સુધી ઉમેદવારી નોંધાવી શકશે. ઉમેદવારી માટે સ્ક્રુટની 22મી ઑક્ટોબરના બુધવારે થશે. 24મી ઑક્ટોબર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. છઠ્ઠી નવેમ્બરે ચૂંટણી યોજાશે. બીજા તબક્કાની ચૂંટણી 11મી નવેમ્બર યોજાશે. આ બંને તબક્કા પૂર્ણ થયા બાદ 14 મીનવેમ્બરે મત ગણતરી હાથ ધરાશે.’










