![]()
Bihar Election 2025 : બિહારમાં આ વર્ષના અંતે વિધાનસભા ચૂંટણી યોજોવાની છે. ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં SIR એટલે કે મતદાતા યાદીમાં વિશેષ સુધારણાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે હવે પંચે તમામ મતદારોને નવા મતદાર ઓળખપત્રો જારી કરવાની યોજના પર કામ કરી રહ્યું હોવાની માહિતી સામે આવી છે.
નવા મતદાર ઓળખપત્ર માટે અંતિમ નિર્ણય લેવાનો બાકી
અધિકારીઓના જણાવ્યા મુજબ, નવા મતદાર ઓળખ કાર્ડ માટેની પ્રક્રિયા ક્યારે શરૂ થશે અને કેવી રીતે પૂર્ણ થશે તે અંગે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. જ્યારે મતદારોને ગણતરી ફોર્મ અપાયા હતા, ત્યારે તેમને તાજેતરના ફોટો સાથે ફોર્મ જમા કરાવવા કહેવાયું હતું. નવી તસવીરનો ઉપયોગ રિકોર્ડને અપડેટ કરવા માટે અને નવા મતદાર ઓળખ પત્ર જારી કરવા માટે કરવામાં આવશે.
અંતિમ મતદાર યાદી 30 સપ્ટેમ્બરે પ્રકાશિત થશે
પહેલી ઓગસ્ટના રોજ પ્રકાશિત બિહારની ડ્રાફ્ટ મતદાતા યાદી અનુસાર, રાજ્યમાં કુલ 7.24 કરોડ મતદારો છે. અંતિમ મતદાર યાદી 30 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત થશે, જ્યારે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નવેમ્બર મહિનામાં યોજાવાની સંભાવના છે.
યાદીમાં નામ ઉમેરવા 30,000 અરજી
વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે, તેથી તે પહેલાં નવી સરકારની રચના કરવાની રહેશે. ચૂંટણી પંચ અનુસાર, અત્યાર સુધીમાં 99 ટકા લોકોએ પોતાના દસ્તાવેજો જમા કરાવ્યા છે, અને લગભગ 30 હજાર લોકોએ મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે અરજી પણ કરી છે.










