Bihar Land For Job Case and Lalu Family News: બિહારમાં ચૂંટણીનો માહોલ છે અને પહેલા-બીજા તબક્કા માટે નોમિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે વિપક્ષના મહાગઠબંધનના આગેવાન રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને તેમનો પરિવાર કાનૂની પ્રક્રિયામાં ગુંચવાઈ ગયો છે. લાલુ યાદવ, તેજસ્વી યાદવ અને રાબડી દેવી દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ પહોંચ્યા હતા અને આજે લેન્ડ ફોર જોબ કેસ અને આઈઆરસીટીસી કૌભાંડ મામલે આરોપો નક્કી કરવા મામલે કોર્ટે ચુકાદો સંભળાવ્યો. કોર્ટે લાલુ યાદવના પરિવારને મોટો ઝટકો આપતા કલમ 420 હેઠળ લાલુ, તેજસ્વી અને રાબડી દેવી સામે આરોપો ઘડ્યા છે.
લેન્ડર ફોર જોબ કેસમાં આરોપો નિશ્ચિત કરતાં ચુકાદો 25 ઓગસ્ટના રોજ આપશે. આઈઆરસીટી કૌભાંડમાં પણ આરોપો નિશ્ચિત કરવા પર આજે ચુકાદો આપશે. રાઉજ એવન્યુ કોર્ટની વિશેષ સીબીઆઈ કોર્ટે કહ્યું કે, લાલુ યાદવે ટેન્ડર પ્રક્રિયામાં દખલગીરી કરી હતી. ટેન્ડર પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો હતો. સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે લાલુ યાદવ વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. રાબડી દેવી અને તેજસ્વી યાદવ વિરૂદ્ધ છેતરપિંડી, ભ્રષ્ટાચાર સહિત અનેક કલમો હેઠળ આરોપો નિશ્ચિત થયા છે. કોર્ટે ષડયંત્ર, પદનો દુરૂપયોગ, ટેન્ડર પ્રક્રિયામાં છેતરપિંડીના આરોપોસર લાલુ યાદવ અને તેમના પત્નીને દોષિત ઠેરવ્યા છે.
લેન્ડ ફોર જોબ કૌભાંડ શું છે?
આ કૌભાંડનો સંબંધ લાલુ પ્રસાદ યાદવના 2004 થી 2009 સુધીના કેન્દ્રીય રેલવે મંત્રી તરીકેના કાર્યકાળ સાથે છે. મુખ્ય આરોપ એ છે કે લાલુ યાદવે રેલવે મંત્રી તરીકે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ગ્રુપ ‘ડી’ (Group ‘D’) પોસ્ટ પર અમુક વ્યક્તિઓને રેલવેમાં નોકરીઓ આપી હતી. આ નોકરીઓ આપવાના બદલામાં, ઉમેદવારોએ અથવા તેમના પરિવારોના સભ્યોએ તેમની જમીન અથવા સંપત્તિ લાલુ યાદવના પરિવારના સભ્યો (જેમ કે રાબડી દેવી, તેજસ્વી યાદવ, મીસા ભારતી, હેમા યાદવ) અને તેમની સાથે જોડાયેલી કંપનીઓના નામે બજાર કિંમત કરતાં ઘણા ઓછા ભાવે વેચી દીધી અથવા ભેટ (Gift) તરીકે આપી દીધી.
સીબીઆઈ શું કહે છે લેન્ડ ફોર જોબ મામલે?
CBIના જણાવ્યા મુજબ, પહેલા ઉમેદવારોને રેલવેના વિવિધ ઝોનમાં (જેમ કે મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુર, હાજીપુર) અવેજી (Substitute) તરીકે ગેરકાયદેસર રીતે ભરતી કરવામાં આવ્યા, અને જ્યારે તેમના પરિવારોએ જમીનના સોદા કર્યા, ત્યારે તેમને પાછળથી નિયમિત કરવામાં આવ્યા હતા. CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આ મામલાની તપાસ કરી રહી છે. EDએ આ કેસમાં મની લોન્ડરિંગના આરોપ હેઠળ લાલુ પરિવારની કરોડોની સંપત્તિ પણ જપ્ત કરી છે.
આઈઆરસીટીસી કૌભાંડ
આ કૌભાંડ પણ લાલુ પ્રસાદ યાદવના રેલવે મંત્રી તરીકેના કાર્યકાળ (2004-2009) સાથે સંબંધિત છે. મુખ્ય આરોપ એ છે કે રેલવેના બે હોટલો (બિહારના રાંચી અને પુરી) ના મેન્ટેનન્સ અને સંચાલનનો ટેન્ડર ખાનગી કંપનીઓને આપવા બદલ ગેરરીતિઓ આચરવામાં આવી હતી. કથિત રીતે, ટેન્ડરની શરતોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા જેથી એક ચોક્કસ ખાનગી કંપનીને ફાયદો થાય. આના બદલામાં, લાલુ યાદવના પરિવારને જમીન અથવા અન્ય આર્થિક લાભોના રૂપમાં લાંચ મળી હતી. CBIએ આ મામલે લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને પુત્ર તેજસ્વી યાદવ સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને ગુનાહિત કાવતરાના આરોપો હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે.











