![]()
સાયબર ગઠિયાઓની નવી મોડસ ઓપરેન્ડી
ગઠિયાઓએ નિવૃત ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરના ડિમેટ
એકાઉન્ટમાંથી શેર વેચી રકમ ઓળવી લીધી
ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-૨૨માં રહેતા વૃધ્ધ સાથે ઓનલાઇન અને રૃબરૃ
છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બેંક ખાતું બંધ કરાવવાની પ્રક્રિયા ઘરે
બેઠા કરી આપવાની લાલચ આપી ગઠિયાઓએ વૃદ્ધના બેંક કાર્ડ મેળવી લીધા હતા અને તેમના
ડિમેટ એકાઉન્ટમાંથી આશરે ૪૬.૨૨ લાખ રૃપિયાના શેર વેચીને નાણાં સગેવગે કરી દીધા
હતા.
સાઇબર ગઠિયાઓ દ્વારા વૃદ્ધોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે
ત્યારે આ વખતે સેક્ટર-૨૨માં આત્મજ્યોતિ સોસાયટીમાં રહેતા અને સિંચાઈ વિભાગના નિવૃત
નાયબ કાર્યપાલક ઈજનેર આત્મારામ મોહનલાલ વાળંદને
નિશાન બનાવવામાં આવ્યા છે. જે અંગે મળતી વિગતો પ્રમાણે ગત ૧૫ સપ્ટેમ્બરના રોજ તેમની
ઉપર દિવ્યા શર્મા નામની મહિલાનો ફોન આવ્યો હતો. તેણે પોતાની ઓળખ યશ બેંકના કર્મચારી
તરીકે આપી હતી અને જણાવ્યું હતું કે,
તમારે બેંકમાં આવવાની જરૃર નથી,
અમે ઘરે બેઠા જ તમારું ખાતું બંધ કરી આપીશું. આ માટે અન્ય બેંકનું ડેબિટ કાર્ડ
જરૃરી હોવાનું કહીને તેણે કેતન નામના શખ્સને ઘરે મોકલ્યો હતો.
વિશ્વાસમાં આવીને વૃદ્ધે પોતાનું બેંકનું ડેબિટ કાર્ડ
કેતનને સોંપ્યું હતું. આ દરમિયાન ગઠિયાઓએ વૃદ્ધના મોબાઈલ નંબરને બદલે અન્ય એક નંબર
ડિમેટ એકાઉન્ટમાં રજીસ્ટર કરાવી દીધો હતો. ૧૯ સપ્ટેમ્બરથી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન
ગઠિયાઓએ આત્મારામભાઈના એચડીએફસી સિક્યુરિટીઝના ડિમેટ એકાઉન્ટમાં રહેલા શેર
તબક્કાવાર વેચી દીધા હતા. આ વેચાણથી આવેલી કુલ ૪૬,૨૨,૪૨૫ની
રકમ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી લેવામાં આવી હતી.
જ્યારે એચડીએફસી સિક્યુરિટીઝના કર્મચારી અને બેંક મેનેજરે
વૃદ્ધને ફોન કરીને મોટી રકમના ટ્રાન્ઝેક્શન અંગે જાણ કરી ત્યારે આ છેતરપિંડીનો
ખુલાસો થયો હતો. તપાસ કરતા જણાયું હતું કે શેર વેચાઈ ગયા છે અને ખાતામાંથી નાણાં
ઉપડી ગયા છે. જેથી આ છેતરપિંડીની ઘટના અંગે સેક્ટર ૨૧ પોલીસ મથકમાં ગુનો દાખલ
કરવામાં આવ્યો છે.










