![]()
મુંબઈ : વર્તમાન મહિનાના પ્રથમ પખવાડિયામાં બેન્કિંગ વ્યવસ્થામાં ધિરાણ વૃદ્ધિની માત્રા વાર્ષિક ધોરણે ૧૩.૮૦ ટકા રહી હતી જે અગાઉના પખવાડિયામાં ૧૪.૫૦ ટકા રહી હતી એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ડેટા જણાવે છે. થાપણથી ધિરાણની માત્રા જો કે ૮૩ ટકા પર પહોંચી ગઈ છે.
ધિરાણની સરખામણીએ થાપણ વૃદ્ધિ મંદ રહેવા પામી હતી. ૧૫મી માર્ચના પખવાડિયામાં થાપણમાં વાર્ષિક ધોરણે ૧૦.૮૦ ટકા વૃદ્ધિ જોવા મળી છે, જે અગાઉના પખવાડિયામાં ૧૦.૨૦ ટકા રહી હતી.
નાણાં વર્ષ સમાપ્ત થઈ રહ્યું છે ત્યારે માર્ચના અંતિમ પખવાડિયામાં ધિરાણમાં વધારો જોવા મળવાની ધારણાં રાખવામાં આવી રહી છે.
૧૫મી માર્ચ સુધીમાં બેન્કિંગ ક્ષેત્રમાં એકંદર ધિરાણ આંક રૂપિયા ૨૦૭.૭૦ ટ્રિલિયન રહ્યો હતો જ્યારે થાપણ આંક રૂપિયા ૨૫૦.૧૨ હતો. થાપણથી ધિરાણની માત્રા ૮૩ ટકા સુધી જોવા મળે છે.
દેશમાં રોકાણ સાધનો અન્ય વિકલ્પો ઊભા થતા બચતકારો તેમના નાણાં પરંપરાગત બેન્ક થાપણોમાં રાખવા કરતા અન્ય ઊંચા વળતર પૂરા પાડતા સાધનોમાં નાખી રહ્યા છે જેને કારણે થાપણથી ધિરાણનું પ્રમાણ ઊંચુ રહ્યા કરે છે એમ એક બેન્કરે જણાવ્યું હતું.










