Gujarat Ministers Receive New Government Bungalows: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણ બાદ નવા નિયુક્ત થયેલા તમામ મંત્રીઓને ગાંધીનગરના મંત્રી નિવાસ સંકુલમાં બંગલાઓની ફાળવણી કરી દેવામાં આવી છે. કુલ 25 મંત્રીઓ (10 કેબિનેટ, 5 સ્વતંત્ર પ્રભાર અને 3 રાજ્યકક્ષા)એ પદભાર સંભાળ્યા બાદ હવે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બંગલાની ફાળવણીની યાદી જાહેર કરવામાં આવી છે.
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને ફાળવેલા બંગલા
માર્ગ અને મકાન વિભાગની યાદી અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લકી ગણાતો 26 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો છે. નવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આ યાદીમાં બંગલો નંબર 43 ફાળવાયો છે. પ્રાથમિક, માધ્યમિક તથા પ્રૌઢ શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાને રાજભવન સામેના બંગલો નંબર 12Aમાં રહેવા માટે ફાળવણી કરવામાં આવી છે.


13 નંબરનો કોઈ બંગલો નથી
ગાંધીનગરમાં મંત્રીઓના બંગલા પાછળ એક રસપ્રદ માન્યતા પ્રવર્તે છે. કુલ 43 જેટલા બંગલાઓમાંથી 13 નંબરનો કોઈ બંગલો નથી, કારણ કે આ નંબરને અપશુકનિયાળ માનવામાં આવે છે. તેથી 12 નંબર પછી સીધો જ 12-A નંબર આપવામાં આવ્યો છે. જોકે, નવા મંત્રીઓને બંગલા ફાળવી દેવાયા હોવા છતાં, હાલ અનેક બંગલામાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે, જેથી મંત્રીઓને થોડા સમય બાદ રહેવા માટે પ્રવેશ મળી શકશે.









