National President of BJP: ભારતીય જનતા પાર્ટી (BJP) પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ અંગે હજુ સુધી અંતિમ નિર્ણય પર પહોંચી શકી નથી. જોકે, એવી ચર્ચા છે કે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની દાવેદારી આ પદ માટે મજબૂત બની છે. આ દાવેદારી મજબૂત થવાનું મુખ્ય કારણ બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું શાનદાર પ્રદર્શન છે, જ્યાં ધર્મેન્દ્ર પ્રધાનને પાર્ટીએ ચૂંટણી પ્રભારી બનાવ્યા હતા. જોકે, આ અંગે પાર્ટી દ્વારા સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
ધર્મેન્દ્ર પ્રધાનની સંગઠન ક્ષમતાથી મજબૂત દાવેદારી
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બિહારની આ જીત ભાજપ અને RSSમાં અધ્યક્ષ પદને લઈને ચાલી રહેલી આંતરિક ખેંચતાણને સમાપ્ત કરવામાં મદદરૂપ થઈ શકે છે. ધર્મેન્દ્ર પ્રધાનની સંગઠન ક્ષમતા અને ચૂંટણી વ્યવસ્થાપનની કુશળતાએ તેમને આ રેસમાં આગળ લાવી દીધા છે. ચૂંટણી પહેલાં તેઓ લાંબા સમય સુધી બિહારમાં રોકાયા હતા, જ્યાં તેમણે એક તરફ બળવાખોરોને ઉમેદવારી પાછી ખેંચવા માટે મનાવ્યા અને બીજી તરફ પાર્ટી કેડરને મજબૂત બનાવવામાં પણ સફળતા મેળવી.
ભાજપને હરિયાણા, મહારાષ્ટ્ર અને બિહારમાં સફળતા
અહેવાલ પ્રમાણે, પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે, ‘હરિયાણા, મહારાષ્ટ્ર અને તાજેતરમાં બિહારની ચૂંટણીના પરિણામોએ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડીને વધુ મજબૂત બનાવી છે. લોકસભા ચૂંટણી દરમિયાન મળેલા આંચકાને કારણે આ જોડી પર જે અસર પડી હતી, તે આ જીતથી ઓછી થઈ છે.’ એક કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, ‘આનાથી મોદીજી હવે RSSને એ માટે મનાવવામાં સફળ થઈ શકે છે કે ભાજપના અધ્યક્ષ તેમની પસંદગીના હોય.’
ભાજપ અધ્યક્ષની પસંદગીમાં RSSની ભૂમિકા
જુલાઈ મહિનામાં આ પદ માટે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવનું નામ પણ ચર્ચામાં હતું. અહેવાલ મુજબ, જ્યારે ભાજપે ભૂપેન્દ્ર યાદવ અને ધર્મેન્દ્ર પ્રધાન બંનેના નામ આગળ કર્યા, ત્યારે RSSએ મંજૂરી આપતા પહેલાં વિસ્તૃત વિચાર-વિમર્શ કરવાની જરૂરિયાત દર્શાવી હતી. ધર્મેન્દ્ર પ્રધાન વિશે એવું પણ કહેવાય છે કે તેમણે જ ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બીજૂ જનતા દળથી અલગ થઈને લડવા માટે મનાવ્યા હતા, જેના પરિણામે ભાજપ રાજ્યમાં સત્તા મેળવવામાં સફળ થઈ હતી.
આ પણ વાંચો: પ.બંગાળથી બાંગ્લાદેશ સુધી જોરદાર ભૂકંપથી લોકોમાં ફફડાટ, જાણો કેટલી હતી તીવ્રતા
ઉત્તર ભારતમાંથી અધ્યક્ષ બનવાની ધારણા
એક ભાજપ નેતાના હવાલેથી અહેવાલમાં જણાવાયું છે કે, ‘અગાઉ એવા સંકેતો હતા કે ભાજપના અધ્યક્ષ દક્ષિણ ભારતના કોઈ નેતા બની શકે છે. જોકે, ઉપરાષ્ટ્રપતિ પદ માટે સી.પી. રાધાકૃષ્ણનની પસંદગી થયા બાદ હવે એવી ધારણા છે કે પાર્ટી પ્રમુખ ઉત્તર ભારતમાંથી હશે.’ વર્તમાન અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાનો ત્રણ વર્ષનો કાર્યકાળ જાન્યુઆરી 2023માં પૂરો થયો હતો, પરંતુ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમને કાર્યકાળમાં વિસ્તાર આપવામાં આવ્યો હતો.’










