![]()
– આપ છોડનારા સાતેય સાંસદો ગદ્દાર : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો બળાપો
– આપના બે તૃતિયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાયા હોવાથી પક્ષપલટા કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકશે નહીં : રાઘવ ચઢ્ઢા
– રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, અશોક મિત્તલ, સ્વાતિ માલિવાલ, હરભજન, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમજિત સાહનીએ ઝાડુ છોડી કમળ પકડયું
– રાજ્યસભામાં હવે આપના 10માંથી માત્ર ત્રણ સાંસદ બચ્યા
નવી દિલ્હી : રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ શુક્રવારે સાત સાંસદો સાથે પક્ષમાંથી રાજીનામું આપી દેતાં પક્ષને મોટો ફટકો પડયો છે. રાઘવ ચઢ્ઢાની ભાજપમાં જોડાવાની લાંબા સમયથી ઘડીઓ ગણાઈ રહી હતી. જોકે, અશોક મિત્તલ અને સંદીપ પાઠક સહિત છ સાંસદો રાઘવ ચઢ્ઢા સાથે જોડાતા આપને મોટો ઝટકો લાગ્યો છે. આપમાંથી રાજીનામું આપ્યા પછી રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપના મુખ્યાલય પર પહોંચ્યા હતા. તેમણે રાજ્યસભા અધ્યક્ષને ભાજપમાં જોડાવા માટેના દસ્તાવેજો સોંપી દીધા છે. તેમની મંજૂરી સાથે તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ જશે. આપમાંથી રાજીનામું આપનારા અન્ય સાંસદોમાં હરભજન સિંહ, સ્વાતિ માલિવાલ, સંદીપ પાઠક, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમજિત સાહનીનો સમાવેશ થાય છે.
આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાશે તેવી લાંબા સમયથી અટકળો થઈ રહી હતી ત્યારે શુક્રવારે રાઘવ ચઢ્ઢાએ અંતે આપમાંથી રાજીનામું આપવાની અને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી દીધી હતી. આપના સાંસદોએ શુક્રવારે સાંજે ભાજપના મુખ્યાલય પહોંચીને પક્ષનું સભ્યપદ પણ લઈ લીધું હતું.
રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટીના અન્ય બે સાંસદો સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જોકે તેમની આ પ્રેસ કોન્ફરન્સે ઉતાવળમાં બોલાવાઈ હોવાનું અનેક નિષ્ણાતોનું માનવું છે.
આપમાંથી બે તૃતિયાંશ સાંસદો ભાજપમાં જોડાયા હોવાથી પક્ષપલટા કાયદા હેઠળ તેમની સામે કોઈ કાર્યવાહી નહીં થઈ શકે અને રાજ્યસભામાં સાંસદ તરીકે તેમનું પદ પણ ચાલુ રહેશે તેમ રાઘવ ચઢ્ઢાએ દાવો કર્યો હતો.
પંજાબમાં ચૂંટણી પહેલાં આપને તોડવાનો ભાજપનો પ્રયાસનો આક્ષેપ
બીજીબાજુ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પક્ષ છોડનારા સાતેય સાંસદોને ગદ્દાર ગણાવ્યા હતા. આપ માટે સંદીપ પાઠક અને અશોક મિત્તલની વિદાય આંચકાજનક હતી. આપ નેતાઓએ ભાજપ પર ઓપરેશન લોટસ ચલાવી પંજાબમાં માન સરકારના સારા કામોને રોકવાનું કાવતરું ઘડવાનો આક્ષેપ કર્યો હતો. રાજ્યસભામાં આપના ૧૦માંથી જે સાત સાંસદોએ રાજીનામાં આપ્યા તેમાંથી છ પંજાબના હતા. હવે ત્રણ સાંસદો સંજય સિંહ, એનડી ગુપ્તા અને બલબિરસિંહ સીચેવાલ બચ્યા છે. આપના સૂત્રોએ દાવો કર્યો કે, આગામી વર્ષે પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલાં આપને તોડવા ભાજપે ઓપરેશન લોટસ ચલાવ્યું.
કેજરીવાલના નેતૃત્વમાં આપ સ્થાપના સમયના મૂલ્યોથી ભટકી ગયો : રાઘવ
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, આમ આદમી પાર્ટી (આપ) તેના મૂળભૂત મૂલ્યોથી ભટકી ગઈ છે, જેના માટે તેની સ્થાપના થઈ હતી. હું આમ આદમી પાર્ટીથી દૂર જઈ રહ્યો છું અને જનતા તરફ આગળ વધી રહ્યો છું. ૧૫ વર્ષથી જે પક્ષને સિંચવામાં મેં લોહી-પાણી એક કર્યા તે પક્ષમાં હવે ગુંગળામણ અનુભવી રહ્યો હતો, કારણ કે પક્ષનું વર્તમાન સ્વરૂપ તેના શરૂઆતના સિદ્ધાંતોને અનુરૂપ નહોતું. હું સાચો માણસ ખોટા પક્ષમાં હોવાનું અનુભવતો હતો.
કેજરીવાલની ધરપકડના સમયથી રાઘવની વિદાય નિશ્ચિત મનાતી હતી
દિલ્હીમાં લીકર કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ સમયે રાઘવ ચઢ્ઢા આંખના ઓપરેશન માટે લંડન જતા રહ્યા હતા અને પછી તેમણે સોશિયલ મીડિયા પર કેજરીવાલનું સમર્થન કરતી કોઈ ટ્વીટ કરી નહોતી કે કેજરીવાલના જેલમાંથી છૂટયા પછી પણ કોઈ ટ્વીટ કરી નહોતી. વધુમાં ગયા મહિને આપે રાજ્યસભામાં ડેપ્યુટી લીડર તરીકે રાઘવ ચઢ્ઢાને હટાવીને અશોક મિત્તલની નિમણૂક કરી હતી. આથી રાઘવ ચઢ્ઢાની વહેલા મોડા ‘આપ’માંથી વિદાય નિશ્ચિત મનાતી હતી. એ જ રીતે સ્વાતિ માલીવાલે પણ અરવિંદ કેજરીવાલ સામે મારામારીનો વિવાદ કર્યો હોવાથી તેમની પણ વિદાય નિશ્ચિત હતી. જોકે, સંદીપ પાઠક અને અશોક મિત્તલના રાજીનામાએ આપને વધુ મોટો ફટકો આપ્યો હતો.
અશોક મિત્તલ અને સંદીપ પાઠકે આપને મોટો આંચકો આપ્યો
અશોક મિત્તલના ઘરે ૧૫ એપ્રિલે જ ઈડીએ મની લોન્ડરિંગના કેસમાં દરોડા પાડયા હતા જ્યારે ૨૦૨૨માં દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં આપના પરાજય પછી સંદીપ પાઠકને સાઈડલાઈન કરી દેવાયા હોવાનું નિષ્ણાતોનું માનવું છે. આપમાં રાષ્ટ્રીય મહાસચિવ સંદીપ પાઠકે પણ આપ તેની સ્થાપના સમયના સિદ્ધાંતો ભૂલી ગઈ હોવાનો દાવો કર્યો હતો. સ્વાતિ માલિવાલે પણ અરવિંદ કેજરીવાલ પક્ષના સ્થાપનાના મૂલ્યો ભૂલીને પક્ષમાં ભ્રષ્ટાચાર આચરનારાનું રક્ષણ કરતા હોવાના આક્ષેપ કર્યા હતા.
ભાજપ પ્રમુખ નીતિન નવીને આપ સાંસદોને આવકાર્યા
ભાજપ મુખ્યાલયમાં ભાજપ અધ્યક્ષ નીતિન નવીને તેમનું સ્વાગત કર્યું હતું. તેમણે પોસ્ટ કરીને લખ્યું, આજે પક્ષના મુખ્યાલયમાં રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલનું ભાજપ પરિવારમાં સ્વાગત કર્યું. સાથે જ હરભજનસિંહ, સ્વાતિ માલીવાલ, વિક્રમ સાહની અને રાજિંદર ગુપ્તાને વિકસિત ભારતના લક્ષ્યની દિશામાં પીએમ નરેન્દ્ર મોદીના ગતિશિલ નેતૃત્વમાં કામ કરવા માટે શુભકામનાઓ.
ભ્રષ્ટાચારના આંદોલનમાંથી 14 વર્ષ પહેલાં આપનો ઉદય
સાત સાંસદોની વિદાય આપના ઈતિહાસમાં સૌથી મોટો ફટકો
– એક સાથે સાત સાંસદોની વિદાયથી પક્ષની આંતરિક અને કેજરીવાલ કેન્દ્રીત કામગીરી સામે સવાલ ઉઠયા
નવી દિલ્હી : દેશમાં કોંગ્રેસ શાસિત યુપીએ સરકારના સમયમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી ૧૪ વર્ષ પહેલાં આમ આદમી પાર્ટી (આપ)નો ઉદય થયો હતો. ત્યાર પછી આપને અનેક નાના-મોટા ફટકા પડયા હતા, પરંતુ શુક્રવારે રાજ્યસભામાંથી એકસાથે સાત સાંસદોના રાજીનામાએ આપને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો આપ્યો હતો.
રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં વર્ષ ૨૦૧૨માં ભ્રષ્ટાચાર સામે રસ્તા પર દેખાવો અને નાગરિકોના ગુસ્સાના પગલે નવેમ્બરમાં આમ આદમી પાર્ટીની સ્થાપના કરાઈ હતી. ભ્રષ્ટાચારના આંદોલનમાંથી ઊભા થયેલા પક્ષે દિલ્હીમાં ચૂંટણીઓમાં એક પછી એક વિજયો મેળવ્યા. ૨૦૧૩માં પહેલો, પછી ૨૦૧૫માં વિધાનસભા ચૂંટણીઓ જીતી અને ૨૦૨૦માં પંજાબમાં પણ આપે સત્તા મેળવી. જોકે, આપની સ્થાપનામાં મહત્વનું યોગદાન આપનારા એક્ટિવિસ્ટ્સ, પ્રોફેશનલ્સ અને પહેલી વખત રાજકારણમાં કૂદનારી સેલિબ્રિટીઓ થોડાક જ સમયમાં એક પછી એક પક્ષથી દૂર થવા લાગી, જેમાં સૌથી પહેલાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ, એક્ટિવિસ્ટ યોગેન્દ્ર યાદવે પક્ષ છોડયો હતો. ત્યાર પછી ધીમે ધીમે કુમાર વિશ્વાસ સહિત પક્ષના સ્થાપક સભ્યોમાંથી અનેક લોકો આપથી દૂર થઈ ગયા.
જોકે, છેલ્લા ૧૪ વર્ષમાં આમ આદમી પાર્ટી છોડનારા લોકોએ એક-એક કરીને પક્ષ છોડયો હતો. પરંતુ શુક્રવારે રાઘવ ચઢ્ઢાના નેતૃત્વમાં એક સાથે રાજ્યસભાના સાત સાંસદોએ આપમાંથી રાજીનામું આપી દીધું. પરિણામે હવે રાજ્યસભામાં પક્ષની સ્થિતિ નબળી થઈ ગઈ છે. વધુમાં એક સાથે સાત સાંસદોના રાજીનામાએ પક્ષની અંદરની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે. એક સમયે સામૂહિક નેતૃત્વ અને વિકેન્દ્રીત પ્રકૃતિ આમ આદમી પાર્ટીની ઓળખ હતી, પરંતુ સમય જતાં હવે પક્ષ માત્ર અરવિંદ કેજરીવાલના નેતૃત્વ પર કેન્દ્રીત થઈ ગયો છે. વધુમાં સાત સાંસદોના રાજીનામાનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. આગામી વર્ષની શરૂઆતમાં પંજાબ અને ત્યાર પછી ગોવા તથા ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. આપ હાલમાં દિલ્હી બહાર પોતાને મજબૂત કરવાના પ્રયત્નો કરી રહ્યો છે ત્યારે આ રાજીનામાઓએ તેના આ પ્રયાસનો ફટકો પહોંચાડયો છે.










