![]()
– અલારસા દૂધ મંડળીમાં 20 લાખના કૌભાંડ મામલે
– ખોટા ઠરાવો પસાર કરીને મંડળીના નવા મકાનના નિર્માણ માટે કામ શરૂ કર્યા વિના જ કોન્ટ્રાક્ટરને 20 લાખની ચૂકવણી કર્યાનો આક્ષેપ
આણંદ : આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અલારસા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં આશરે રૂપિયા ૨૦ લાખના કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં ભાજપના નેતા અને હાલના એપીએમસી ચેરમેન અશોક મહિડા સહિત દસ ડિરેક્ટરો સામે બોર્ડ ઓફ નોમીનીઝમાં ફરિયાદ નોંધાતા કોર્ટ દ્વારા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. તેમ છતાં, બુધવારે નક્કી થયેલી તારીખે આરોપીઓ કોર્ટમાં હાજર ન રહેતા કેસને આગામી ૮ એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવ્યો છે.
અલારસા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના તત્કાલીન ચેરમેન અશોક મહિડા અને અન્ય ડિરેક્ટરો પર આક્ષેપ છે કે, તેમણે ખોટા ઠરાવો પસાર કરીને મંડળીના નવા મકાનના નિર્માણ માટે કામ શરૂ કર્યા વિના જ કોન્ટ્રાક્ટરને ૨૦ લાખ રૂપિયાની ચૂકવણી કરી દીધી હતી. આ રીતે મંડળીના નાણાંનો દૂરુપયોગ કરીને કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલો બહાર આવતા મંડળીના ઈન્ટરનલ ઓડિટર બાબુભાઈ ચૌહાણ અને પ્રવિણસિંહ મહિડાએ મંડળીમાં હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ કોન્ટ્રાકટર પાસેથી ૮ લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવી હતી, પરંતુ હજુ પણ ૧૨ લાખ રૂપિયાની વસૂલાત બાકી હોવાનું જણાવાયું છે. આ બાકી રકમની વસૂલાત તથા જવાબદારી નિર્ધારિત કરવા માટે બોર્ડ ઓફ નોમીનીઝમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદને આધારે સંયુક્ત રજિસ્ટ્રાર અને બોર્ડ ઓફ નોમીનીઝની કોર્ટ દ્વારા અશોક મહિડા સહિત તમામ દસ ડિરેક્ટરોને કારણદર્શક નોટિસ ફટકારી ૧૮ માર્ચના રોજ કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો હતો. જોકે, નિર્ધારિત દિવસે કોઈપણ આરોપી હાજર ન રહેતા કોર્ટએ આ મામલે આગામી સુનાવણી માટે ૮ એપ્રિલની તારીખ નક્કી કરી છે. આ કેસને લઈને સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જાગી છે અને સહકારી ક્ષેત્રમાં પારદર્શકતા અને જવાબદારી અંગે પ્રશ્નો ઊભા થયા છે. હવે આગામી સુનાવણીમાં આરોપીઓ હાજર રહી પોતાના તરફથી સ્પષ્ટતા કરે છે કે નહીં, તે જોવાનું રહેશે.










