![]()
અમદાવાદમાં યોજાનારી ICC T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા ભારતીય ટીમની જીત માટે પ્રાર્થના અને હવનનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના રણમૂકતેશ્વર મહાદેવ મંદિર ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી આ મહત્વપૂર્ણ મેચ પહેલા ભગવાનના આશીર્વાદ મેળવવા માટે હવન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસ કાર્યકરોનું કહેવું છે કે હવન માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ તે શ્રદ્ધા, વિશ્વાસ અને સકારાત્મક શક્તિનું પ્રતીક છે. ભગવાન ભારતીય ખેલાડીઓને સકારાત્મક ઊર્જા અને શક્તિ આપે જેથી ટીમ ફાઇનલ મેચમાં જીત મેળવી ટ્રોફી પોતાના નામે કરી શકે.
કાર્યકરોએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય ટીમે સમગ્ર સિરીઝ દરમિયાન ઉત્તમ પ્રદર્શન કર્યું છે અને મોટાભાગની મેચોમાં પ્રભુત્વ જાળવ્યું છે. જોકે તાજેતરમાં અમદાવાદમાં રમાયેલી એક મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. તેથી ખેલાડીઓને આત્મવિશ્વાસ અને શક્તિ મળે તે માટે ભગવાન શંકરને પ્રાર્થના સાથે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરાની ધરતી પરથી ભગવાન શંકરને સ્મરણ કરીને પંચમહાભૂતના તત્વોને આહુતિ આપી ભારતીય ટીમની જીત માટે પ્રાર્થના કરવામાં આવી હતી. કાર્યકરો દ્વારા ભગવાનને આહુતિ અર્પણ કરીને ભારતની જીત અને ખેલાડીઓના ઉત્તમ પ્રદર્શન માટે પ્રાર્થના કરવામાં આવી હતી.










