![]()
S.Jaishankar in Lok Sabha : બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે. બીજા તબક્કાના પ્રથમ દિવસે સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ આવશે. બીજી તરફ, ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ અંગે વિદેશ મંત્રી એસ. જયશંકર બંને ગૃહોમાં નિવેદન આપી રહ્યા છે. પ્રથમ દિવસની કાર્યવાહી માટે સત્તાધારી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન(NDA)ની આગેવાની કરી રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP) અને વિપક્ષી ઇન્ડિયા બ્લોકની નેતા કોંગ્રેસ, બંને પક્ષોએ પોતાના સાંસદોને થ્રી-લાઇન વ્હિપ જાહેર કરી લોકસભામાં હાજર રહેવા જણાવ્યું છે.
‘ભારતીયોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ’, ઈરાન યુદ્ધ પર રાજ્યસભામાં બોલ્યા વિદેશ મંત્રી
વિદેશ મંત્રી એસ. જયશંકર ઈરાન યુદ્ધ પર રાજ્યસભામાં નિવેદન આપી રહ્યા છે. જયશંકરે ગૃહમાં માહિતી આપી હતી કે, “ભારત આ વિસ્તારમાં સાર્વભૌમત્વ(Sovereignty)નું સમર્થક છે અને અમારું માનવું છે કે કોઈપણ સમસ્યાનો ઉકેલ વાતચીત દ્વારા શોધવો જોઈએ”. તેમણે કહ્યું કે, ગલ્ફ રિજનમાં એક કરોડ ભારતીયો રહે છે અને તેમની સુરક્ષા અંગે CCSની બેઠકમાં પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
વિદેશ મંત્રીએ સંવેદના વ્યક્ત કરી
વિદેશ મંત્રીએ આ યુદ્ધમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કહ્યું કે, અમે ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને અમે સતત તેમના સંપર્કમાં છીએ. તેમણે વધુમાં જણાવ્યું કે અમે જાન્યુઆરીમાં જ અમારા નાગરિકોને ચેતવણી આપી હતી કે તેઓ જેટલી વહેલી તકે સ્વદેશ પરત ફરે. ઈઝરાયલ અને આસપાસના વિસ્તારોમાં રહેલા ભારતીયો માટે અમારા દૂતાવાસે એડવાઇઝરી પણ જાહેર કરી હતી. વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો પ્રત્યે પણ સતર્ક છે, કારણ કે આ સંઘર્ષને કારણે સપ્લાય ચેઇન પ્રભાવિત થઈ છે.
ઊર્જાના ભાવ પર અમારી નજર છે: જયશંકર
સરકાર ઊર્જા ક્ષેત્રની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. ભારતીય ગ્રાહકોની જરૂરિયાતો અમારી પ્રાથમિકતા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઊર્જાના ભાવમાં થતા ફેરફાર પર અમે ચાંપતી નજર રાખી રહ્યા છીએ.
PM મોદીએ ખાડી દેશોના વડાપ્રધાનો સાથે વાત કરી છે: જયશંકર
વડાપ્રધાન મોદીએ UAE, કતાર, કુવૈત, સાઉદી અરેબિયા, જોર્ડન, ઓમાન અને ઈઝરાયલના વડાપ્રધાનો સાથે વાતચીત કરી છે. હું પણ સતત આ દેશોના વિદેશ મંત્રીઓના સંપર્કમાં છું. અમે અમારા રાજદ્વારી માર્ગો દ્વારા પણ ચર્ચા કરી રહ્યા છીએ. આ ઉપરાંત ઈરાનના વિદેશ મંત્રી અરાગચી સાથે પણ વાત કરવામાં આવી છે. અમે સતત સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છીએ.
ખાડી દેશોમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના પ્રયાસો: જયશંકર
તેહરાન, UAE, દુબઈ અને બહેરીનમાં સ્થિત અમારા રાજદ્વારીઓ ભારતીય લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. ભારતીયોને પરત લાવવા માટે અમે ઘણી કોમર્શિયલ ફ્લાઇટ્સનું સંચાલન કર્યું છે. અત્યાર સુધીમાં 67 હજાર ભારતીયો પરત ફરી ચૂક્યા છે. ખાડી દેશોમાં ફસાયેલા અન્ય તમામ ભારતીયોને પાછા લાવવા માટે પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે.
અમે નાગરિકોની સુરક્ષા માટે તત્પર
મિડલ ઈસ્ટની ગંભીર સ્થિતિને જોતાં અમે ખાડી દેશોમાં રહેતા ભારતીય લોકો માટે અનેક એડવાઇઝરી જાહેર કરી હતી. ઈરાનમાં રહેતા તમામ લોકોને તાત્કાલિક ત્યાંથી નીકળી જવાની સલાહ આપવામાં આવી હતી. ઈરાનમાં ભારતીય દૂતાવાસ સંપૂર્ણપણે કાર્યરત છે અને અમે આ વિસ્તારોમાં રહેતા તમામ ભારતીય સમુદાયના લોકોને મદદ કરવા માટે તત્પર છીએ.
જયશંકરનું સંબોધન અને વિપક્ષનો હોબાળો
એક તરફ એસ. જયશંકર મિડલ ઈસ્ટના તણાવ અંગે સરકારનો પક્ષ રજૂ કરી રહ્યા હતા, તો બીજી તરફ વિપક્ષી સાંસદોનો હોબાળો ચાલુ રહ્યો હતો. તેઓ સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને ગૃહની કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.










