![]()
Jammu and Kashmir News : ઉત્તરી કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) પારથી આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે આ ઓપરેશનમાં સેનાનો એક જવાન શહીદ થયો છે, જોકે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
ઘૂસણખોર ઠાર
ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા (IB) પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે. ઘૂસણખોરની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. સોમવારે સાંજે લગભગ છ વાગ્યે હીરાનગર સેક્ટરની બીઓપી ચાંદવાં અને બીઓપી કોઠે પોસ્ટ વચ્ચે જવાનોએ શંકાસ્પદ હલચલ જોઈ હતી. BSFના જવાનોએ પાકિસ્તાની પોસ્ટ પપ્પુ ચકની તરફથી ભારતીય સીમામાં ઘૂસી રહેલા કેટલાક લોકોને ચેતવણી આપી હતી.
ચેતવણી આપી છતાં ઘૂસણખોર પરત ન ગયા
BSFના સૂત્રોના જણાવ્યા મુજબ, ચેતવણી આપી હોવા છતાં ઘૂસણખોરો પાછા નહોતા જતા, જેના કારણે ગોળીબાર કરવો પડ્યો. આ કાર્યવાહીમાં એક પાકિસ્તાની ઘૂસણખોરને ગોળી વાગતા તેને ગંભીર હાલતમાં વિજયપુર AIIMSમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો છે. સૂત્રો અનુસાર, BSF દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે ઉચ્ચ અધિકારીઓને આ વિશે માહિતી આપી દેવામાં આવી છે.
આ પણ વાંચો : ‘રાહુલ ગાંધીના વકીલે પૂછ્યા વગર કોર્ટમાં અરજી કરી’ પૂણે કોર્ટમાં હાજર થવાના મામલે સુપ્રિયા શ્રીનેત
સરહદ પાસે અવારનવાર ઘૂસણખોરી
ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા ઘૂસણખોરીની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે. તાજેતરમાં થયેલી ઘૂસણખોરીની ઘટનાઓને જોતા BSFએ ચોકસાઈ વધારી દીધી છે. દરેક શંકાસ્પદ હલચલ પર નજર રાખવામાં આવી રહી છે. સીમા પાર કરીને ભારતીય સીમામાં પ્રવેશતા ઘૂસણખોરને ઠાર મારવાનો આ પહેલો કિસ્સો નથી. અવારનવાર સીમાવર્તી ક્ષેત્રમાં પાકિસ્તાન તરફથી ધ્યાન ભટકાવવા અથવા ચોકસાઈને ચકાસવા માટે રેકી કરાવવામાં આવે છે. સીમાવર્તી વિસ્તારોમાં સતત ડ્રોનની મૂવમેન્ટ બાદ BSF કોઈપણ શંકાસ્પદ હલચલને ગંભીરતાથી લઈ રહી છે.
આ પણ વાંચો : ‘સોનિયા ગાંધી દેશના નાગરિક નહોતા, તો પણ મતદાર યાદીમાં નામ હતું’ ભાજપ નેતાએ શેર કર્યા પુરાવા










