![]()
Middle East-India Deep-Water Pipeline: ભારત સરકાર ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા અને ખાસ કરીને મધ્ય પૂર્વમાં ઉદ્ભવતી યુદ્ધ જેવી પરિસ્થિતિઓ વચ્ચે ગેસનો પુરવઠો જાળવી રાખવા માટે બે મોટા પ્રોજેક્ટ પર આક્રમક રીતે કામ કરી રહી છે. આ વ્યૂહાત્મક હિલચાલનો મુખ્ય ઉદ્દેશ્ય સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા સંવેદનશીલ દરિયાઈ માર્ગો પરની નિર્ભરતા ઘટાડવાનો છે.
સમુદ્રના પેટાળમાં 2000 કિમી લાંબી પાઈપલાઈન
ભારત હવે ઓમાનથી સીધી દરિયાઈ પાઈપલાઈન બિછાવવાની તૈયારી કરી રહ્યું છે, જેને મિડલ ઈસ્ટ-ઈન્ડિયા ડીપ-વોટર પાઈપલાઈન (MEIDP) નામ આપવામાં આવ્યું છે. અંદાજે 40,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારો આ પ્રોજેક્ટ અરબ સાગરના તળિયે 2,000 કિલોમીટર લાંબો હશે અને ઓમાનને સીધું ગુજરાતના દરિયાકાંઠા સાથે જોડશે. આ પાઈપલાઈન સમુદ્રમાં 3450 મીટરની ઊંડાઈએ સ્થાપિત કરવામાં આવશે. આ વિશ્વની સૌથી ઊંડી દરિયાઈ પાઈપલાઈન પૈકીની એક હશે. આ માધ્યમથી દરરોજ 31 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર કુદરતી ગેસની સપ્લાય થઈ શકશે.
શા માટે આ પ્રોજેક્ટ અનિવાર્ય છે?
ભારતમાં ગેસની માંગ સતત વધી રહી છે. 2030 સુધીમાં વપરાશ 290-300 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર સુધી પહોંચવાનો અંદાજ છે. હાલમાં ભારતની કુલ જરૂરિયાતનો મોટો હિસ્સો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દ્વારા આયાત કરવામાં આવે છે. ફેબ્રુઆરી 2026માં ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે જ્યારે આ માર્ગ પ્રભાવિત થયો, ત્યારે ગેસની વૈશ્વિક સપ્લાયમાં 20%નો ઘટાડો થયો હતો અને કિંમતો 12 ડોલરથી વધીને 25 ડોલર પ્રતિ MMBtu સુધી પહોંચી ગઈ હતી. આ પાઈપલાઈન દ્વારા ભારત કોઈપણ મધ્યસ્થ દેશ કે ચોક પોઈન્ટ પર નિર્ભર રહ્યા વગર સસ્તો અને સ્થિર ગેસ મેળવી શકશે.
આ પણ વાંચો : કાળજું કંપી જાય તેવો અકસ્માત : અમદાવાદથી રાજકોટ તરફ જતી બસની ટેન્કર સાથે ટક્કર, 4ના મોત
ચીન સામે સ્પર્ધા અને ગેસ રિઝર્વ
ઊર્જા સુરક્ષાના મામલે ચીન ભારત કરતા ઘણું આગળ છે. ચીને રશિયા અને મધ્ય એશિયા સાથે અનેક ઓવરલેન્ડ પાઈપલાઈન કોરિડોર બનાવ્યા છે. ચીન પાસે 2026 સુધીમાં 80 BCM ગેસ સંગ્રહ કરવાની ક્ષમતા હશે. જ્યારે ભારત પાસે હાલમાં માત્ર 10-12 દિવસના વપરાશ જેટલું જ વ્યૂહાત્મક ગેસ રિઝર્વ છે. આ પ્રોજેક્ટ ભારતને આ સ્પર્ધામાં મજબૂત સ્થિતિમાં લાવશે.
કોલસામાંથી ગેસ બનાવવાનો માસ્ટર પ્લાન
બીજી તરફ, મોદી સરકારે કોલ ગેસિફિકેશન (કોલસામાંથી ગેસ બનાવવો) પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે. ભારત પાસે 400 અબજ ટનથી વધુ કોલસાનો ભંડાર છે, જે આગામી 400 વર્ષ સુધી ચાલી શકે તેમ છે. પ્રથમ તબક્કામાં વાર્ષિક 7.5 કરોડ ટન કોલસાને ગેસમાં રૂપાંતરિત કરવાનો લક્ષ્યાંક છે. આ માટે સરકાર દેશભરમાં 25 પ્લાન્ટ સ્થાપશે. 37,500 કરોડ રૂપિયાના સરકારી સહયોગ સાથે આ પ્રોજેક્ટમાં અંદાજે 3 લાખ કરોડ રૂપિયાનું રોકાણ આવવાની શક્યતા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટથી અંદાજે 50,000 લોકોને રોજગારી મળશે. ભારત હાલમાં પોતાની એલએનજી જરૂરિયાતના 50%, યુરિયાના 20% અને મેથેનોલના 90% આયાત કરે છે. કોલસામાંથી ગેસના ઉત્પાદનથી આ આયાત નિર્ભરતામાં મોટો ઘટાડો થશે.










