![]()
અમદાવાદ,શનિવાર,20
સપ્ટેમબર,2025
અમદાવાદમાં શનિવારે ભારે ગાજવીજ અને વીજ કડાકા સાથે મોટા
ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી પડયો હતો.બપોરે ૧૨થી ૪ કલાક દરમિયાન રાણીપ અને
ચાંદલોડીયામાં અઢી ઈંચ વરસાદ ખાબકતા રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા.અખબારનગર
અને ઉસ્માનપુરા અંડરપાસ વરસાદી પાણી ભરાતા ત્રણ કલાક સુધી વાહન વ્યવહાર માટે બંધ
રાખવાની કોર્પોરેશનને ફરજ પડી હતી.શહેરના વિવિધ વિસ્તારોમાં ૨૦ થી વધુ સ્થળોએ
વરસાદી પાણી રોડ ઉપર ફરી વળ્યા હતા.જો કે તંત્રની પોલ ખુલી જતા વરસાદી પાણી
ભરાયેલા સ્થળોની યાદી ઉપર ઢાંકપિછોડો કરાયો હતો.સવારના ૬થી રાતના ૮ કલાક સુધીમાં
સરેરાશ ૨૪.૩૧ મિલીમીટર વરસાદ થતા મોસમનો કુલ ૪૧.૫૩ ઈંચ વરસાદ થયો હતો.
ઘણાં દિવસો પછી શનિવારે સવારના ૪થી ૬ કલાક દરમિયાન
વસ્ત્રાલમાં ૧.૭૯ ઈંચ, ઈન્દ્રપુરીમાં
૧.૫૪ ઈંચ, રામોલમાં
૧.૪૬ ઈંચ, વટવામાં
૧.૪૨ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકયો હતો. આ ઉપરાંત ઓઢવમાં એક ઈંચ, કઠવાડામા અડધો
ઈંચ તથા વિરાટનગર અને ચકુડીયામા પણ વરસાદ વરસ્યો હતો.બપોરે ૧૨ કલાકે શહેરના મોટા
ભાગના વિસ્તારોમાં એક સાથે ગાજવીજ સાથે
વરસાદ વરસવાની શરુઆત થઈ હતી. શહેરના રાણીપ ઉપરાંત નવા વાડજ અખબારનગર આસપાસ ગણતરીની
મિનીટોમાં વરસાદી પાણી ભરાતા બપોરે બે કલાકે અખબારનગર અને તે પછી ઉસ્માનપુરા
અંડરપાસ કોર્પોરેશનને બંધ કરવાની ફરજ પડી હતી.શહેરના નહેરુનગર વિસ્તારમાં આવેલ
એસ.ટી.બસસ્ટોપ પાસે વરસાદી પાણીનો ભરાવો થતા વોટર લોગીંગ સ્પોટ હોવાના દ્રશ્યો
જોવા મળ્યા હતા.મણિનગર, ગોતા,કાલુપુર ઉપરાંત
નવરંગપુરા અને દાણાપીઠ વિસ્તારમાં પણ વરસાદે બપોરના સમયે જમાવટ કરતા વાતાવરણમાં
ઠંડક પ્રસરી ગઈ હતી.સાયન્સ સિટી,જોધપુર
જેવા વિસ્તારમાં પણ વરસાદ વરસી પડયો હતો.
માણેકબાગ વિસ્તારમાં પણ રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા
હતા.ઘાટલોડીયા, પાલડી,વાસણા, ઉસ્માનપુરા
સહીતના વિસ્તારોમા સતત વરસી રહેલા વરસાદને પગલે પસાર થતા વાહન ચાલકોન માટે કેટલાક
સ્થળે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.આશ્રમ રોડ ઉપર કોર્પોરેશન દ્વારા ડ્રેનેજનુ
કામ ચાલતુ હોવાથી તથા વાડજ પાસે બ્રિજનુ કામ ચાલતુ હોવાથી વરસતા વરસાદની વચ્ચે
વાહન ચાલકો અટવાઈ પડયા હતા.ચાણકયપુરી વિસ્તારમા પણ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજનુ
કામ ચાલતુ હોવાથી એક તરફનો રોડ બંધ છે.જયારે બીજી તરફના ખુલ્લા રોડ ઉપર વરસાદી
પાણી ફરી વળતા વાહન ચાલકો એક કલાકથી વધુ સમય ભારે ટ્રાફિકમા ફસાઈ પડયા હતા.શહેરના
કોમર્સ છ રસ્તા ઉપરાંત નહેરુનગર વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતા ફાયર વિભાગે સ્થળ
ઉપર પહોંચી વૃક્ષનો નિકાલ કર્યો હતો.વાસણા બેરેજ ખાતે પાણીનુ લેવલ ૧૩૨.૭૫ ફુટ
નોંધાયુ હતુ.નર્મદા કેનાલમાંથી ૬૦૫૫ કયુસેક તથા સંત સરોવરમાંથી ૬૮૩ કયુસેક ઈનફલો
નોંધાયો હતો.નદીમા ૬૧૪૦ તથા કેનાલમાં ૩૯૦ કયુસેક આઉટફલો નોંધાયો હતો.બેરેજના ત્રણ
ગેટ બેથી પાંચ ફુટ સુધી ખોલવામા આવ્યા હતા.
કયાં-કેટલો વરસાદ
વિસ્તાર વરસાદ(ઈંચમાં)
રાણીપ ૨.૭૦
ચાંદલોડીયા ૨.૩૪
ઉસ્માનપુરા ૨.૦૭
દૂધેશ્વર ૧.૮૩
મણિનગર ૧.૬૧
ગોતા ૧.૫૯
કાલુપુર ૧.૫૦
નવરંગપુરા ૧.૪૬
ઈન્દ્રપુરી ૧.૪૦
દાણાપીઠ ૧.૩૬
વટવા ૧.૩૬
મોટેરા ૧.૧૨
ઓઢવ ૧.૧૦
ચાંદખેડા ૧.૧૦
સાયન્સ સિટી ૦.૯૬
જોધપુર ૦.૯૧
પાલડી ૦.૮૭
ઓગણજ ૦.૭૧
વાસણા ૦.૫૧
થલતેજ ૦.૪૫
મેમનગર ૦.૪૧
જોધપુર ૦.૩૯
અસારવા ૦.૩૧










