![]()
– દિવાળીના તહેવારમાં રત્નકલાકારો અને મુસાફરોને વતન લાવવા માટે
– દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ થઈ વાહનો સુરત પહોંચશે
ભાવનગર : સુરતમાં ધંધા-રોજગાર અર્થે સ્થાયી થયેલા રત્નકલાકારો અને મુસાફરો દિવાળીના તહેવારમાં માદરે વતન આવી શકે તે માટે ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા વાયા દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ થઈ વાહનો સુરત માટેની ૧૨૦ એકસ્ટ્રા બસ દોડાવાનું આયોજન કરાયું છે.
મુસાફરોન. આવવા-જતાં બન્ને તરફથી એસ.ટી. બસનો લાભ મળી રહે તે માટે યાત્રિકોની માંગણીને ધ્યાને લઈ ભાવનગર વિભાગ દ્વારા આગામી તા.૧૭-૧૦ અને તા.૧૮-૧૦ના રોજ સુરત માટે ૧૨૦ બસનું સંચાલન કરવામાં આવશે. આ વાહનો પ્રથમ દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ થઈ સુરત જશે. એકસ્ટ્રા બસોમાં મુસાફરી કરવા ઈચ્છુકો ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા પણ શરૂ કરી દેવામાં આવી છે. તહેવારો દરમિયાન મુસાફરોના ધસારાને ધ્યાને લઈ વિભાગના તમામ આઠ ડેપોમાં પાંચ-પાંચ એકસ્ટ્રા બસ સ્ટેન્ડબાય રાખવામાં આવશે તેમ વિભાગીય નિયામક પીલવાઈકરે જણાવ્યું છે.
17 મીએ 70 અને 18 મીએ 50 બસ સુરત રવાના થશે
દિવાળીના તહેવારને ધ્યાને લઈ ભાવનગર એસ.ટી. વિભાગે એકસ્ટ્રા સંચાલન હાથ ધરવાનું આયોજન કર્યું છે. જેમાં ૧૭મીએ ભાવનગર ડેપોમાંથી ૧૨, તળાજા, મહુવા, પાલિતાણા, ગારિયાધાર અને બોટાદ ડેપોમાંથી ૦૯-૦૯, ગઢડા ડેપોમાંથી ૦૮ અને બરવાળા ડેપોમાંથી ૦૫ મળી કુલ ૭૦ અને ૧૮મીએ ભાવનગર ડેપોમાંથી ૧૦, તળાજા, પાલિતાણા, ગારિયાધાર ડેપોમાંથી ૦૭-૦૭, બોટાદ ડેપોમાંથી ૬, ગઢડા ડેપોથી ૦૫ અને બરવાળા ડેપોથી ૦૨ મળી ૫૦ બસ સુરત રવાના કરાશે.
50 ના ગુ્રપ બુકિંગમાં બસ ઘર આંગણે લેવા આવશે
એસ.ટી. તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા અને આવકમાં વધારો કરવા માટે કોઈ સમૂહ-ગુ્રપના ૫૦ કે તેથી મુસાફરો એકસાથે બુકિંગ કરાવવા ઈચ્છે તો આવા મુસાફરોને તેમના વિસ્તાર, ફળિયા અને ઘર આંગણાંની શેરીમાં બસની ફાળવણી કરી ગંતવ્ય સ્થાને લઈ જવામાં આવશે તેમ વિભાગીય નિયામકે ઉમેર્યું હતું.










