![]()
– આંગણવાડી ભરતીમાં જટિલ પ્રક્રિયાનો ભોગ ઉમેદવારો બનતા હોવાનો કકળાટ
– સિટી મામલતદાર કચેરીમાં લાંબી લાઈનો, પાણી અને પંખા જેવી સામાન્ય સુવિધા ઉપલબ્ધ કરવામાં તંત્ર ઉણું ઉતર્યું
ભાવનગર : ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં આવેલી આંગણવાડીઓમાં કાર્યકર અને તેડાગર માટેની ખાલી પડેલી ૮૩ જગ્યા માટે હાથ ધરવામાં આવેલી ભરતી પ્રક્રિયામાં રહેઠાંણના પુરાવા માટે ઉમેદવારોને મામલતદાર કચેરીના ધક્કા ખાવા પડતા હોય, અહીં ભારે અવ્યવસ્થાને લઈ બહેનોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
ભાવનગર સિટી મામલતદાર કચેરીમાં રહેઠાંણનો પૂરાવો મેળવવા માટે છેલ્લા બે-ત્રણ દિવસથી બહેનો પોતાના કામ-ધંધા છોડી અને નાના બાળકોને સાથે લાવી સવારથી સિટી મામલતદાર કચેરીમાં ધામા નાંખે છે. જેના કારણે આંગણવાડી ભરતીના ઉમેદવારો અને તેમના વાલીઓની લાંબી લાઈન લાગતી હોવા છતાં પણ મામલતદાર તંત્ર અને તલાટી મંત્રી દ્વારા ગોકુળગતિએ કામગીરી કરવામાં આવી રહી છે. સરકારી નિયમના જડ વલણના કારણે લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. ઉમેદવારને રહેઠાંણનો પુરાવો મેળવવો હોય તો અલગ અટકના બે સાક્ષી સાથે લાવવા પડી રહ્યા છે. બીજી તરફ તલાટી-મંત્ર પણ માત્ર બે વાગ્યા સુધી જ આ કામગીરી કરી રહ્યા હોવાથી અર્ધો દિવસ સુધી લાઈનમાં રહેવા છતાં મોટાભાગના લોકોને ધરમના ધક્કા ખાવા પડે છે.
અધૂરામાં પૂરૂં સિટી મામલતદાર તંત્ર દ્વારા લોકો માટે પીવાના પાણી અને પંખાની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં ન આવતા આજે શુક્રવારે લોકોએ હંગામો મચાવી બળાપો ઠાલવ્યો હતો. જેને લઈ શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસના આગેવાનો દોડી ગયા હતા અને ઉગ્ર રજૂઆત કરી લોકોને પડતી હાલાકીનો નિવેડો લાવવા માંગણી કરી હતી.
વોર્ડ વાઈઝ માંડવા નાંખી તલાટીને આખો દિવસ બેસાડો
શહેર કોગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલે સરકારી તંત્ર ઉપર રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, આંગણવાડીની ભરતીના ઓનલાઈન ફોર્મ ભરવામાં રહેઠાંણના પુરાવા માટે લોકોને આધારકાર્ડ, પાનકાર્ડ, રેશનકાર્ડ વગેરે આધારો માન્ય રાખવાના બદલે સિટી મામલતદાર કચેરીએ જઈ રહેઠાંણના પુરાવા અંગેનો દાખલો કઢાવવાનું તૂત ગેરવ્યાજબી છે. આવી જટિલ પ્રક્રિયાથી અરજદારો હેરાન થઈ રહ્યા છે. ત્યારે વોર્ડ વાઈઝ માંડવા નાંખી ત્યાં તલાટી-મંત્રીને આખો દિવસ બેસાડી કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
શ્વાસ લેવામાં પણ મુશ્કેલી, ઝડપી કામ થવું જોઈએ
સિટી મામલતદાર કચેરીએ આવેલા અરજદારો અને તેમના સગા-સબંધીએ બળાપો ઠાલવતા કહ્યું હતું કે, સાક્ષી માટે હેરાન કરવામાં આવે છે. શિસ્તબદ્ધના આયોજનના અભાવે લોકો હેરાન થઈ રહ્યા છે. આઠ દિવસે દાખલો આપવાનું કહેવામાં આવે છે. પરંતુ ભરતીની ૩૦ તારીખ છેલ્લી હોય, ફોર્મ કેવી રીતે ભરી શકીશું ? તેવો પ્રશ્ન પણ અરજદારોએ કર્યો હતો. આ ઉપરાંત પાણી, પંખાની અસુવિધા અંગે પણ રોષ ઠાલવવામાં આવ્યો હતો.










